National

21 વર્ષની આ અભિનેત્રીએ વજન ઘટાડવા સર્જરી કરાવી, ફેફસામાં પાણી ભરાતા થયું મોત

બેંગ્લોર: કન્નડ અભિનેત્રી (Kannada actress) ચેતના રાજનું સોમવારે નિધન (Death) થયું છે. મળતી માહિતી મુજબ પ્લાસ્ટિક સર્જરી (Surgery) દરમિયાન થયેલી ભૂલને કારણે તેમનું મોત થયું છે. અભિનેત્રીને સોમવારે ‘ફેટ ફ્રી’ સર્જરી માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંજે એક્ટ્રેસની તબિયત અચાનક બગડવા લાગી, તેમના ફેફસામાં પાણી જમા થવા લાગ્યું અને તેમનું નિધન થયું હતું.

ડોક્ટર પર બેદરકારીનો આરોપ
હોસ્પિટલમાં સર્જરી પછી અભિનેત્રીના શરીરમાં કેટલીક તકલીફો શરૂ થઈ હતી. તેમજ અભિનેત્રીના ફેફસામાં પ્રવાહી જમા થવા લાગ્યું, જેના પછી ચેતનાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ અભિનેત્રીના માતા-પિતાએ ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને હોસ્પિટલના પ્રશાસન સામે ફરિયાદ પણ કરી છે.

અભિનેત્રી માતા-પિતાની જાણ બહાર સર્જરી કરાઇ રહી હતી
મળતી માહિતી મુજબ અભિનેત્રીએ સર્જરી વિશે તેના માતાપિતાને જાણ કરી ન હતી અને તે તેના મિત્રો સાથે હોસ્પિટલમાં ગઈ હતી. હવે ચેતનાના માતા-પિતા ડૉક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડૉક્ટરની ભૂલને કારણે તેમની દીકરીનું અકાળે મૃત્યુ થયું છે.

ચેતનાના કાકાએ મૃત્યુની વિગતો શેર કરી
ચેતનાના મૃત્યુની માહિતી તેના કાકાએ શેર કરી છે. અભિનેત્રીના અંકલ રાજપ્પાએ કહ્યું- તે મારા નાના ભાઈની દીકરી હતી. તે કન્નડ ટીવી સિરિયલ્સમાં કામ કરતી હતી. કોઈએ તેને કહ્યું કે તે જાડી દેખાઈ રહી છે અને તેણે વજન ઘટાડવું જોઈએ. આવી સ્થિતિમાં તે વજન ઘટાડવા માટે શેટ્ટી હોસ્પિટલમાં ફેટ ફ્રી સર્જરી કરાવવા માટે ગઈ હતી. હોસ્પિટલમાં ICU ન હતું અને સર્જરી થઇ ગઇ હતી. સર્જરી બાદ તેના ફેફસામાં પાણી જમા થવા લાગ્યું હતું. આ પછી ચેતનાને નજીકની અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ ચેતનાને મૃત જાહેર કરી હતી.

ઘણા ટીવી શોમાં કામ કરીને પોતાની ખાસ ઓળખ બનાવી હતી
ચેતનાના કરિયરની વાત કરીએ તો તે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તેમણે ઘણા ટીવી શોમાં કામ કરીને પોતાની ખાસ ઓળખ બનાવી હતી. ચેતના ગીતા અને ડોરેસાની સિરિયલોમાં તેની અદભૂત ભૂમિકાઓ માટે જાણીતી છે. ચેતનાના આ દુનિયામાંથી આકસ્મિક વિદાયથી તેમના પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે. ચેતનાના નિધનના સમાચારથી તેમના ચાહકો દુઃખી છે.

Most Popular

To Top