National

દિલ્હી: દારૂ કૌભાંડમાં AAPના સંજય સિંહને જામીન મળ્યા, 6 મહિના પછી જેલમાંથી મુક્તિ

નવી દિલ્હી: (New Delhi) આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને (Sanjay Singh) જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તેમને જામીન (Bail) આપ્યા છે. દિલ્હી લિકર પોલિસી સંબંધિત કૌભાંડના કેસમાં તે 6 મહિના જેલમાં હતો. કોર્ટના નિર્ણય અનુસાર સંજય સિંહ રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે.

દિલ્હીમાં રાજકીય ગરમાવા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને જામીન મળી ગયા છે. તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. મોટા સમાચાર એ પણ છે કે EDએ સંજય સિંહના જામીનનો વિરોધ કર્યો નથી. એટલે કે સંજય સિંહને EDની સંમતિ બાદ જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેને દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન આપવા સામે કોઈ વાંધો નથી. આ પછી સુપ્રીમ કોર્ટે સંજય સિંહને જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે EDને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર કેમ છે? સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી અને મની ટ્રેલ પણ મળી નથી. આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે AAP સાંસદના વકીલની એ દલીલને સ્વીકારી હતી કે સંજય સિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની સામે 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ થઈ શકે છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગત વર્ષે 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. EDએ અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે સંજય સિંહ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં દારૂ (કંપની) જૂથો પાસેથી લાંચ લેવાના કાવતરાનો ભાગ હતા. દિલ્હીની આબકારી નીતિ ઓગસ્ટ, 2022 માં રદ કરવામાં આવી હતી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે બાદમાં CBIને કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

Most Popular

To Top