Vadodara

વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન​

વાઘોડિયાના ધારાસભ્યની ખુલ્લી ચીમકી; કહ્યું- જો કોઈ પેનલ તોડીને જીતશે તો તેને પણ ઘર ભેગો કરી દઈશ, કંઈ પણ થાય મને ફોન કરજો

વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પ્રચાર મેદાનમાં હવે ભાષાની મર્યાદા ઓળંગાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. વાઘોડિયા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક જાહેર ચૂંટણી સભામાં ખુલ્લેઆમ ધમકીભર્યું નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ચૂંટણી સભાને સંબોધતા ધારાસભ્યએ આક્રમક તેવરમાં મતદારો અને કાર્યકરોને જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ કમળ (ભાજપ) સિવાય અન્ય કોઈને મત આપવાની વાત કરે અથવા ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે આવે, તો તુરંત તેમને ફોન કરીને જાણ કરવી. તેમણે મંચ પરથી લુખ્ખી ધમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, ભાજપ સિવાયની કોઈ પણ વાત કરનારને તેઓ ‘સીધો કરી નાખશે’. આ નિવેદનને પગલે ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો સામે સવાલો ઉભા થયા છે.
વધુમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પક્ષની શિસ્ત અને પેનલનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર પેનલ તોડીને અથવા અપક્ષ રીતે જીતવાનો પ્રયાસ કરશે કે જીતી જશે, તો પણ તેને પક્ષમાં ટકવા દેવામાં નહીં આવે અને તેને ‘ઘર ભેગો’ કરી દેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં માત્ર ‘કમળ, કમળ અને કમળ’ જ ચાલવું જોઈએ. જો કોઈ ઉમેદવાર મતદારોને એમ કહે કે એક મત મને આપજો અને બાકીના તમારી મરજી મુજબ આપજો, તો તેવા જીતેલા ઉમેદવારને પણ સત્તા પરથી હટાવી દેવાની ચીમકી તેમણે આપી હતી.
ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વડોદરાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષો દ્વારા આને સત્તાનો અહંકાર અને મતદારોને ડરાવવાનો પ્રયાસ ગણાવવામાં આવી રહ્યો છે. ચૂંટણી ટાણે જ ધારાસભ્ય દ્વારા અપાયેલી આ ખુલ્લી ધમકીને પગલે ચૂંટણી પંચ કોઈ પગલાં લે છે કે કેમ તે જોવું રહ્યું.

Most Popular

To Top