Top News

More Posts

   The Latest

Most Popular

ગુજરાતમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP ૨૦૨૦) નો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. આ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં મોટો બદલાવ લાવીને મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ દાખલ કરાઈ. જે મુજબ વિદ્યાર્થી ત્રણ વર્ષે ડિગ્રી મેળવી શકે છે અને ચોથું વર્ષ પૂર્ણ કરીને ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી મેળવી શકે છે. હવે આ નીતિના અમલને ત્રણ વર્ષ પૂરાં થવા આવ્યાં છે અને આગામી શૈક્ષણિક સત્રથી ચોથું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ કમનસીબે, ગુજરાતની શૈક્ષણિક આલમમાં હજુ પણ ભારે અસમંજસ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અભ્યાસક્રમ અને ફી માળખાનો અભાવ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચોથું વર્ષ શરૂ થવાની અણી પર હોવા છતાં, રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં સેમેસ્ટર-૭ અને સેમેસ્ટર-૮ના નિયમિત અભ્યાસક્રમો (Syllabus) હજુ સુધી તૈયાર કે સ્પષ્ટ નથી. અભ્યાસક્રમ વિના અધ્યાપકો શું ભણાવશે? અને વિદ્યાર્થીઓ શું વાંચશે?, તે એક ગંભીર સવાલ છે. આ ઉપરાંત, ચોથા વર્ષ માટેની ફી કેટલી હશે તે અંગે પણ કોઈ સ્પષ્ટ માળખું જાહેર કરાયું નથી. ફી નિર્ધારણ વગર કોલેજો અને વાલીઓ બંને મૂંઝવણમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોની કટોકટી વિષે કોઈ વિચારતું નથી.

શું ગુજરાતની તમામ કોલેજો ચાર વર્ષનો આ કોર્સ ચલાવવા માટે સક્ષમ છે? વાસ્તવિકતા એ છે કે રાજ્યની ઘણી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો હાલમાં જ વર્ગખંડો અને પ્રયોગશાળાઓ (Labs) ની અછત ભોગવી રહી છે. ચોથું વર્ષ ઉમેરાતાં જ અચાનક વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. આ વધારાનાં વિદ્યાર્થીઓ માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેઠકવ્યવસ્થા અને લાઈબ્રેરીનાં સાધનો ક્યાંથી આવશે?  પાયાની સુવિધાઓ વિના માત્ર કાગળ પર નીતિ અમલી બનાવવી કેટલી યોગ્ય? અધ્યાપકોની ઘટ: એક મોટો પડકાર નવી શિક્ષણ નીતિના સફળ અમલ માટે સંશોધન (Research) અને વિશેષ વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે.

ચોથા વર્ષમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવા માટે લાયક અને નવા અધ્યાપકોની જરૂર પડશે. ગુજરાતની કોલેજો પહેલેથી જ કાયમી અધ્યાપકોની ભારે ઘટનો સામનો કરી રહી છે અને કરાર આધારિત અથવા વિઝિટિંગ ફેકલ્ટીથી કામ ચલાવવામાં આવે છે. આવા સંજોગોમાં, નવા સંશોધન આધારિત વર્ષને ન્યાય આપવો વર્તમાન સ્ટાફ માટે અત્યંત મુશ્કેલ બનશે. કટોકટી નિવારણની જરૂરિયાત જો સરકાર અને યુનિવર્સિટીઓ સમયસર જાગશે નહીં, તો આ નીતિનો ભોગ વિદ્યાર્થીઓ બનશે. ડિગ્રીની કિંમત અને શિક્ષણનું સ્તર જાળવી રાખવા માટે યુનિવર્સિટીઓએ તાત્કાલિક ધોરણે નીતિવિષયક સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે.

જેમકે આ કોમન પોર્ટલમાં સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીની કોલેજોમાં વિદ્યાર્થી સીધો જ પ્રવેશ મેળવે એવું કેમ? અહીં ત્રણસો રૂપિયા ભરવાના ,પછી કોલેજમાં પ્રવેશ ફોર્મના અને પ્રવેશ ફીના તો જુદા ભરવાના જ આવું કેમ? સૌથી અગત્યનો પ્રશ્ન કે આ ત્રણસો રૂપિયા ખરેખર કોના ખિસ્સામાં જવાના? વિદ્યાર્થીઓને આનાથી શું લાભ?  શિક્ષણ વિભાગના આ ફરમાનના કારણે ગુજરાતનાં ગામડાંનાં વિદ્યાર્થીઓ આ કોમન પોર્ટેલ પર બધી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરાવવા માટે સાયબર કાફેમાં ત્રણસો રૂપિયા ફી ઉપરાંત બસોથી પાંચસો રૂપિયા ચાર્જ ચૂકવી રહ્યા છે.

૨૦૨૦થી દેશમાં જે નવી શિક્ષણ નીતિ લાગુ થઇ છે. તેમાં ABC એટલે કે એકેડેમિક બેંક ઓફ ક્રેડીટમાં નોંધણીનો  નિયમ છે. પણ રાજ્યવાર કોમન પર્ટલ માં રજીસ્ટ્રેશનનો નિયમ નથી. આ ગુજરાતના અધિકારીઓને સૂઝેલો તુક્કો છે. વચ્ચે પણ શિક્ષણ વિભાગના એક અધિકારીશ્રીએ આવો જ તુક્કો અમલમાં મૂકેલો. સેન્ટ્રલ મેરીટ મુજબ એડમિશન આપવાનો એટલે કે મેડીકલ અને એન્જિનિયરીંગની જેમ આર્ટસ કોમર્સ કોલેજોમાં પણ રાજ્ય સ્તરે મેરીટ બનાવી એડમિશન આપવાનું. ત્યારે પણ સૌ ચૂપ રહ્યા હતા અને ત્યારે પણ સમય જતાં આ અદ્ભુત યોજના પડતી મુકાઈ હતી.

હેરાન માત્ર એ વાલી અને વિદ્યાર્થીઓ થયાં, જેઓ પ્રથમ તબક્કામાં સરકારના નિયમને અનુસર્યા! એટલે જાણકારો તો આજે પણ એમ જ કહે છે કે આ શરૂઆતના દિવસોમાં બધું ચાલશે પછી જુલાઈ આવતાં આવતાં તો સરકાર કોલેજોને  જ સોંપી દેશે કે જાતે જ એડમિશન આપી દો. કોલેજ લેવલે જ કોમન પોર્ટલમાં રજીસ્ટ્રેશન પણ થઇ જશે. સરકારનો ઈરાદો માત્ર વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરવાનો જ હોત તો તો સરકારે કોલેજોને  જ સૂચના આપી હોત કે તમારી કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની માહિતી રોજે રોજ સરકારને મોકલી આપો. આવા અલગ પોર્ટેલમાં નોંધણી કરી તે પાછી કોલેજમાં જવાની વહીવટી લાંબી ગૂંચ ઊભી ના કરી હોત.  લાગે છે ગુજરાતમાં હવે સોફ્ટવેરનો વહીવટી  લેવલે ધંધો શરૂ થયો છે?.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top