SURAT

કેરળમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં સુરતની વીર નર્મદ યુનિવસિર્ટી બહાર ABVPનું પ્રદર્શન

સુરત : કેરળમાં બીજા વર્ષના વિદ્યાર્થીના હત્યાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. એબીવીપીએ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કરી વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડક સજાની માંગણી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) ના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે.એસ. સિદ્ધાર્થનની નિર્દયતાથી હત્યા થઈ હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પડ્યા છે. સુરતમાં એબીવીપી દ્વારા સિદ્ધાર્થનની હત્યાના વિરોધમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા જુદા જુદા બેનરો અને કાર્ડ સહિત સૂત્રોચ્ચાર કરી કેરળની ઘટનાને વખોડી હતી.

ABVP મીડિયા સંયોજક મનોજ જૈનએ જણાવ્યું હતું કે કેરળમાં થયેલી જે. એસ. સિદ્ધાર્થનની હત્યાની ઘટનાએ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આંચકો આપ્યો નથી પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સરકારે આમાં તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ. ઉપરાંત જે.એસ. સિદ્ધાર્થનની ઘાતકી હત્યાના આરોપી SFIના ગુંડાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. સિદ્ધાર્થન અને તેના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી માંગ કરી હતી.

Most Popular

To Top