Top News

More Posts

   The Latest

Most Popular

તલાટીના અહેવાલમાં દબાણ સાબિત છતાં સરપંચનો નોટિસ પર સહી કરવાનો ઇનકાર

પ્રતિનિધિ ગોધરા તા.07
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી લડત ચલાવી રહેલા 70 વર્ષના વૃદ્ધ અરજદાર કાનાભાઈ રામાભાઈ પરમારે છેવટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. પઢીયાર ગામના મુખ્ય માર્ગ પર વગદાર તત્વો દ્વારા પાકી દીવાલો અને કોર્ટ બનાવી રસ્તો અત્યંત સાંકડો કરી દેવામાં આવ્યો હોવાથી ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટર જેવા ઇમરજન્સી વાહનો પણ પ્રવેશી શકતા નથી અને ગામના ચાર જેટલા મુવાડામાં જવા માટે સામાજિક પ્રસંગોમાં લક્ઝરી અને એસ.ટી. બસની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે.

આ બાબતે ફેબ્રુઆરી 2025માં યોજાયેલા જિલ્લા સ્વાગતમાં પંચમહાલ કલેક્ટર દ્વારા 15 દિવસમાં દબાણ દૂર કરવા અને દબાણકર્તાઓને છાવરતા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ગોધરાને કડક આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, કલેક્ટરના લેખિત આદેશને 18 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારનો આક્ષેપ છે કે ટીડીઓ ગોધરા દ્વારા “રોડ બની ગયો હોવાથી હવે દબાણ હટાવવાની જરૂર નથી” તેવો ભ્રામક બચાવ કરી કલેક્ટરના આદેશનો અનાદર કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ સરપંચ પોતાના સગાઓના દબાણ હોવાથી નોટિસ પર સહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના દબાણોને કારણે સાઈડ સોલ્ડરનું કામ પણ થઈ શક્યું નથી જે સરકારી નાણાંનો વ્યય ગણાય. આ વહીવટી નિષ્ક્રિયતા સામે લડતા થાકેલા વૃદ્ધ નાગરિકે હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ મળીને જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા અને દબાણો ખુલ્લા કરવા લેખિત ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઇન અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટર: આશિષ બારીયા

To Top