ભૂમિ પ્રજાપતિએ ફોર્મ કેમ પાછું ખેંચ્યું? સાંસદ હેમાંગ જોશી અને ભાજપના નેતાઓ સાથે મુલાકાતે ચર્ચા ગરમાવી
વડોદરા શહેરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અચાનક જ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું . કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર ભૂમિ પ્રજાપતિએ અચાનક પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા અનેક સવાલો ઊભા થયા છે.
સૌથી મોટો સવાલ એ છે કે શું ભૂમિ પ્રજાપતિએ પોતાની ઈચ્છાથી ફોર્મ પરત ખેંચ્યું કે પછી કોઈ રાજકીય દબાણ કામ કર્યું? કારણ કે ફોર્મ પરત ખેંચ્યા બાદ તેઓ સીધા સાંસદ હેમાંગ જોશીના નિવાસસ્થાને પહોંચ્યા હોવાની ચર્ચાઓ તેજ બની છે.
આ ઘટનામાં વધુ મસાલો ત્યારે ઉમેરાયો જ્યારે ભૂમિ પ્રજાપતિના ભાજપના પૂર્વ અધ્યક્ષ વિજય શાહ સાથે આશીર્વાદ લેતા દ્રશ્યો પણ સામે આવ્યા,સાથે જ વોર્ડ ૨ ના પૂર્વ કૉર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પણ ફોર્મ પરત ખેંચતા સમયે હાજરના આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગલીઓમાં ચર્ચા જોર પકડતી જોવા મળી રહી છે.
વિશેષ વાત એ છે કે ભૂમિ પ્રજાપતિ કોંગ્રેસમાંથી ઉમેદવારી કર્યા બાદ ફોર્મ પરત ખેંચતા વોર્ડ નંબર 2ની મહિલા અનામત બેઠક હવે બિનહરીફ થઈ ગઈ છે. જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા અને રાજકીય હસ્તક્ષેપ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમથી શહેરના રાજકારણમાં હલચલ મચી ગઈ છે અને હવે રાજકીય વિશ્લેષકો પણ આ મુદ્દે અલગ-અલગ તારણો કાઢી રહ્યા છે. ચૂંટણી પહેલા આવી ઘટનાઓથી મતદારોમાં પણ કૌતૂહલ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે.