Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

રક્ષાબંધને બ્રહ્માકુમારી બહેનોના સાનિધ્યમાં બંધાવ્યું રક્ષાસૂત્ર

વિકસિત ભારત ૨૦૪૭’ ના નિર્માણમાં યુવા શક્તિના સકારાત્મક ઉપયોગનો દ્રઢ સંકલ્પ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧

વડોદરા :- રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશના સૌથી મોટા રાજકીય યુવા સંગઠન ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો મહત્વનો કાર્યભાર સંભાળતા પૂર્વે ડૉ. હેમાંગ જોશીએ વડોદરાના અટલાદરા સ્થિત બ્રહ્માકુમારીઝ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે અરુણા દીદી તથા પૂનમ દીદી સહિતના બ્રહ્માકુમારી બહેનોના સાનિધ્યમાં પવિત્ર રક્ષાસૂત્ર બંધાવીને બાબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે અટલાદરા કેન્દ્ર સાથેના પોતાના જૂના અને આત્મીય સંબંધો યાદ કરતા ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારીઝ અટલાદરા કેન્દ્ર સાથે મારો વર્ષો જૂનો સ્નેહનો નાતો રહ્યો છે. જીવનમાં જ્યારે પણ કોઈ નવો તબક્કો કે શુભ પ્રસંગ આવે ત્યારે હું અહીં આવીને બાબાના રૂમમાં બેસીને સકારાત્મક ઊર્જા અને શાંતિ મેળવવાનો પ્રયાસ કરું છું. અહીંથી મળતા આત્મિક સ્પંદનો મને સદાય નવી પ્રેરણા આપે છે.

યુવા શક્તિ જ ‘વિકસિત ભારત ૨૦૪૭’નું નિર્માણ કરશે. દેશના યુવાનોમાં રહેલી અસીમ ઊર્જા, શક્તિ અને ક્ષમતાને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં યોગ્ય દિશા આપવી એ અમારી પ્રાથમિકતા રહેશે. પૂજ્ય બાબા અને બ્રહ્માકુમારી બહેનોના આશીર્વાદથી યુવા મોરચો દેશના યુવાનોને સકારાત્મક માર્ગે આગળ લઈ જવા કટિબદ્ધ છે. – ડૉ. હેમાંગ જોશી (રાષ્ટ્રીય અધ્યક્ષ, BJYM)

વડાપ્રધાનના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પનો ઉલ્લેખ કરતા ડૉ. જોશીએ ઉમેર્યું હતું કે, ભારતને વિશ્વગુરુ બનાવવાના આ મહાયજ્ઞમાં દેશના યુવાધનનું સામર્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે. યુવાનોની આંતરિક ક્ષમતાઓનો રાષ્ટ્રહિતમાં મહત્તમ ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

કાર્યક્રમના અંતે રક્ષાબંધન પર્વ પર મળેલી આત્મીયતા, સ્નેહ અને માર્ગદર્શન બદલ તેમણે અરુણા દીદી, પૂનમ દીદી તેમજ સમગ્ર બ્રહ્માકુમારી પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બ્રહ્માકુમારી બહેનોએ પણ ડૉ. હેમાંગ જોશીને તેમની નવી રાષ્ટ્રીય જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી.

To Top