Top News

More Posts

   The Latest

Most Popular

કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) અવિરત વરસાદ (Rain) ચાલુ છે. જમ્મુ-કાશ્મીર ડિવિઝનમાં ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. રામબનના મેહર અને કાફેટેરિયા વળાંકમાં ભૂસ્ખલન (Landslide) થવાથી જમ્મુ-શ્રીનગર હાઈવે (Highway) બંધ થઈ ગયો છે. જેના કારણે હજારો વાહનો રસ્તામાં જ ફસાઈ ગયાં હતાં. શનિવારે સવારે પડેલા વરસાદે અમરનાથ યાત્રાને પણ અસર કરી છે. મુસાફરોને અલગ-અલગ વિસ્તારોમાં સુરક્ષિત સ્થાનો પર રોકવામાં આવ્યાં છે. વૈષ્ણોદેવીની પહાડીઓ પર ધુમ્મસના કારણે હવાઈ સેવા પુનઃસ્થાપિત થઈ શકી નથી. નોંધપાત્ર રીતે અવિરત વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. બુધવારે બંધ કરાયેલો રાષ્ટ્રીય ધોરી માર્ગ ગુરુવારે બપોરે ખુલ્લો થયો હતો. દરમિયાન, પોલીસે ફસાયેલાં વાહનોને જમ્મુ અને ઘાટી તરફ રવાના કરાયાં હતાં.

ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ વાહનો પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક રામબનમાં પર્વત પરથી પથ્થરો પડવા લાગ્યા હતા અને હાઈવે ફરીથી બંધ થઈ ગયો હતો. સતત પથ્થર પડવા અને રાત પડવાના કારણે હાઇવે ખુલ્લો કરવાની કામગીરી શરૂ થઇ શકી નથી. શુક્રવારે વહેલી સવારે કામ શરૂ થયું હતું અને સવારે 7 વાગ્યા સુધીમાં હાઇવે ખોલવામાં સફળતા મળી હતી. હાઈવે ખોલવા પર પોલીસે પહેલા અધવચ્ચે ફસાયેલાં વાહનોને ખીણ અને જમ્મુ તરફ મોકલ્યાં હતાં. ત્યાર બાદ ઉધમપુરમાં રોકાયેલાં વાહનોને ઘાટી તરફ મોકલવામાં આવ્યાં હતાં. સાંજે 4 વાગ્યે ઉધમપુરમાં રોકાયેલી ટ્રકોને પણ ખીણ તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. શનિવારે, હાઇવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર અટકી ગઈ હતી.

ભૂસ્ખલન અને પહાડીઓ પરથી પથ્થરો પડવાને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી અમરનાથ યાત્રિકોને કાશ્મીર મોકલવામાં આવ્યા ન હતા. રામબનના ચંદ્રકોટ યાત્રી નિવાસ ખાતે ફસાયેલા બેચને છેલ્લા દિવસથી રવાના કરવામાં આવ્યા હતા, જે સાંજ સુધીમાં સંબંધિત બેઝ કેમ્પમાં પહોંચી ગયા હતા. અમરનાથ યાત્રા પરંપરાગત બાલતાલ અને પહેલગામ માર્ગોથી ચાલુ રહે છે. હવામાનના પડકાર છતાં દેશભરમાંથી દરરોજ હજારો શિવભક્તો જમ્મુ-કાશ્મીર પહોંચી રહ્યા છે. જમ્મુના ભગવતી નગરના બેઝ કેમ્પમાં લગભગ 2000 શ્રદ્ધાળુઓને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સેંકડો ભક્તો સરાઈ વગેરે અન્ય સ્થળોએ રોકાયા છે.

To Top