Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

અમદાવાદની ત્રણ જાણીતી સ્કૂલ અને ગાંધીનગર જિલ્લા-સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અમદાવાદમાં બોપલની DPS, થલતેજની ઉદગમ સ્કૂલ અને વેજલપુરની ઝાયડસ સ્કૂલ સહિતની શાળાઓને ધમકી મળ્યા બાદ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ ગાંધીનગર કોર્ટને પણ ઈ-મેલ દ્વારા ધમકી મળતાં કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ધમકીભર્યા ઈ-મેલની જાણ થતાં જ અમદાવાદની સંબંધિત સ્કૂલોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક શાળાઓ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. અચાનક વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર કાઢવામાં આવતા વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી અને તેઓ પોતાના બાળકોને લેવા માટે શાળાએ પહોંચવા લાગ્યા હતા. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોને સ્થળ પર મોકલી હતી. શાળાઓમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સ તેમજ પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ગાડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી. ટીમો દ્વારા શાળાના વિવિધ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી હતી.

અમદાવાદમાં તપાસ ચાલી રહી હતી ત્યારે ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર પણ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી હતી. આ માહિતી મળતા કોર્ટ પરિસરમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. સુરક્ષાના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું અને પોલીસ તથા બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

હાલ તંત્રનું મુખ્ય ધ્યાન ધમકીભર્યા ઈ-મેલના સ્ત્રોત સુધી પહોંચવા અને તેમાં કોઈ વાસ્તવિક ખતરો છે કે નહીં તે જાણવા પર છે. પોલીસની ટીમો ઈ-મેલની ટેકનિકલ વિગતોની પણ તપાસ કરી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્ટને આવી ધમકીઓ મળી ચૂકી હોવાથી આ ઘટનાને પણ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદ શહેરની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી છે. શાળા સંચાલકોને પોતાના સત્તાવાર ઈ-મેલ નિયમિત રીતે ચેક કરવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળે તો તેની જાણ તાત્કાલિક પોલીસને કરવાની સૂચના આપવામાં આવી છે.

શાળા સંચાલકોને વિદ્યાર્થીઓમાં ગભરાટ ન ફેલાય તે રીતે સુરક્ષાની કાર્યવાહી કરવા પણ જણાવાયું છે. કોઈ શાળાને ધમકી મળે તો વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને પોલીસ તથા વહીવટી તંત્રની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં અગાઉ પણ કોર્ટ, એરપોર્ટ અને જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના કિસ્સા સામે આવી ચૂક્યા છે. જોકે, તપાસમાં અનેક વખત આવી ધમકીઓ પાછળ અંગત અદાવત, કોર્ટની કાર્યવાહી ટાળવાનો પ્રયાસ અથવા માત્ર સનસનાટી ફેલાવવાનો હેતુ હોવાનું સામે આવ્યું છે.

ઓગસ્ટ 2021માં ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ મૂકવાની ધમકીભર્યો પત્ર અથવા ઈ-મેલ મળ્યો હતો. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે એક સ્થાનિક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પોતાના અંગત કેસની કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીથી નારાજ હતો અને ન્યાયિક પ્રક્રિયા પર દબાણ લાવવા માટે ધમકી આપી હતી.

સપ્ટેમ્બર 2023માં સુરતની નવી કોર્ટ બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક કેસના પક્ષકારના પરિચિતે ફેક એકાઉન્ટ બનાવીને ઈ-મેલ મોકલ્યો હતો. કોર્ટની કામગીરી ખોરવાય અને કેસની સુનાવણી આગળ ધપે તે હેતુથી ધમકી આપવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

14 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ યોજાવાની હતી. મેચ દરમિયાન સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ કરવામાં આવ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે રાજકોટના ધર્મોલી ગામમાંથી કરણ માળી નામના 24 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય થવા અને ફોલોઅર્સ વધારવા માટે તેણે આ ધમકી આપી હતી. 18 જૂન 2024ના રોજ અમદાવાદ અને વડોદરા સહિત દેશના અનેક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ટેકનિકલ તપાસ દરમિયાન સાયબર ઠગ ટોળકી સાથે જોડાયેલું નેટવર્ક સામે આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ભટકાવવા અને ક્રિપ્ટોકરન્સી મારફતે આર્થિક લાભ મેળવવાના હેતુથી મોટા પ્રમાણમાં આવા ઈ-મેલ મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

હાલ અમદાવાદની ત્રણ સ્કૂલ અને ગાંધીનગર કોર્ટને મળેલી ધમકીના મામલે તપાસ ચાલુ છે. ધમકી સાચી છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જોકે, સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. તેથી શાળાઓ અને કોર્ટ પરિસરમાં તાત્કાલિક સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી રહી છે. ધમકીભર્યા ઈ-મેલ પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે અંગે હવે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.

To Top