રાજસ્થાનના મૂળ વતની અને આણંદમાં રહેતા 34 વર્ષીય મુકેશ સરગરો નદીમાં નાહતી વખતે ઊંડા પાણીમાં તણાયા
સાવલી પોલીસ અને ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ, ઘટનાથી પરિવાર પર આભ ફાટ્યું
(પ્રતિનિધિ) સાવલી
સાવલી તાલુકાના લાછનપુર ગામ નજીક પસાર થતી મહીસાગર નદીમાં નાહવા ગયેલા 34 વર્ષીય યુવક તણાઈ જતાં સાવલી પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુકેશ જબરા રામ સરગરો (ઉં.વ. 34), મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના નાગણી ગામના રહેવાસી હતા અને હાલ આણંદ ખાતે રહી નોકરી કરતા હતા. રવિવારે તેઓ પોતાના પાંચ વર્ષના પુત્ર અને સાળા સાથે લાછનપુર ગામ નજીક મહી નદીમાં નાહવા આવ્યા હતા. નદીના સ્વચ્છ અને વહેતા પાણીમાં નાહતી વખતે મુકેશ ઊંડા પાણીમાં પહોંચી જતા અચાનક તણાઈ ગયા હતા અને નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પ્રાથમિક સ્તરે શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ સાવલી પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નદીમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે, જોકે આ અહેવાલ લખાય છે ત્યાં સુધી મુકેશનો કોઈ પત્તો લાગ્યો નથી.
ઘટનાએ પરિવારજનોને ભારે આઘાત પહોંચાડ્યો છે. બે સંતાનોના પિતા મુકેશ પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે આનંદની ક્ષણો માણવા નદીમાં આવ્યા હતા, પરંતુ આ મુલાકાત દુર્ઘટનામાં ફેરવાઈ હતી. પોતાની નજર સામે પિતાને પાણીમાં ગરકાવ થતાં જોઈ પાંચ વર્ષનો પુત્ર ભારે વ્યથિત અને શોકમગ્ન બન્યો હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નદીમાં ગુમ થયેલા યુવકની શોધખોળ સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
રિપોર્ટર: વિમલ પટેલ