Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

ક્ષુલ્લક બાબતે ચાલતી વર્ચસ્વની લડાઈમાં એક વિદ્યાર્થીનું માથું ફૂટ્યું; પૂર્વ મેયર સુનિલ સોલંકીના પુત્ર આશિષને ખાનગી હોસ્પિટલ ખસેડાયો

વડોદરા:
​સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) માં ફરી એકવાર વિદ્યાર્થી જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. હાલમાં કોઈ પણ પ્રકારની વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીઓ યોજાવાની ન હોવા છતાં, કેમ્પસમાં વર્ચસ્વ અને ક્ષુલ્લક બાબતોને લઈને અવારનવાર થતા ઝઘડાઓએ સંસ્કારી નગરીના તિલક પર વધુ એક ડાઘ લગાડ્યો છે. તાજેતરમાં હોમ સાયન્સ ફેકલ્ટી ખાતે શ્રીજીની આગમન યાત્રાને કેમ્પસમાં લઈ જવા બાબતે ભગવા બ્રિગેડના જ બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
​મળતી વિગતો અનુસાર, ગણેશોત્સવને અનુલક્ષીને કેમ્પસમાં શ્રીજીની યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને હોમ સાયન્સ ફેકલ્ટીના કેમ્પસમાં પ્રવેશ કરાવવા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો અને ભાજપના પૂર્વ મેયર સુનિલ સોલંકીના પુત્ર આશિષ સોલંકીના જૂથ વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી.
​આ હિંસક અથડામણ દરમિયાન એક વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેનું માથું ફૂટી ગયું હતું. આ સાથે જ પૂર્વ મેયરના પુત્ર આશિષ સોલંકીને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ફેકલ્ટી કેમ્પસમાં ભય અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
​ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ મથકની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ બંને પક્ષે મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બીજી તરફ, વિદ્યાધામમાં થયેલી આ મારામારી અને તેના રાજકીય પડઘાને ધ્યાનમાં રાખીને ગંભીરતા સમજી ગયેલા ABVP ના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓ તાબડતોબ સયાજીગંજ પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવા માટેના પ્રયાસો અને બેઠકોનો દોર મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો.
​શિક્ષણના ધામ ગણાતી એમ.એસ. યુનિવર્સિટીમાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવાના બદલે રાજકીય વર્ચસ્વની લડાઈમાં હિંસા પર ઉતરી આવે છે, ત્યારે યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા અને શિસ્ત સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી સામાન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

To Top