Trending

પદ્મિની એકાદશી 2026: આજે કે કાલે રાખવો વ્રત? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, વ્રત કથા,પારણનો સમય

હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે, પરંતુ અધિક માસ (પુરુષોત્તમ માસ) દરમિયાન આવતી પદ્મિની એકાદશીને અત્યંત દુર્લભ અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ એકાદશી ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે અને માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત અને પૂજન કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે, સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે ભક્તોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે પદ્મિની એકાદશીનું વ્રત 26 મેના રોજ રાખવું કે 27 મેના રોજ? પંચાંગ મુજબ તેનું સ્પષ્ટ ઉત્તર સામે આવ્યું છે.

પદ્મિની એકાદશી ક્યારે છે?
ધાર્મિક પંચાંગ અનુસાર પદ્મિની એકાદશીનું વ્રત બુધવાર, 27 મે 2026ના રોજ રાખવામાં આવશે. એકાદશી તિથિનો પ્રારંભ 26 મેના રોજ સવારે લગભગ 5:10 વાગ્યે થાય છે અને સમાપ્તિ 27 મેના રોજ સવારે લગભગ 6:21 વાગ્યે થાય છે. એકાદશી તિથિ સૂર્યોદય સમયે 27 મેના દિવસે વર્તમાન હોવાથી વ્રત માટે 27 મેની તારીખ માન્ય ગણવામાં આવે છે.

પદ્મિની એકાદશીનું ધાર્મિક મહત્વ
અધિક માસમાં આવતી પદ્મિની એકાદશી ત્રણ વર્ષમાં માત્ર એક વખત આવે છે. પુરાણોમાં જણાવાયું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી હજારો યજ્ઞો અને તીર્થયાત્રા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે અને ભક્તને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. માન્યતા મુજબ જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે આ વ્રત કરે છે તેને ધન, સુખ, સંતાન અને યશની પ્રાપ્તિ થાય છે. સાથે જ જન્મ-મરણના બંધનમાંથી મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે.

પદ્મિની એકાદશીનો શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે.
મહત્વપૂર્ણ સમય:
એકાદશી તિથિ શરૂ: 26 મે 2026, સવારે 5:10 વાગ્યે
એકાદશી તિથિ સમાપ્ત: 27 મે 2026, સવારે 6:21 વાગ્યે
વ્રતની મુખ્ય તારીખ: 27 મે 2026
પારણનો સમય: 28 મે 2026, સવારે 5:25 થી 7:56 સુધી
દ્વાદશી સમાપ્તિ: 28 મે 2026, સવારે 7:56 વાગ્યે,

પૂજા વિધિ કેવી રીતે કરવી?
પદ્મિની એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું. ત્યારબાદ સ્વચ્છ અને પીળા અથવા સફેદ વસ્ત્રો ધારણ કરવા.
ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરીને પૂજન કરવું. ભગવાનને પીળા ફૂલ, તુલસીના પાન, ચંદન, ફળ અને પંચામૃત અર્પણ કરવા.વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભગવદ ગીતા અને “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. સાંજે ઘીનો દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુની આરતી કરવી.

વ્રત દરમિયાન શું કરવું?
વ્રતધારીઓએ દિવસભર ભગવાનના નામનું સ્મરણ કરવું. શક્ય હોય તો નિર્જળ અથવા ફળાહાર વ્રત કરવું. ઘણા ભક્તો માત્ર ફળ, દૂધ અને સૂકા મેવા લઈને પણ વ્રત કરે છે.એકાદશીના દિવસે ચોખા, ઘઉં, દાળ અને અનાજનું સેવન ન કરવું. તામસિક ભોજન, ક્રોધ, અસત્ય અને ખરાબ વિચારોનો ત્યાગ કરવો.

પદ્મિની એકાદશી વ્રત કથા
પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન સમયમાં રાજા કૃતવીર્ય અને તેમની પત્ની રાણી પદ્મિનીને સંતાન પ્રાપ્તિ થતી નહોતી. અનેક યજ્ઞો અને ઉપાયો છતાં સફળતા મળી નહોતી.એક દિવસ ઋષિઓએ તેમને અધિક માસમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. રાણી પદ્મિનીએ સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે વ્રત કર્યું. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમને તેજસ્વી પુત્રનો આશીર્વાદ આપ્યો. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી તેમને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સંતાન સુખ પ્રાપ્ત થયું. ત્યારથી આ એકાદશી “પદ્મિની એકાદશી” તરીકે જાણીતી બની.

પારણ ક્યારે કરવું?
એકાદશી વ્રતનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ પારણનું પણ છે. વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં જ કરવું જોઈએ.
આ વર્ષે પદ્મિની એકાદશીનું પારણ 28 મે 2026ના રોજ સવારે 5:25 વાગ્યાથી 7:56 વાગ્યા સુધી કરવું શુભ માનવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુને ભોગ અર્પણ કરીને વ્રત પૂર્ણ કરવું જોઈએ.

શું મળે છે પદ્મિની એકાદશીનું ફળ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી:
પાપોનો નાશ થાય છે
સંતાન સુખની પ્રાપ્તિ થાય છે
આર્થિક સમૃદ્ધિ મળે છે
જીવનમાં સુખ-શાંતિ આવે છે
ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે
અંતે મોક્ષનો માર્ગ સરળ બને છે.

અધિક માસમાં આવતી આ દુર્લભ એકાદશી ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં તેનું વિશેષ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. તેથી ભગવાન વિષ્ણુના ભક્તો માટે 27 મે 2026નો દિવસ વિશેષ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું આ વ્રત જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક કલ્યાણ લાવનાર માનવામાં આવે છે.

Most Popular

To Top