Columns

વૃદ્ધાવસ્થામાં દાંતની કાળજી, ચોકઠાંનું એડજસ્ટમેન્ટ અને પોષણની સમસ્યા

આખી જિંદગી ચડાવ – ઉતાર, પૈસા કમાવા અને પચાવવાની ભાંજગડ, બાળકોના સુખ માટેની દોડાદોડીમાં ક્યારે આપણા દાંત નબળા પડવા માંડ્યા, સડો થવા માંડ્યો, પેઢિયા ઢીલા થયા એ ઉપર ધ્યાન જ ન આપી શકાયું અને છેલ્લે નોબત આવી બધા દાંત પડાવીને નકલી દાંતોનું ચોકઠું કરાવીને પહેરવાની! આ પરિસ્થિતિ હું લખી રહી છું એટલી સરળ નથી. પીડાદાયક અને અગવડરૂપ છે. દાંત પડાવ્યા બાદ નવું ચોકઠું આવે ત્યાં સુધી નબળાં પેઢાં સખત થાય ત્યાં સુધી દાંત વગર ખોરાક લેવો અને નવું ચોકઠું આવે પછી એની સાથે ખોરાક ચાવવાનું એડજસ્ટ થવું એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. કેટલાક મહિનાઓ પહેલાં મારી મમ્મીને ચોકઠું કરાવ્યું.

ત્યારે તે આ પ્રક્રિયામાંથી પસાર થઈ પરંતુ એના પર લેખ લખી શકાય એવો વિચાર ત્યારે નહોતો આવ્યો. તાજેતરમાં એક પ્રસંગે મારા કાકા અને સીનિયર કેળવણીકાર સુરેશભાઈ પારેખને મળવાનું થયું અને તેમણે સૂચન કર્યું કે “આ જટિલ પ્રક્રિયા દરમ્યાન વ્યક્તિ પૂરતો ખોરાક લઇ શકતો નથી અને એના પરિણામે કુપોષણની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ કુપોષણ અન્ય મોટા રોગોનું પરોક્ષ કારણ હોઈ શકે છે. તો આ સમયે દાંત સાથેના એડજસ્ટમેન્ટના ગાળા દરમ્યાન પોષણ કઈ રીતે જાળવી શકાય એના પર લેખ લખવો એક ડાયટિશ્યન તરીકે જરૂરી બને!” ખરેખર આ વાત ગળે ઊતરી ગઈ. તો લો, આ દાંતના ચોકઠાંના એડજસ્ટમેન્ટની પ્રક્રિયા દરમ્યાન પોષણ કઈ રીતે જાળવવું એ વિષય પર બે અંકોમાં વિભાજીત લેખ લખી રહી છું.

૧- દાંતનું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું?
૨- દાંતનું ચોકઠું કરાવવા અને તેના યોગ્ય ગોઠવાવાની પ્રક્રિયા દરમ્યાન પોષણનું મૂલ્ય કઈ રીતે જાળવવું?
દાંતનું સ્વાસ્થ્ય જાળવવું :-

આપણે જે કંઈ મોઢામાં મૂકીએ છીએ તે સૌથી પહેલાં આપણા દાંતના સંપર્કમાં આવે છે અને એથી જ જો દાંત સ્વસ્થ હોય તો મોઢામાંથી નીચે પાચનતંત્ર તરફ જતો ખોરાક પણ યોગ્ય રીતે પાચન પામે છે. આપણા મુખમાં અસંખ્ય જીવાણુઓ રહેલા છે. જો દાંતની યોગ્ય સફાઈ કરવામાં ન આવે તો આ જીવાણુઓ તરત જ ખોરાકના સંપર્કમાં આવી રોગો ઉત્પન્ન કરી શકે છે. દાંતનો સડો અને લાળની ઓછી માત્રા આ જીવાણુઓની સંખ્યામાં વધારો કરે છે. વૃદ્ધાવસ્થામાં લાળનું પ્રમાણ ઘટે છે અને દાંતનો સડો એ ખૂબ સામાન્ય ઘટના છે. તો આવો દાંતના સ્વાસ્થ્યને કઈ રીતે જાળવીશું તે જોઈએ.

વૃદ્ધાવસ્થામાં થતી દાંતની સમસ્યાઓના નિવારણ માટે દાંતના તબીબોની ખાસ બ્રાન્ચ છે જેને ‘જેરો ડોન્ટિકસ’ કહેવામાં આવે છે. આ વૃદ્ધો માટેના દાંતના તબીબો નીચે મુજબના મુદ્દાઓ સૂચવે છે. મુખમાં લાળનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પાણી પીઓ. એક સાથે વધુ પાણી ન પીતાં દર કલાકે – કલાકે ૧૦૦-૧૫૦ મિલી પાણી પીઓ. વધુ પડતો ખાંડનો ઉપયોગ ટાળો. ગળ્યો ખોરાક બેક્ટેરિયાને ખૂબ માફક આવે છે અને તે દાંત પર ચોંટી દાંતમાં સડો ઉત્પન્ન કરે છે. મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ અને ભગવાનના પ્રસાદ ખાધા પછી પણ દાંતને બ્રશ કરવાની આદત પાડો. વધુ માત્રામાં ફળો અને શાકભાજીનું સેવન કરો. ફળો મુખની ચીકાશ ઘટાડી જીવાણુઓને અનુરૂપ વાતાવરણ થવા દેતા નથી.

તમાકુનું સેવન કરતા હો તો બંધ કરો. તમાકુ છોડવા માટે ડોકટરની સલાહ લઈ શકાય. બીડી – સિગારેટનું સેવન પણ દાંત માટે એટલું જ હાનિકારક છે. નિકોટીનને કારણે દાંત પર છારી બાઝે છે જેમાં સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે. ખોરાક બરાબર ચાવીને ખાવ. (એક કોળિયો ઓછામાં ઓછો ૩૨ વાર ચાવવો) આમ કરવાથી દાંત અને પેઢાંને કસરત મળે છે અને વળી, વધુ ચાવવાથી વધુ લાળ ઉત્પન્ન થાય છે જે મુખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એસિડિટી થાય તેવા તીખા– તળેલા ખોરાકને ટાળો. તીખો અને તળેલો આહાર પચાવવા માટે જઠરમાં વધુ એસિડ ઉત્પન્ન થાય છે. આ એસિડ જો વધુ માત્રામાં ઉત્પન્ન થાય તો તે ઉપર તરફ એટલે કે મોઢામાં આવે છે જેને આપણે ‘એસિડ રિફલકસ’ના નામે ઓળખીએ છીએ. આ એસિડ રિફલક્સ મોઢા સુધી આવીને દાંત પર લાગે ત્યારે દાંતનું ઉપલું પડ જે ઇનેમલના નામે ઓળખાય છે તેને નુકસાન પહોંચાડે છે અને અંતે દાંત નબળા પડે છે. આથી ઉંમર વધતા તીખાતમતમતા ખોરાક ખાવાનો આગ્રહ ઓછો કરો.

ખોરાક ખાધા પછી કોગળા કરવાની આદત પાડો. ખોરાક ચાવી ચાવીને ખાધા બાદ દાંતમાં ભરાયેલા સૂક્ષ્મ ખાદ્ય કણો નીકળી જવા ખૂબ જરૂરી બને છે. આ માટે ચોખ્ખા પાણીના કોગળા ખૂબ જરૂરી છે. દવાઓ જેવી કે બ્લડ પ્રેશરની દવાઓ, એન્ટીહિસ્ટામીનિક દવાઓ, ડિપ્રેશન માટેની દવાઓ, શરીરના દુખાવાની દવાઓ, માઇગ્રેનની દવાઓ વગેરે પૈકી કેટલીક દવાઓ મુખને શુષ્ક કરી દે છે જેના કારણે લાળનું ઉત્પાદન ઘટે છે અને દાંતના સ્વાસ્થ્ય પર એની અસર થાય છે. જો અમુક દવાઓ લેવાથી મોઢું સુકાતું હોય તો આપના ડૉકટરને જાણ કરી ડૉકટરને તે દવા બદલી શકાય કે કેમ તે વિશે પૃચ્છા કરો અને ન જ બદલી શકાય એમ હોય તો આ દવાઓ સાથે અને દિવસ દરમ્યાન પુષ્કળ પાણી પીઓ. આમ આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અમલ કરવાથી દાંતનું સ્વાસ્થ્ય શક્ય એટલું સાચવી શકાય છે.

Most Popular

To Top