Top News

More Posts

   The Latest

Most Popular

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ફરી વધારો થવાની શક્યતા વધી રહી છે. સીઝફાયર સમાપ્ત થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોવાના સંકેતો મળી રહ્યા છે, અને બંને દેશો વચ્ચે ફરીથી સંઘર્ષ ઊભો થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ વચ્ચે શાંતિ જાળવવા માટે નવી કૂટનીતિક હલચલ પણ તેજ બની છે. અમેરિકા અને ઈરાન બંને દેશોના પ્રતિનિધિમંડળો સીઝફાયર અને શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાન જવાની તૈયારીમાં છે. કેટલાક અધિકારીઓએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે વાતચીત માટે ઇસ્લામાબાદને સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ પગલું તણાવ ઘટાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાન, જે આ મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે, તેના સૂત્રોએ પણ આ ચર્ચાઓની પુષ્ટિ કરી છે. માહિતી અનુસાર, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગલીબાફ બુધવારે સવારે ઇસ્લામાબાદ પહોંચશે. બંને નેતાઓ પોતાની-પોતાની ટીમ સાથે ચર્ચા આગળ વધારશે. આ બેઠકને બંને દેશો વચ્ચે સંવાદનો એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે. આ તમામ રાજનૈતિક પ્રયાસો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેઓ ઈરાન સાથે સીઝફાયર વધારવાના પક્ષમાં નથી. તેમણે જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે ઈરાન સાથે એક મજબૂત અને નિર્ણાયક કરાર કરવામાં આવે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રમ્પે કહ્યું, અમે ઈરાન સાથે એક સારો અને મજબૂત ડીલ કરવા માંગીએ છીએ. અમે આ માટે મજબૂત સ્થિતિમાં છીએ અને મને વિશ્વાસ છે કે અમે સફળતા મેળવીશું. તેમણે આગળ ઉમેર્યું કે સીઝફાયરને લાંબો સમય સુધી ખેંચવાનો તેઓ સમર્થન કરતા નથી અને હવે ઝડપી નિર્ણય લેવાની જરૂર છે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની નીતિમાં કડકાઈ જોવા મળી રહી છે. તેઓ માને છે કે વારંવાર સીઝફાયર વધારવાથી સમસ્યાનો સ્થાયી ઉકેલ મળતો નથી. તેથી, તેઓ ઈરાન સાથે એક લાંબા ગાળાનો અને સ્પષ્ટ કરાર કરવા તરફ ઝુકાવ ધરાવે છે. બીજી તરફ, ઈરાન પણ આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહ્યું છે અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ હોવા છતાં, પાકિસ્તાનમાં યોજાનારી બેઠકથી કોઈ મધ્યમ માર્ગ નીકળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પરિસ્થિતિ વિશ્વ રાજકારણ માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો કોઈપણ સંઘર્ષ મિડલ ઇસ્ટ અને વિશ્વની આર્થિક સ્થિતિ પર સીધી અસર કરી શકે છે. ખાસ કરીને તેલના બજાર અને વૈશ્વિક વેપાર પર તેનો પ્રભાવ જોવા મળી શકે છે. હવે નજર ઇસ્લામાબાદમાં યોજાનારી આ ચર્ચાઓ પર રહેશે, જ્યાંથી નક્કી થશે કે તણાવ ઘટશે કે વધુ વધી શકે છે. બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ ઉકેલ આવશે કે નહીં, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

To Top