છત્તીસગઢમાં એક મોટી અને દુઃખદ ઘટના બની છે. રાજ્યના સક્તિ જિલ્લામાં આવેલા વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 30થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળતા અહેવાલ અનુસાર, સિંઘીતરાઈ ગામ નજીક આવેલા આ પ્લાન્ટમાં ઘણા શ્રમિકો કામ કરી રહ્યા હતા. અચાનક બોઇલર ફાટતા જ જોરદાર ધડાકો થયો અને આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના ગામોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ફેકટરીમાં યુનિયન કાર્બાઇડનો કચરો બાળવામાં આવ્યો હતો, જેના કારણે શોર્ટ સર્કિટ થયું હતું. અને એક પછી એક એમ ત્રણ ધમાકા સંભળાયા હતા. આ ઘમાકામાં ગંભીર રીતે ઘાયલ મજદૂરોને રાયગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગમાં જાનમાલ સાથે કોમ્પ્યુટર અને કેશ કાઉન્ટર પણ બળીને ખાખ થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ મળતા સમાચાર મુજબ આગ પર કાબૂ મેળવી લીધો છે. કેટલાક ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પ્લાન્ટના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે કે બોઇલર ફાટવાનું સાચું કારણ શું છે તે અંગે પુષ્ટિ કરવા હાલ વધુ તપાસ થઈ રહી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.