Charchapatra

શહેરની શાન

ઇમાનદારી, પ્રામાણિકતા હજી સુધી મરી પરવારી નથી, તેનું જીવતું ઉદાહરણ છે રીક્ષાવાળો કાલુ – કાલીદાસ. ચોકબજારનો કાલીદાસ અત્યંત સાધારણ પરિવારનો ખૂબ મહેનતુ અને ખંતીલો યુવાન.  શુક્રવાર તા. 25 માર્ચ સમય સાંજે ૭-૦૦ ની આસપાસનો. એક પેસેન્જરને (રીક્ષામાં એક જ પેસેન્જર હતો) ઉતારીને પાછો ફરતો હતો. રીક્ષામાં પાછળ સીટના ખૂણામાં થેલી જોઇ. સહજ કુતૂહલવશ જોતાં એ થેલીમાં દોઢ લાખ રૂપિયા રોકડા (પાંચસોવાળા ત્રણ બંડલ!) એની રીક્ષામાં અવારનવાર બેસનાર એ વ્યકિતનું ઘર એણે જોયું હતું. પહોંચી ગયો પેલાને ઘેર. દોઢ લાખ રૂપિયાની થેલી પરત કરી. થેલી જોતાં જ પેલો માલિક અત્યંત ભાવુક અને ગદ્ગદિત થઇ ગયો. ગુમાવેલા પૈસા પાછા મળ્યા.  શહેરના ૬૦-૭૦ હજાર રીક્ષાવાળામાંથી આવો ઇમાનદાર રીક્ષાવાળો આજના મોંઘવારી, લૂંટફાટના જમાનામાં ભાગ્યે જ જોવા મળે. સૂરતના પોલીસ તંત્રને વિનંતી છે કે સદર રીક્ષાવાળાને તાકીદે બોલાવીને પ્રોત્સાહિત કરીને એનું અભિવાદન કરવું જોઇએ. જેથી સમાજમાં સાચાં નૈતિક મૂલ્યોની જાળવણી થશે. જયાં આજે દેશના દરેક ક્ષેત્રમાં ખૂણે – ખૂણે વ્યાપક બેઇમાની ભ્રષ્ટાચાર ચાલી રહ્યાં છે, તેવા માહોલમાં આવો એક સાધારણ રીક્ષાવાળો કાલીદાસ આપણા શહેરની શાન કહેવાય.
પાલ-ભાઠા રમેશ એમ. મોદી          – નીરુબેન બી. શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top