National

યુપીના હાથરસમાં કાવડિયાઓ ઉપર ટ્રક ફરી વળતાં છનાં મોત

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): દક્ષિણના રાજ્યોમાં હજુ શ્રાવણ મહિનો(Shravan Month) શરૂ થયો નથી પરંતુ ઉત્તરના રાજ્યોમાં દક્ષિણના રાજ્યો કરતાં 15 દિવસ વહેલો શ્રાવણ મહિનો શરૂ થઇ જાય છે. અહીં શ્રાવણ મહિના દરમિયાન કાવડ યાત્રા(Kawad Yatra)નું અનોખું મહત્વ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર(Bihar)માં તો 70 ટકા લોકો કાવડ યાત્રામાં જોડાઇ છે અને શ્રાવણ મહિનામાં આ યાત્રા કરવાનું ખૂબ મોટુ ધાર્મિક મહત્વ છે. ખાસ કરીને ગંગા(Ganga) કિનારાના વિસ્તારો ગંગામાંથી પાણી કળશમાં ભરે છે અને તેને કાવડમાં મૂકીને પછી શિવમંદિરે(Shiv Temple) પહોંચે છે અને શિવનો જળાભિષેક કરે છે. આ રીતે કાવડ યાત્રા થાય છે દરમિયાન આજે આ યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના(Accident) સર્જાઇ હોવાના સમાચાર મળી રહ્યાં છે.

કાવડિયાઓને કચડી ટ્રક ચાલક ફરાર
કાવડ લઇને હરિદ્વારથી પરત આવી રહેલા સાત કાવડિયાઓને આજે શનિવારે અઢી વાગ્યાની આસપાસ હાથરસ નજીક ટ્રકે(Truck) કચડી નાંખ્યા હતા. જે પૈકી છનાં તો ઘટના સ્થળે જ મોત(Death) થઇ ગયા હતા જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો. આ બનાવ બનતાની સાથે જ પોલીસ(Police) ઘટનાસ્થળે ધસી ગઇ હતી અને સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. તમામ મૃતકો મધ્યપ્રદેશનાગ્વાલિયરના વતની છે.

પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી
આ ઘટના અંગે આગ્રા ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે કહ્યું હતું કે, પોલીસને ટ્રક ચાલકની માહિતી મળી ગઇ છે અને તેને પકડવા માટે ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ ઘટના માટે ડ્રાઇવરની બેદરકારી જવાબદાર છે. કાવડિયા રસ્તાની સાઇડ ઉપર ચાલી રહ્યાં હતાં. તેમ છતાં પણ ચાલકે તેમને ટ્રક નીચે કચડી નાંખ્યા હતાં. ડ્રાઇવર નશામાં હોવાની શક્યતા છે કારણ કે તો જ તે રસ્તાની સાઇડ ઉપર ચાલતા કાવડિયાઓને જોઇ શક્યો ન હશે. એડીજીના આ નિવેદન પછી પોલીસે ટૂંક સમયમાં જ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ટ્રક ગ્વાલિયરના ઠાકુર ટ્રાન્સપોર્ટની હતી અને ચાલકનું નામ પ્રવેશ છે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટના બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કાવડિયાઓના અકસ્માતના મોતના ખૂબ જ દુ:ખદ સમાચાર તેમને મળ્યાં છે. ભગવાન તેમના પરિવારજનોને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે. અત્રે ઉલ્ખેનીય છે કે, દર વર્ષે કાવડ યાત્રા દરમિયાન આ પ્રકારના ગંભીર અકસ્માતોના બનાવ બને છે. જેનું સૌથી મોટુ કારણ એ માનવામાં આવે છે કે કાવડ યાત્રા રાત્રિ દરમિયાન જ થાય છે કારણ કે, વહેલી સવારે જ ભક્તો જુદા જુદા મહાદેવના મંદિરે પહોંચીને જળાભિષેક કરતાં હોય છે. આ યાત્રા કરનારને કાવડિયા તરીકે ઓળખવામાં આવે છે અને કાવડિયાઓ અંધારામાં રસ્તાની સાઇડમાં જ ચાલતા હોય છે પરંતુ વાહન ચાલકો તેમને જોઇ શકતા નથી. અગાઉ અનેક વખત કાવડ યાત્રા દરમિયાન કેટલાક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ પણ કરવામાં આવ્યા હતાં.

Most Popular

To Top