Gujarat

અમદાવાદના રસ્તા પર એક હજારથી વધુ ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન, ‘રૂપાલા હટાવો…’ના નારા પોકાર્યા

અમદાવાદ(Ahmedabad): રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના (Loksabha Seat) ભાજપના (BJP) ઉમેદવાર પુરષોત્તમસિંહ રુપાલા (Purshottam Singh Rupala) વિરુદ્ધ ક્ષત્રિયોનો (Kshatriyas) આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે તા. 2 એપ્રિલની સવારે અમદાવાદમાં એક હજારથી વધુ ક્ષત્રિયોએ રસ્તા પર ઉતરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિયો પુરુષોત્તમસિંહ રુપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી રહ્યાં છે.

રૂપાલા હટાવો, દેશ બચાવો..ના સૂત્રોચ્ચાર સાથે આજે સવારથી અમદાવાદમાં ક્ષત્રિયો રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરી પર સવારે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. રુપાલાને હટાવવાની ઉગ્ર માંગ કરવા સાથે ક્ષત્રિય મહિલાઓએ જૌહર કરવાની તૈયારી બતાવી હતી. ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શનને જોતાં સવારથી જ અમદાવાદ કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અમદાવાદ કલેક્ટર કચેરી જતા પહેલાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. અમદાવાદના બત્રીસી ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની રેલી યોજાઇ હતી. આ રેલીમાં 1 હજારથી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના સૂત્રોચ્ચાર પોકારાયા હતા.

ક્ષત્રિય સમાજના આગેવાન ઋતુરાજસિંહ ચુડાસમાએ કહ્યું કે, ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ અનિચ્છનીય કોમેન્ટ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનું હળહળતું અપમાન કર્યું છે. ભાજપ જે રામના નામે વોટ માંગે છે, તે રામ પણ ક્ષત્રિય હતા. તે વાત કદાચ રુપાલા ભૂલી ગયા છે.

રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે જ ક્ષત્રિય સમાજની માંગણી છે. આ મામલે સરકાર મિટિંગો કરી રહી છે, પરંતુ તે મિટિંગોમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવાયા નથી. તેથી સરકાર સાથે કોઈપણ સંજોગમાં સમાધાન કરવામાં નહીં આવે. રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરશે.

સમાજના આગેવાન શિલ્પાબાએ કહ્યું કે, અમારી સ્પષ્ટ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈપણ સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. રૂપાલા ચૂંટણી લડશે તો ક્ષત્રિય સમાજ છેક સુધી વિરોધ કરશે. ક્ષત્રિય સમાજના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ જૌહર પણ કર્યું છે. આજે કળિયુગમાં પણ જરૂર પડે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ જૌહર કરવા પણ તૈયાર છે.

આખરે મહિલાઓને સાથે રાખી ક્ષત્રિય આગેવાનોએ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ક્ષત્રિય સમાજે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે ​​​​​​લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ પહેલાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે.

Most Popular

To Top