Gujarat

વડાપ્રધાન વડોદરામાં રેલવેના 16369 કરોડના 18 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) ઉપસ્થિતિમાં આગામી તા.૧૮ જૂને વડોદરામાં (Vadodra) કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રસંગે મોદીના હસ્તે ગુજરાતમાં (Gujarat) રેલવેના વિવિધ રૂ.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. રેલવેના વિવિધ રૂ.૧૦૭૪૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલા પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ તથા રૂ.૫૬૨૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ ૧૩ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન વડોદરામાં રૂ. ૫૭૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ કરશે.

કેન્દ્ર સરકાર વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય કરવા જઈ રહી છે. આની સાથે આ વિશ્વવિદ્યાલયને કેન્દ્ર યુનિવર્સિટીનો દરજ્જો પણ આપવામાં આવનાર છે. વડોદરામાં વર્ષ ૨૦૧૮ માં રાષ્ટ્રીય રેલવે પરિવહન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ રેલ રોડ પરિવહન સિસ્ટમ તથા સંશોધન કાર્યોનો વિસ્તાર કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાલનપુર – મદાર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ ગેજ પરિવર્તન બાદ અમદાવાદ-બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવશે. આ ઉપરાંત લુનિધાર-ઢસા, પાલનપુર – રાધનપુર પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીધામમાં લોકોમોટીવ મરામત ડેપો અને સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત કરશે. વિજાપુર – આંબલીયાસણ, નડિયાદ – પેટલાદ, કડી – કટોસણ, આદરજ મોટી – વિજાપુર, જંબુસર – સમની, પેટલાદ – ભાદરણ અને હિંમતનગર – ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

Most Popular

To Top