Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના પૂર્વ પટ્ટીના આદિવાસી નેત્રંગ તાલુકામાં ૫૯ વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં (School) ચાલુ વર્ગખંડમાં (Class) શુક્રવારે બપોરે સ્લેબનો (Slab) પોપડો તૂટી પડતાં ધોરણ-૧૦ની ૮થી વધુ વિદ્યાર્થિનીઓ (Student) ઇજાગ્રસ્ત થઈ હતી.

નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ-૧૦ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં ૮થી વધુ વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત થઈ હતી. મોરિયાણા ગામે શ્રી મોરિયાણા વિભાગ કેળવણીમંડળ સંચાલિત શ્રી નવરંગ વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ-૧૯૬૪માં સ્થાપના કરાઈ હતી. શાળા ૫૯ વર્ષમાં સમારકામ અને સારસંભાળના અભાવે જર્જરિત અને જોખમી બની ગઈ હતી. શુક્રવારે બપોરે ૧૨.૩૦ કલાકે જ ધોરણ-૧૦ની 60 જેટલી વિદ્યાર્થિનીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહી હતી. ત્યારે જ એકાએક જર્જરિત છતમાંથી સ્લેબનો મોટો પોપડો તૂટીને નીચે પડતાં છાત્રાઓની બૂમરાણ વચ્ચે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને લઈ અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. શાળા સંચાલકો પણ ગભરાટ વચ્ચે રઘવાયા બની દોડતા થઈ ગયા હતા.

  • શ્રી નવરંગ વિદ્યામંદિરમાં ચાલુ શાળાએ સ્લેબના પોપડા પડ્યા
  • ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અંકલેશ્વર હોસ્પિટલમાં ખસેડાઈ

લોહી નીકળતી હાલતમાં ઇજાગ્રસ્ત થયેલી આદિવાસી વિદ્યાર્થિનીઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી. જ્યાં વધુ ઇજાગ્રસ્ત છાત્રાઓને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
આ ઘટનામાં હાલ વિદ્યાર્થિનીઓનો ચમત્કારિક બચાવ થયો છે અને મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. ત્યારે ગ્રામજનો અને વિદ્યાર્થિનીઓના વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. આ ઘટના બાદ સરકારી અને શિક્ષણ તંત્ર પણ હલચલમાં મચી ગઈ હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની ખબર લેવા માટે તાબડતોબ હોસ્પિટલે ધસી ગયા હતા.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ ટેલીફોનીક વાતચીત જણાવ્યું કે, ધો-૧૦માની પ્રિલિમિનરી પરીક્ષા પૂરી થઇ ગઈ હતી. જો કે, હાલમાં બોર્ડના પેપર સોલ્યુશન કરવા માટે બોલાવેલા હતા. એ વેળા સ્લેબ તૂટતા જ ઘટના ઘટી છે. જે માટે સંસ્થાને લેખિતમાં નોટિસ આપી છે.

To Top