Gujarat

જામનગરમાં વિશ્વનું પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ સ્થપાશે, મોદીના હસ્તે ભૂમિપૂજન થશે

ગાંધીનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર ખંભાળિયા હાઈવે પર ગોરધનપર ગામ પાસે 35 એકર જમીન પર સ્થપાનાર છે. જેના માટે અંદાજિત 25 કરોડનો ખર્ચ કરાશે. આ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત 19 એપ્રિલના રોજ પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે. આ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર માં ભારત ઉપરાંત અન્ય 138 દેશની ટ્રેડિશનલ મેડિસિન ઉપર રિસર્ચ કામગીરી હાથ ધરવામાં આવશે. વર્ષ 2024માં આ સેન્ટર પૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, સેન્ટર કાર્યરત થાય ત્યાં સુધીમાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં એક ઇન્ટરીમ ઓફિસ ટૂંક સમયમાં કાર્યરત થશે જે સીધું જ વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંલગ્ન રહેશે અને સેન્ટર શરૂ થતાં ત્યાં શિફ્ટ કરવામાં આવશે.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસ કાર્યક્રમમાં W.H.O.ના ડાયરેકટર જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસુસ, મોરેશિયસના વડાપ્રધા પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવો ઉપસ્થિતિ રહેશે.

વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ માટેનું વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે. આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે.

જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક સ્તરનું કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાતરી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનિકિ ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી વિશ્વના તમામ પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Most Popular

To Top