Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ: (Bharuch) અંકલેશ્વરના અમરતપુરા ગામની હદમાં બનાવવામાં આવનારા હવાઈ મથક (Airport) તેમજ કાર્ગો સર્વિસ (Cargo Service) માટે બે દાયકા અગાઉ યોજનામાં થયેલા વિલંબ પાછળનાં કારણો તપાસવા ગુરુવારે વિધાનસભા દ્વારા નિયુક્ત કરાયેલી જાહેર હિસાબ સમિતિ અંકલેશ્વર આવી પહોંચી હતી. જેના કારણે અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એર સ્ટ્રીપ શરૂ થાય એવાં એંધાણ જોવા મળી રહ્યા છે.

  • અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એર સ્ટ્રીપ શરૂ થાય એવાં એંધાણ
  • જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં ભરૂચ જિલ્લાનું ઉદ્યોગ જગત ઉદાસીન હતું
  • કામગીરીનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી આ કમિટી સમક્ષ દિન-૧૫માં રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા

અંકલેશ્વર તાલુકાના અમરતપુરાથી માંડવા વચ્ચે હાઈવેને અડીને આવેલ 84 હેક્ટર જમીનમાં વર્ષ-2002માં એરસ્ટ્રીપ સેવા શરૂ કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી હતી. જમીન સંપાદન થયા બાદ અનેકવિધ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગ જગતમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી. જાહેર હિસાબ સમિતિની ટીમમાં ધારાસભ્ય અને સમિતિના ચેરમેન પૂજા વંશની આગેવાની હેઠળ વિવિધ ધારાસભ્યોનો સમાવેશ થતો હતો. આ કમિટીએ ગાંધીનગરની નીકળી સીધી જ એર સ્ટ્રીપની જગ્યાએ વિઝિટ લીધી હતી અને ત્યાં જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજી હતી અને બે દાયકાથી વધુ સમયગાળો આ યોજનામાં કેમ થયો તે અંગેના પ્રશ્નોની ઝડી વરસાવતા ઉપસ્થિત વિવિધ સરકારી અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો.

આ બાબતે અંકલેશ્વર ઉદ્યોગમંડળ સહિતના ઉદ્યોગ જગતના આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. એર સ્ટ્રીપ તેમજ કાર્ગો સર્વિસનો લાભ ભરૂચ જિલ્લાના ઉદ્યોગજગતને સમયસર આપવામાં આટલો વિલંબ કેમ થયો તેનાં કારણો અને અત્યાર સુધી થયેલી કામગીરીનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી આ કમિટી સમક્ષ દિન-૧૫માં રજૂ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. ત્યારે નજીકના ભવિષ્યમાં ભરૂચ જિલ્લામાં એર સ્ટ્રીપ શરૂ થાય એવી આશા હવે દેખાઈ રહી છે.

To Top