Godhra

લો કરો વાત, પત્રકાર બે દિવસ પહેલા માહિતી આપશે તો શ્રમ વિભાગ બાળ મજૂરી રોકવા જશે

પંચમહાલ શ્રમ વિભાગે પોતાનો બચાવ કરતા બાળમજૂરી પકડવા પત્રકાર પાસે બે દિવસ અગાઉ માહિતી માંગી

ગામોમાં રેડ નિષ્ફળ જતાં ગોધરા શ્રમ વિભાગનો લૂલો બચાવ

પત્રકાર બે દિવસ પહેલા માહિતી આપે તો જ કાર્યવાહી કરીશું તેવો ઉડાઉ જવાબ

પ્રતિનિધિ ગોધરા તા.23
પંચમહાલ જિલ્લાના ગામડાઓમાં લગ્નગાળામાં ખુલ્લેઆમ ચાલતી બાળમજૂરી અંગે અહેવાલો અને પુરાવાઓ રજૂ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા અને જવાબદારીમાંથી છટકવા માટે ગોધરાની મદદનીશ શ્રમ આયુક્ત કચેરી દ્વારા જવાબદારીમાંથી હાથ ખંખેરતો પત્ર પાઠવવામાં આવ્યો છે. શ્રમ વિભાગે પત્રકારને સત્તાવાર પત્ર લખીને જણાવ્યું છે કે જો લગ્ન પ્રસંગમાં ક્યાંય બાળમજૂરી થતી હોય તો તેની માહિતી પત્રકારે બે દિવસ પહેલાં કચેરીને આપવી, જેથી વિભાગ કાર્યવાહી કરી શકે. આ દર્શાવે છે કે કાયદાનું પાલન કરાવવાની પોતાની બંધારણીય ફરજ શ્રમ વિભાગ હવે મીડિયા પર ઢોળી રહ્યું છે.



ગોધરાના મદદનીશ શ્રમ આયુક્ત એમ. જે. સોનીની સહીથી તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, ગત ૧૬ એપ્રિલના પત્રના સંદર્ભમાં જિલ્લાની ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ૧૮ એપ્રિલના રોજ રાત્રે ૮ કલાકે શહેરા તાલુકાના સાંપા, ચલાલી, પાદરડી, ગોરાડા, માતરીયા, મંગલપુર, સુરીલી અને ભેંસાલ ગામોમાં રાત્રિ રેડ કરવામાં આવી હતી.જોકે, તંત્રની આ રેડ દરમિયાન એક પણ બાળમજૂર જણાઈ આવ્યો ન હતો તેવો લૂલો બચાવ કરવામાં આવ્યો છે.

રેડમાં કોઈ ન મળતાં શ્રમ વિભાગે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, આવનાર સમયમાં લગ્નો વિશે સ્પષ્ટ માહિતી હોય તો અગાઉથી ૨ દિવસ પહેલા અત્રેની કચેરીને જાણ કરવી, જેથી ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી શકાય. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ગુપ્તચર માહિતી એકઠી કરવી, નેટવર્ક બનાવવું અને કાયદાનું પાલન કરાવવું એ પત્રકારનું કામ છે? બાળમજૂરી રોકવા માટે સ્થાનિક પોલીસ, તલાટી કે સરપંચનું નેટવર્ક ઊભું કરવાની પ્રાથમિક જવાબદારી શ્રમ વિભાગ અને વહીવટી તંત્રની છે.

જાગૃત મીડિયાનું કામ માત્ર વ્યવસ્થાની ખામીઓ તરફ તંત્રનું ધ્યાન દોરવાનું હોય છે, નહીં કે વિભાગ માટે બાતમીદાર તરીકેની નોકરી કરવાનું. ગોધરા શ્રમ કચેરીમાંથી મળેલા આ પત્ર પરથી ફલિત થાય છે કે પંચમહાલ જિલ્લામાં શ્રમ કાયદાઓનો અમલ કરાવવા માટે તંત્ર પાસે પોતાનું કોઈ જ વ્યવસ્થિત નેટવર્ક નથી. માત્ર પત્રકાર માહિતી આપે તો જ કાર્યવાહી કરવા જવાનું, તેવો અભિગમ અપનાવીને બેસી રહેલું આ તંત્ર બાળમજૂરી નાબૂદ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શ્રમ વિભાગે પોતાની જવાબદારી સમજવાની અને જમીની સ્તરે કામગીરી કરવાની તાતી જરૂરિયાત છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top