યુવાનોની માનસિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ઇન્સ્ટાગ્રામે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે જો કોઈ ટીનેજર વારંવાર સુસાઇડ અથવા સેલ્ફ-હાર્મ જેવા સંવેદનશીલ શબ્દો સર્ચ કરશે, તો તેના માતા-પિતાને એલર્ટ મોકલવામાં આવશે. આ સુવિધા પ્લેટફોર્મના પેરેન્ટલ સુપરવિઝન પ્રોગ્રામનો ભાગ છે. આ ફીચર આગામી અઠવાડિયાથી United States, United Kingdom, Australia અને Canadaમાં અમલમાં મૂકવામાં આવશે. ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની Meta Platformsએ જણાવ્યું છે કે આ સુવિધા 2026 દરમિયાન અન્ય દેશોમાં પણ તબક્કાવાર વિસ્તૃત કરવામાં આવશે, પરંતુ ભારત માટે હજી સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. એટલે અંદાજ મુજબ આ ફીચર 2026 અંત સુધી ભારત સુધી પહોંચે તેવી શક્યતા છે, પરંતુ તેની ચોક્કસ સમયરેખા અંગે હજી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સોશિયલ મીડિયા દ્વારા માનસિક આરોગ્ય પર થતી અસર અંગે વધી રહેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. પેરેન્ટ્સે સુપરવિઝન સેટિંગ્સમાં આપેલી માહિતી મુજબ તેમને ઇમેલ, ટેક્સ્ટ અથવા વોટ્સએપ દ્વારા સૂચના મળશે. સાથે જ એપ્લિકેશનની અંદર પણ નોટિફિકેશન આપવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ માતા-પિતાને સંવેદનશીલ મુદ્દાઓ પર બાળકો સાથે કેવી રીતે વાતચીત કરવી તેની માર્ગદર્શન માહિતી પણ આપશે. કંપનીનું કહેવું છે કે એલર્ટ્સ વારંવાર મોકલવામાં નહીં આવે, જેથી તેની અસરકારકતા જળવાઈ રહે. ઇન્સ્ટાગ્રામે સ્પષ્ટ કર્યું છે કે સુસાઇડ અને સેલ્ફ-હાર્મ સંબંધિત કન્ટેન્ટ માટેનું સીધું સર્ચ બ્લોક કરવામાં આવશે. તેના બદલે યુઝર્સને સહાય અને હેલ્પલાઇન જેવી સત્તાવાર સ્રોતોની માહિતી તરફ દોરી જવામાં આવશે. કંપની મુજબ મોટાભાગના ટીનેજરો આ પ્રકારનું કન્ટેન્ટ શોધતા નથી, પરંતુ જો કોઈ શોધ કરે તો તેને મદદ મળે તે મહત્વનું છે.
ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ જણાવ્યું છે કે સમાન એલર્ટ સિસ્ટમ તેના એઆઇ ચેટબોટ્સ માટે પણ લાગુ કરવામાં આવશે. હાલ આ સુવિધા માત્ર તે પેરન્ટ્સ અને ટીનેજરો માટે ઉપલબ્ધ છે જેઓ સુપરવિઝન પ્રોગ્રામમાં જોડાયેલા છે, પરંતુ આવનારા સમયમાં અન્ય દેશોમાં પણ તેનો વિસ્તાર થશે. માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપતા આ પગલાથી યુવાનોની સુરક્ષા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ વ્યક્તિને આત્મહાનિ સંબંધિત વિચારો આવે તો તાત્કાલિક પરિવારજનો, મિત્રો, અથવા કાઉન્સેલિંગ સેવાઓની મદદ લો. આત્મહત્યા એ કોઈ સોલ્યુશન નથી જ.