Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: ગાંધીનગર ખાતે જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા જાહેરાત મુજબ , જનગણના 2027 દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના રહેશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. ગુજરાતમાં પ્રથમ તબક્કા તરીકે 1 થી 30 જૂન, 2026 દરમિયાન ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન ‘વસ્તીની ગણતરી’ તથા જાતિ ગણતરી કરવામાં આવશે. પ્રથમ વખત નાગરિકોને 17 થી 31 મે દરમિયાન પોર્ટલ પર પર ‘સ્વ-ગણતરી’ કરવાની સુવિધા આપવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા ગુજરાતી સહિત 16 ભાષાઓમાં એન્ડ્રોઇડ અને iOS એપ મારફતે કરવામાં આવશે. રાજ્યમાં 1.10 લાખથી વધુ હાઉસલિસ્ટિંગ બ્લોક્સ, 1.09 લાખ ગણતરીદારો અને 18 હજારથી વધુ સુપરવાઇઝરો જોડાશે. જનગણના દરમિયાન એકત્રિત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ-1948 હેઠળ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.

ગાંધીનગર ખાતે જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે જનગણના 2027 દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના રહેશે, જે આ વખતે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. દેશમાં છેલ્લે વર્ષ 2011માં જનગણના યોજાઈ હતી.તેમણે જણાવ્યું હતું કે ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનારી આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ (PE) 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે. આ બીજા તબક્કા દરમિયાન જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.પ્રથમ તબક્કામાં આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 34 મુદ્દાઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ સમગ્ર કામગીરી માટે રૂ. 11,718.24 કરોડના ખર્ચને મંજૂરી આપી છે.

‘સ્વ-ગણતરી’ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ

આ વખતે પ્રથમ વખત નાગરિકોને ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) દ્વારા જનગણનામાં સીધી ભાગીદારી કરવાની તક આપવામાં આવી છે. તેના માટે 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર જઈને નાગરિકો પોતાની અને પોતાના કુટુંબની વિગતો ઓનલાઈન ભરી શકશે.સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ નાગરિકોને મળનાર SE ID ગણતરીદારને આપવાનો રહેશે. ગણતરીદાર દ્વારા માહિતીની ચકાસણી બાદ તેને મુખ્ય ડેટાબેઝમાં સામેલ કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા ડેટા સંગ્રહ વધુ ઝડપી અને સરળ બનશે તેમજ ફિલ્ડ વર્કનું ભારણ પણ ઘટશે.

ગુજરાતી સહિત 16 ભાષામાં એપ્લિકેશન ઉપલબ્ધ

નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું હતું કે, આ વખતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS આધારિત એપ્લિકેશન દ્વારા ગુજરાતી સહિત 16 ભાષાઓમાં માહિતી એકત્રિત કરવામાં આવશે. ઇન્ટરનેટ ન હોય તેવી સ્થિતિમાં પણ ઓફલાઇન ડેટા સંગ્રહ શક્ય બનશે.ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ, 1,09,038 ગણતરીદારો અને 18,254 સુપરવાઇઝરો કાર્યરત રહેશે. આ માટે અધિકારીઓ અને કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.

માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે

જનગણના દરમિયાન એકત્રિત થતી તમામ વ્યક્તિગત માહિતી જનગણના અધિનિયમ-1948 અને જનગણના નિયમો-1990 હેઠળ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ કાયદાકીય અથવા કરવેરા સંબંધિત હેતુઓ માટે નહીં થઈ શકે તેવો વિશ્વાસ પણ આપવામાં આવ્યો હતો. સુજલ મયાત્રાએ તમામ નાગરિકોને જનગણનામાં સક્રિયપણે ભાગ લેવા અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપવા અપીલ કરી હતી. કોઈપણ માહિતી અથવા માર્ગદર્શન માટે ટોલ-ફ્રી નંબર 1855 તેમજ Census India Official Website પર સંપર્ક કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

To Top