Comments

વિપક્ષી એકતાની દીવાદાંડી

ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળના મહાગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના છેલ્લા મોટા સાથી પક્ષ જનતા દળ યુનાઇટેડએ બિહારમાં મહાગઠબંધનને રામરામ કરી દેતાં બિહારમાં ભારતીય જનતા પક્ષના ગઠબંધનવાળી રાજય સરકાર રામશરણ થઇ છે અને આ ઘટનાને કોઇ રીતે હળવાશથી લઇ શકાય તેવી નથી. વિદાય લેતા મુખ્ય પ્રધાન ગણતરીના જ કલાકોમાં વિપક્ષી ગઠબંધનની સરકારના વડા બને એ કમમાં કમ છેલ્લાં આઠ વર્ષમાં પહેલી વાર જ બને છે.

ભારતીય જનતા પક્ષના મોવડીઓ ઊંઘતા ઝડપાયા? મહારાષ્ટ્રમાં તો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની સરકાર અને ખુદ ભારતીય જનતા પક્ષે ઉદ્ધવ ઠાકરેની સરકારને અસ્થિર કરવામાં કોઇ પાછીપાની નહીં કરી અને બળવાખોર શિવસેનાની સરકાર સ્થાપવામાં કોઇ કસર નહીં છોડી તો બિહારમાં જનતા દળ (યુ), રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ અને ડાબેરી પક્ષોની સરકારને કોઇ પણ વિરોધ વિના શપથ લેવા દેવામાં આવ્યા તો એનો અર્થ એવો થાય કે નીતીશકુમારે બળવો કરી અમિત શાહ- નરેન્દ્ર મોદીની જોડીને માથામાં ટપલી મારી? અથવા એવું બન્યું કે ગણનાપાત્ર ધારાસભ્યોએ બિહારના વિપક્ષી ગઠબંધનનો હાથ ઝાલ્યો હોવાથી મોટું તોફાન ટાળવા કેન્દ્રના ભારતીય જનતા પક્ષે શાંતિથી સત્તાપલટો થવા દીધો?

સત્તા ટકાવી રાખવા ભારતીય જનતા પક્ષ આક્રમક કેમ નહીં થયો? કે તેના મનમાં બીજું કંઇ ચાલે છે? છેલ્લાં આઠ વર્ષમાં બિહારમાં પહેલી વાર ભારતીય જનતા પક્ષ ચિત થઇ ગયો. વિપક્ષી એકતાના દરવાજા ખૂલતા લાગે છે અને ભારતીય જનતા પક્ષને ઘા ચાટવાનો વારો આવ્યો છે છતાં વિરોધ પક્ષોએ ગેલમાં આવી જવાની જરૂર નથી. 2024 માટે તેમણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.

બિહાર રાજકીય ક્રાંતિઓની માતૃભૂમિ છે. તેમાં સૌથી મહત્ત્વની તે સમયના વડા પ્રધાન ઇંદિરા ગાંધી સામેની જયપ્રકાશ નારાયણની ક્રાંતિ છે. મોદીનો દેશમાં જયજયકાર થાય છે પણ બિહારમાં તે હજી સુધી એકલે હાથે સરકાર રચી શકયો નથી. આને પરિણામે નીતીશકુમારની હિલચાલને વધુ દૂરગામી પરિણામ આપી શકે છે. નીતીશ સરકાર અને વિપક્ષી એકતા માટે આ શુભ શરૂઆત હોઇ શકે અને વિપક્ષી એકતા માટે ખાડા ટેકરાવાળો રસ્તો પણ હોઇ શકે અને મોદી-શાહની જોડી હાથ જોડીને બેસી રહેશે એવું કોણે કહ્યું?

નવી ગઠબંધન સરકાર સામે પહેલો પડકાર તો તેના ધારાસભ્યોને બાંધી રાખવાનો રહેશે, જેથી તે બજારમાં વેચાવા નહીં બેસી જાય. અત્યાર સુધી ધારાસભ્યોનાં બજાર ભરાતાં જ આવ્યાં છે ને? કેન્દ્ર સરકારે નીતીશકુમાર પર જનાદેશનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે તેનો જવાબ આપવાની જવાબદારી અદા કરી ભારતીય જનતા પક્ષને પૂછવું જોઇએ કે તમે આઠ વર્ષ શું કર્યું? કુમાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાંથી બહાર નીકળી ગયા એટલે તેને વડા પ્રધાન બનવાના અભરખા છે એવી ચર્ચા ચાલે છે પણ મોદીની હકૂમતમાં રહી તેઓ વડા પ્રધાન બની શકયા હોત?

વડા પ્રધાનપદના અન્ય મુરતિયાઓ મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, સોનિયા ગાંધી, શરદ પવાર કેમ ચૂપ છે? આ બધાએ ભારતીય જનતા પક્ષના કાવાદાવા સામે સાવધ રહેવું જોઇએ અને મહત્ત્વાકાંક્ષા બહાર પાડયા વગર વિપક્ષી એકતા માટે કામ કરવું જોઇએ. અત્યારે આ મુદ્દો નથી. અત્યારે તો ભારતીય જનતા પક્ષ ડહોળા પાણીમાંથી મોતી શોધવાની કોશિશ કરે છે. બિહારમાં નીતીશકુમાર અને અન્યો સામે પહેલો પડકાર તો કેન્દ્ર અને ભારતીય જનતા પક્ષના અવરોધો છતાં સરકાર સરળતાથી ચલાવવાનો છે અને તેને માટે તેમણે તેમના ધારાસભ્યોને સાથે રાખવા પડશે. નવી સરકારે તત્કાળ લોકો માટે ખત પત્ર બહાર પાડી તેનો અમલ કરવો પડશે જેથી શાસન નમૂનારૂપ બની શકે. અત્યારે વડા પ્રધાન કોણ બને તેની હૂંસાતૂંસી કરવાનો સમય નથી. ભારતીય જનતા પક્ષ સિવાયના તમામ પક્ષો માટે ‘મોદી હઠાવો’ ઝુંબેશ ચલાવવાનો અને તે માટે મોદી સરકારનાં જુઠાણાં બહાર પાડવાનો છે અને વિપક્ષની મોરચામાં દરેકે પોતાની શકિત અને નબળાઇ પારખી લેવાના રહેશે. તો જ તેમને બિહારના પગલાંનો લાભ મળશે.

ભારતીય જનતા પક્ષનું ઓપરેશન કમલ સતત ચાલુ છે પણ બિહારમાં તેને ધક્કો વાગ્યો છે ત્યારે વિરોધ પક્ષો માટે મહારાષ્ટ્રવાળી થતી અટકાવવાની મુખ્ય ફરજ બની રહેશે. છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, બંગાળ, ઓડિશા અને ખુદ બિહાર પર ભારતીય જનતા પક્ષની નજર રહેશે. ભારતીય જનતા પક્ષના પ્રમુખ જે.પી. નડ્ડા કહે છે કે પ્રાદેશિક પક્ષો ટૂંક સમયમાં નામશેષ થઇ જશે. હવે તો ભારતીય જનતા પક્ષને સકંજામાં લેવા વિપક્ષોએ એક થવું જ પડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top