Gujarat

ગુજરાતમાં 4 વર્ષમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 58,430 લોકોને રોજગારી અપાઈ

ગાંધીનગર: કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ ગુજરાતમાં (Gujarat) 2018-19થી ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 58,430 વ્યક્તિઓને રોજગારી (Employment) આપવામાં આવી હતી. ટોચના પાંચ ક્ષેત્રોમાં એપેરલ, લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર અને આઇટી-આઇટીઇએસ તથા રિટેલ ક્ષેત્રમાં ગુજરાતમાં સૌથી વધુ રોજગારી આપવામાં આવી છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું.

રાજીવ ચંદ્રશેખરે વધુમાં કહ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2018-19થી ડિસેમ્બર 2022 સુધી કુલ 17,29,389 લોકોને PMKVY હેઠળ રોજગારી આપવામાં આવી છે. ગુજરાતમાં PMKVY હેઠળ પ્રશિક્ષિત 16,348 લોકોને રોજગારી આપવા સાથે એપેરલ સેક્ટર ટોચનો ઉદ્યોગ રહ્યો છે, ત્યારબાદ લોજિસ્ટિક્સ 7,214, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર 6,814, આઇટી-આઇટીઇએસ 5,785 અને રિટેલ ક્ષેત્ર 4,222 આવે છે.

સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) વિવિધ યોજનાઓ હેઠળ દેશભરમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો/સંસ્થાઓના વ્યાપક નેટવર્ક દ્વારા કૌશલ્ય તાલીમ આપે છે, જેમકે પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY), જન શિક્ષણ સંસ્થાન (JSS), નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ (NAPS) અને ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ (CTS) જેવાં કાર્યક્રમોનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) દ્વારા સંચાલન કરવામાં આવે છે.

Most Popular

To Top