Top News

More Posts

   The Latest

Most Popular

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર સાથે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. 2025 પહેલાં દિલ્હી અને બિહારમાં પણ ચૂંટણી થશે. તાજેતરમાં જ ચૂંટણી પંચે મતદાતાઓની યાદી અપડેટ કરવાની જાહેરાત કરી. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી એક સાથે ઑક્ટોબરમાં જ જાહેર કરાય એવી પુરી શક્યતા છે. અગાઉ ઝારખંડની ચૂંટણી આ બે રાજ્યોથી અલગ યોજાતી. આ રાજ્યોની ચૂંટણીનું મહત્ત્વ તો હંમેશા રહ્યું જ છે પણ 4થી જૂને જે પરિણામ આવ્યા તેના પછી BJP અને કોંગ્રેસ બંન્ને પક્ષો માટે આ ચૂંટણીની અગત્યતા વધી છે. આમ પણ 4થી જૂન પછી આમ કંઇ નથી બદલાયું પણ એક રીતે જોઇએ તો બહુ બધું બદલાઇ ગયું. 400 પારના દેકારા શાંત પડી ગયા છે કારણકે એવું કંઇ થઇ ન શક્યું. જો કે ગઠબંધનની મદદથી સરકાર બનાવનારી BJPનો આત્મવિશ્વાસ ડગ્યો નથી એવું બતાડવાની બધી જ કોશિશ કરાઇ રહી છે. વિરોધ પક્ષ પણ એ જ છે જે 4 જૂનના પરિણામ પહેલાં હતો, બસ ફેર એટલો છે કે તેમની પાસે લોકસભામાં બેઠકો પહેલાં કરતાં વધારે છે. BJP હવે રાહુલ ગાંધી વિશે એલફેલ બોલતાં અચકાય છે કારણકે ભલે દેખાડે નહીં પણ હકીકત તો એ જ છે કે 400 પારના દાવાનું સુરસુરિયું થયું હોવાથી BJP જરા શાંત છે. વળી થપ્પડ મારીને ગાલ લાલ તો રાખવો પડે. આ સંજોગોમાં વિધાનસભાની ચૂંટણીમાં કંઇ કાચું ન કપાય એ BJP માટે જરૂરી છે. જમ્મુ કાશ્મીરમાં સંજોગો જુદાં છે પણ ત્યાં પણ લેન્ડમાઇન પર ચાલવા જેવી હાલત તો ખરી જ.
ગૃહમંત્રી અમીત શાહે મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં બેઠકો શરૂ કરી દીધી છે. હરિયાણામાં BJP કોઇપણ ગઠબંધન, કોઇના ય ટેકા વગર ચૂંટણી લડશે એવી જાહેરાત પણ કરી છે.
BJP માટે મહારાષ્ટ્રમાં સંતુલન જાળવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. BJP પાસે મહારાષ્ટ્રમાં બે સાથીઓ છે – એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજીત પવારવાળી NCP. આ બે પ્રાદેશિક પક્ષો સાથે મળીને BJP મહારાષ્ટ્રમાં પગદંડો જમાવવાની જહેમત કરે છે. જો કે લોકસભાની ચૂંટણીમાં BJP અને સાથીઓની કારી ફાવી નહીં. આમ પણ મહારાષ્ટ્ર પહેલેથી જ BJP માટે અઘરું રહ્યું છે.
INDIA અલાયન્સની વાત કરીએ તો આખું સંગઠન આવનારી ચૂંટણીમાં સાથે છે પણ હરિયાણામાં કોંગ્રેસ અને AAP એક થાય એવી કોઇ શક્યતા નથી એવું કોંગ્રેસના જયરામ રમેશે કહ્યું છે. આ તરફ મહારાષ્ટ્રમાં NCP (SP)ના શરદ પવારે પક્ષના કાર્યકરોને એમ કહીને પાવર બતાડ્યો છે કે મહારાષ્ટ્રમાં તો સત્તા આપણા હાથમાં જ રહેવાની છે.
મહારાષ્ટ્રમાં INDIA સંગઠનને મહા વિકાસ અઘાડીને નામે પણ ઓળખવામાં આવે છે અને તેમને અત્યારે BJP પોતાના મહારાષ્ટ્રનાં સાથીઓ સાથે જોડાઇને પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં ધુંઆધાર પ્રદર્શન ન કરી શકી તેનો નશો છે અને માટે એ પણ જોરમાં છે. પણ શું ઉદ્ધવ ઠાકરે જે મહારાષ્ટ્રમાં INDIA સંગઠનની ઓળખ બની રહેશે કે કેમ તે અંગે હજી સુધી કોઇ નક્કર જાહેરાત કરાઇ નથી. મહા વિકાસ અઘાડી હાલમાં એકમત અને યોગ્ય રીતે બેઠકોની વહેંચણી થાય તેની યોજનાની તડામાર તૈયારીમાં પડ્યા છે. નાના પક્ષોને સાથે વણી લેવાની તજવીજ પણ ચાલે છે.
2025નું વર્ષ આવી પહોંચશે પણ તે પહેલાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી થશે. હા, જેને કેન્દ્રમાં સત્તા પર બેસવું હોય અને ટકી રહેવું હોય એને માટે ઉત્તર પ્રદેશ સૌથી વધારે અગત્યનું રાજ્ય છે પણ રામ મંદિર પછી પણ જો BJPને અને યોગીને લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ ફળ્યું ન હોય તો આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં બધું સચવાઇ જાય એની પુરી તકેદારી રાખવી પડે.
BJPએ જો પોતાનું સિંહાસન જરાય ડોલે નહીં એમ રાખવું હોય તો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ – આ ત્રણમાંથી કમ સે કમ બે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીતવી પડે. જો એમ નહીં થાય તો પછી NDAમાં અંદરોઅંદર બબાલ થવાની પુરી શક્યતા છે. નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મની સ્થિરતાનો આધાર NDAના સભ્યો વિધાનસભાની ચૂંટણીમાં કેવો દેખાવ કરે છે તેની પર જ રહેલો છે. TDP અને JD (U) આ પરિણામો પર અને NDAનું અંતે શું થાય છે તેની પર ચાંપતી નજર રાખશે એ નક્કી.
આમ પણ મહારાષ્ટ્ર અને હરિયાણામાં BJPની સરકાર સાથીઓના સહકારથી બનેલી છે, ઝારખંડ મુક્તિ મોરચા અને સાથીઓની સરકાર ઝારખંડમાં છે. આ વર્ષે લોકસભાના પરિણામોમાં ઝારખંડમાં NDA કરતાં INDIA ગઠબંધને સારો દેખાવ કર્યો છે. ઝારખંડમાંમાં JMM, કોંગ્રેસ, RJD અને CPI (ML) અત્યારે તો પ્રચારના પ્લાનિંગમાં છે. હેમંત સોરેન યુવાનો અને મહિલાઓને લક્ષ્યમાં રાખીને કલ્યાણ યોજનાઓને અગ્રિમતા આપાય તેની પર કામ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેને આધારે વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અટકળ બાંધવી કે નહીં એ મોટો પ્રશ્ન છે. INDIA સંગઠનના નેતાઓનું માનવું છે કે લોકસભાના પરિણામોનો પ્રભાવ વિધાનસભાની ચૂંટણી પર પણ દેખાશે. બીજી તરફ 2014 અને 2019નું દ્રષ્ટાંત આપીને BJPના નેતાઓ એમ કહે છે કે દિલ્હી અને ઝારખંડમાં ત્યારે લોકસભાની ચૂંટણીમાં પક્ષનું પરિણામ સારું હોવા છતાં પણ 2015 અને 2020માં વિધાનસભાની ચૂંટણીમાં તો AAPની જીત થઇ હતી.
વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે એટલે લોકસભાના પરિણામોને આધારે કંઇપણ નક્કી કરવું યોગ્ય ન ગણાય. વળી લોકસભાની ચૂંટણી પહેલાં BJPએ જે રીતે વિરોધપક્ષોને દબાવવા માટે પગલાં લીધાં છે તેને કારણે વિરોધપક્ષો પ્રત્યે મતદાતાઓ કુમળાં પડ્યા છે. જેમ કે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નેતાઓ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ છે. આ સંજોગોમાં BJP માટે આવનારા કેટલાક મહિનાઓ બહુ અગત્યનાં છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં BJP તરફી જે પણ નકારાત્મક લાગણી હશે તેને દૂર કરવા BJPએ મથવું પડશે. ટેકેદારોને હાથમાં રાખવા પડશે, ગ્રામીણ વિસ્તારોમાં પહોંચવું પડશે અને ખેડૂતોના પ્રશ્નો સહિત બેરોજગારીથી માંડીને અગ્નિવીર પેપર લીક્સ જેવા પ્રશ્નોનો તાર્કિક અને નક્કર ઉકેલ લાવવો પડશે.
હરિયાણાની વાત કરીએ તો જ્યાં 2019માં BJPને દસ બેઠક મળી હતી ત્યાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં માત્ર પાંચ બેઠક મળી અને કોંગ્રેસને દસ બેઠક મળી. મહારાષ્ટ્રમાં સત્તા પર મહાયુતિની સરકાર હોવા છતાં BJP – NDA ના હાથમાં 17 બેઠકો જ આવી જ્યારે મહા વિકાસ અઘાડીને 3૦ બેઠકો પર જીત મળી. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સભ્યો છે અને હરિયાણમાં 90 સભ્યો છે.
હરિયાણામાં કોંગ્રેસને કળ વળી છે અને પાર્ટી ફરી બેઠી થઇ છે. લોકસભાની ચૂંટણી પહેલાં BJPના સરકારના મુખ્યમંત્રી નાયાબ સિંઘ સૈનીની હાલત કફોડી થઇ ગઇ હતી જ્યારે ત્રણ સ્વતંત્ર સાંસદોએ BJPને આપેલો પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. 2019 કરતાં 2024 સાવ અલગ છે કારણકે 2019માં તો BJP હરિયાણામાં એક માત્ર સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત થઇ હતી પણ હવે સમીકરણો બદલાઇ ગયાં છે કારણકે મનોહરલાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલા જેવા નેતાઓએ BJPનો સાથ છોડી દીધો છે.
મહારાષ્ટ્રમાં NCP અને BJP વચ્ચેના ખટરાગમાં વડાપ્રધાનની શપથ વિધીના કલાકો પહેલાં પણ તણખા ઝર્યા જ્યારે BJPના પ્રફુલ્લ પટેલને સમાવી લેવાના પ્રસ્તાવને NCPએ નકાર્યો. પ્રફુલ્લ પટેલ અજીત પવાર જૂથના છે. તેમણે મિનિસ્ટર ઑફ સ્ટેટના પદનો અસ્વીકાર કરતાં એમ કારણ આપ્યું કે પોતે પહેલાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હોય તે જો રાજ્ય સ્તરે મંત્રી પદ સ્વીકારે તો તે પોતાની પ્રતિષ્ઠાને છાજે નહીં. આ બધી ભાંજગડ એ વાતની સાબિતી આપે છે કે મહારાષ્ટ્રની મહાયુતિમાં ઘણી ગરબડ અને ઉચાટ છે. શરદ પવારનું કહેવું છે કે BJPએ અજિત પવાર જૂથને સંગઠનમાંથી નીકળી જવા કહ્યું છે. NCP અને BJPનું જોડાણ BJPને નુકસાન કરે છે એવું વર્તાય છે અને માટે BJP હવે જુદી ગોઠવણ કરવાની મથામણમાં છે.
બિહારમાં ચૂંટણીને હજી વાર છે પણ ત્યાં પણ માળખાકીય સુવિધાઓને નામે જે ગોટાળા થયા છે તે અંગે સરકાર કંઇ જવાબ આપી શકે તેમ નથી. તૂટી પડેલા પુલોના કાટમાળ નીચે સરકારના ઢાંસુ દાવાઓ કણસી રહ્યા છે. ત્યાં વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં BJPએ ઘણું બધું સાચવવાનું રહેશે નહીંતર ‘હવેલી લેતાં ગુજરાત ખોઇ’ જેવો ઘાટ થઇ શકે છે. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ધોયેલા મૂળાં જેવા હાલ ન થાય એ માટ પણ BJP એડીચોટીનું જોર લગાડી રહી છે. ટૂંકમાં BJPએ કમર કસવાની જરૂર છે નહીંતર દાવાઓનો શોર પછી હાથમાં આવેલો અડધો રોટલો ગળે નહીં ઉતરે એ ચોક્કસ.

To Top