Top News

More Posts

   The Latest

Most Popular

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક દુર્ઘટના ઘટી જેમાં ઓછા માં ઓછા 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ અકસ્માત રામનગર વિસ્તારમાં કાગોર્ટ ગામ નજીક બન્યો હતો. માહિતી મુજબ, મુસાફરો ભરેલી બસ ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે સવારે લગભગ 10 વાગ્યે બ્લાઈન્ડ વળાંક (Blind Curve) પાર કરતી વખતે નિયંત્રણ ગુમાવીને પહાડી પરથી નીચે ખીણમાં લપસી ગઈ હતી.

અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે બસમાંથી ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં મદદ કરી. બાદમાં પોલીસ અને રાહત-બચાવ દળો પણ સ્થળ પર પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન તેજ બનાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે બસના કાટમાળમાંથી 15 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 20 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ અકસ્માત અંગે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી હતી અને ગંભીર ઇજાગ્રસ્તોને જરૂરી સારવાર માટે એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને પ્રશાસન દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

To Top