Comments

કરોળિયાનાં જાળાં કળા છે કે કળાકૃતિ?

કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય
વણતૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય.

કવિ દલપતરામની આ કવિતા ગુજરાતી માધ્યમમાં રહી ચૂક્યા હશે એવા સહુ કોઈને યાદ હશે. તેમાં કરોળિયાનાં હિંમત, ખંત, ધીરજ અને પ્રયત્નશીલતા જેવા ગુણોને બિરદાવીને કહેવાયું છે કે મનુષ્ય પણ કરોળિયા પાસેથી આ ગુણો શીખે તો તેને માટે લાભદાયી નીવડે છે. કરોળિયાના જાળાની રચના, તેની મજબૂતાઈ અને કળાત્મકતા વિશે પણ ઘણું કહેવાયું છે. પશ્ચિમમાં તો કરોળિયા જેવાં લક્ષણો ધરાવતા સ્પાઈડરમેનનું પાત્ર સર્જાયું છે, જેણે વિશ્વવ્યાપી લોકપ્રિયતા મેળવી છે એમ કહી શકાય. વર્લ્ડ વાઈડ વેબની મૂળભૂત વિભાવના કરોળિયાના જાળા પર આધારિત છે.

આનો અર્થ એવો હરગીજ નથી કે મનુષ્યને કરોળિયો બહુ ગમે છે. કરોળિયાનું જાળું કાર્ટૂનકળામાં સ્થગિતતાના પ્રતીક તરીકે વપરાય છે. ચાહે પૂર્વ હોય કે પશ્ચિમ, ઘરના કોઈક ખૂણે કરોળિયાનું જાળું નજરે પડે એ સાથે જ તેને હટાવવાનો ઉદ્યમ આરંભી દેવાય છે. એટલે કે કરોળિયો, એનું જાળું અને એના ગુણો કવિતા પૂરતા સારા. વાસ્તવ જીવનમાં એનો કશો ખપ નથી એમ માનવું. એમાંય દિવાળી પહેલાંના દિવસો એટલે રીતસર કરોળિયાનાં જાળાં સાફ કરવાનો કાર્યક્રમ.

આગામી ત્રણ મહિના એટલે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી આમસ્ટર્ડામના એક સ્થળે કરોળિયાનાં જાળાં સાફ કરવા પર પાબંદી મૂકાઈ છે. તેનું કારણ રસપ્રદ છે. અહીંના રાઈક્સ મ્યુઝિયમમાં વીતેલા સમયના રેમ્બ્રાં, વર્મીઅર જેવા મહાન ચિત્રકારોની કૃતિઓ પ્રદર્શિત છે. કોઈ મ્યુઝિયમમાં કરોળિયાનાં જાળાં હોવાં આવકાર્ય ન ગણાય. પણ ટોમસ સારાચેનો નામના એક કલાકારે આ મ્યુઝિયમમાં કરોળિયાની આ કૃતિઓને આવા ઉત્તમ કલાકારોની કૃતિની જેમ પ્રદર્શિત કરવાની વિનંતી કરી છે, જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તદનુસાર અહીંનાં સફાઈ કર્મચારીઓને સૂચના અપાઈ છે કે આ સમયગાળા દરમિયાન તેમણે અહીં દેખાતું કરોળિયાનું એક પણ જાળું સાફ કરવું નહીં.

આટલું વાંચીને ઘડીભર એમ લાગે કે કળાના નામે કંઈ પણ તુક્કો ચલાવી દેવાની આ તરકીબ હશે. આવી ધારણા બાંધતાં અગાઉ ટોમસ સારાચેનો અને તેના કામ વિશે જાણવું જરૂરી છે. આ કલાકારની વિશેષતા તરતાં શિલ્પ તૈયાર કરવાની છે, જેમાં તેમનો મુખ્ય વિષય પર્યાવરણ સાથે સુસંગતતા જાળવીને સહઅસ્તિત્વ કેળવવાનો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રકલ્પ, ઈન્ટસરએક્ટિવ ઈન્સ્ટૉલેશન તેઓ તૈયાર કરી ચૂક્યા છે. તેમની વિશેષ રુચિ કરોળિયામાં અને તેના જાળામાં છે. એરેક્નોફીલીઆ નામના એક સંશોધનાત્મક પ્રકલ્પ થકી તેઓ કરોળિયા અને તેના જાળાંને લગતી વિવિધ પ્રકારની કળાત્મક, વૈજ્ઞાનિક અને સૈદ્ધાંતિક વિગતોનો પ્રસાર કરતા રહે છે.

સારાચેનો માને છે કે મનુષ્યો આક્રમક પ્રજાતિ છે. મોટા ભાગનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓને તે જીવાત કે કીટક ગણીને તેનો નાશ કરી દે છે. આજે જ્યાં મકાનો, ઑફિસ કે મ્યુઝિયમો ઊભેલાં છે એ તમામ સ્થળે સદીઓથી આ જીવોનો વસવાટ હતો. આજને તબક્કે નૈતિક અને તાર્કિક રીતે કમ સે કમ એટલું તો થઈ જ શકે કે સહઅસ્તિત્વનો સ્વીકાર થાય. તેમને જોતાંવેંત તેમને કચડી નાંખવા માટે તત્પર થઈ જવાને બદલે તેમની સર્જકતાનો સ્વીકાર થાય અને તેમને જોવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસે.

સૂક્ષ્મદર્શક યંત્રો નહોતાં એવે સમયે જીવાત અને અન્ય અપૃષ્ઠવંશી જીવ ડર અને જુગુપ્સા પેદા કરતાં. તેમનું શારીરિક બંધારણ સસ્તન કરતાં સાવ અલગ હોવાને કારણે આમ થતું. તેમને અનિષ્ટ અને ભેદભરમ સાથે સાંકળવામાં આવતાં. વિજ્ઞાને પ્રગતિ કરતાં તેમના શરીરની વિશેષતાઓ, તેમની સર્જનશીલતા અને જીવનશૈલી વિશે જાણકારી પ્રાપ્ત થતી ગઈ. કરોળિયાની કળાકારીગરી વિશે જાણવું સરળ બન્યું. સારાચેનો માને છે કે પ્રત્યેક ઘરમાં સફાઈ બાબતે સહેજ આળસ દાખવવામાં આવે તો કરોળિયાના જાળાંરૂપી કળાકૃતિનું અદ્ભુત પ્રદર્શન આયોજિત કરી શકાય.

સારાચેનોની વાત સહેજ વિચિત્ર લાગી શકે એવી છે, પણ તેમની વાતમાં વજૂદ છે. તેઓ પોતે ચાર અલગ અલગ પ્રજાતિના કરોળિયાનાં જાળાંને પોતાની કૃતિઓમાં પ્રયોજે છે. સારાચેનો અને એરેક્નોફીલીઆ (કરોળિયાપ્રેમી) સમુદાયે અપૃષ્ઠવંશી પ્રાણીઓના હક માટેનો ખુલ્લો પત્ર તૈયાર કરેલો છે, જેમાં રાઈક્સ મ્યુઝિયમના સત્તાવાળાઓને કરોળિયાના તેમજ તેમના જાળાંના હકને પિછાણવા અને તેને આદર આપવાની અપીલ કરવામાં આવી છે. મૂળ વાત એ છે કે પૃથ્વી પરની કોઈ પણ પ્રજાતિ અલાયદી કે એકલવાયી જીવતી નથી હોતી. અનેક અન્ય પ્રજાતિ અને પ્રણાલીઓ સાથે એ અરસપરસ સંકળાયેલી હોય છે.

આથી કોઈ એક પ્રજાતિનું નિકંદન સમગ્ર પૃથ્વીના પર્યાવરણને ખલેલ પહોંચાડે છે, અને એ પણ એવી રીતે કે તેની વિપરીત અસરનો ખ્યાલ ઝટ ન આવે. અપૃષ્ઠવંશી જીવોના સહઅસ્તિત્વ અને તેમના અંગેની સમજણ વિકસાવીને તેમની સાથે પુનર્જોડાણ કરવું જરૂરી બની રહે છે અને આ ઉપક્રમમાં કરોળિયા આદર્શ પણ છે, તેમજ રૂપક પણ! આ સાવ તુચ્છ, નાજુક અને નબળી દેખાતી આ પ્રજાતિ સહસ્રાબ્દીઓથી શી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી  શકી છે એ જાણવા માટે તેમના પ્રત્યેની સૂગ દૂર કરવી રહી. સારાચેનો અને એરેક્નોફીલીઆ સમુદાયની આ ઝુંબેશ પ્રશંસનીય છે, કેમ કે, એ રીતે તેઓ છેવટે તો સમગ્ર પૃથ્વીની ખેવના દર્શાવી રહ્યા છે. પણ માનવ એક એવી પ્રજાતિ છે કે એ જેમ સુવિકસિત અને સભ્ય બનતી જાય એમ તે વિનાશના અવનવા અખતરા પ્રયોજે. માનવ માનવનો જાન લેવા તત્પર રહેતો હોય ત્યાં એ કરોળિયાને બચાવવા વિશે વિચારશે એમ માનવામાં ભારોભાર આશાવાદ જોઈએ. ટોમસ અને તેમના જેવા અનેક લોકોમાં આવો આશાવાદ છે એ આનંદની વાત ગણાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top