SURAT

સુરતના 70 ટકાથી વધુ વિસ્તારોમાં બુધવારે પાણી પુરવઠો ખોરવાશે

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા 27 જુલાઈના રોજ પાણીની લાઈનનુ રિપેરિંગનું (Water Line Repairing) કામ કરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી પૂરવઠો (Water Supply) ખોરવાશે. પાલિકા દ્વારા બુધવારે સવારથી ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે ઉધના, ચીવેસુ, અલથાણ, સેન્ટ્રલ ઝોન વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં.

27મી જુલાઇ બુધવારના રોજ શહેરના 70 ટકાથી વધુ વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં મળે. સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફનો વિસ્તાર જ્યાં સાંજના સમયે પાણી પૂરવઠો અપાય છે ત્યાં પાણી પૂરવઠો ખોરવાશે. ઉપરાંત ઉધના, ડુમસ, વેસુ, અલથાણ વિસ્તારમાં પણ શહેરીજનોને પાણી નહીં મળે. કતારગામથી આવતી અને ખટોદરા વોટર વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસ લાઈનમાં લીકેજ રીપેરીંગ હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે બુધવાર અને 28 જુલાઇ ગુરુવારના રોજ પણ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે.

ખટોદરા પાણી વિતરણ સ્ટેશન પાસે રોકડીયા હનુમાન મંદિર સામેના રોડ પર ખરવર નગર પુલ નીચે તારીખ 5મી જુલાઇના રોજ પીવાના પાણીનો મોટો જથ્થો રોડ પર વહી ગયો હતો. મનપા દ્વારા લીકેજ શોધવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે કતારગામથી 1500 વ્યાસ લાઇન અને ખટોદરા પાણી વિતરણ સ્ટેશનને જોડતી લાઇન પણ અન્ય લાઇન સાથે જોડાયેલ હોવાથી મોટા પ્રમાણમાં શહેરીજનોને પાણીની ઇમરજન્સી ઉભી થાય તે બાબતને ધ્યાને લઈ તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાયું ન હતું.

કયા વિસ્તારોને થશે અસર
બુધવારે સવારે 8 કલાકે ખટોદરા મેઇન લાઇનની મરામતની કામગીરી શરૂ કરવામાં આવશે. તેથી શહેરના ઉધના, ચીકુવાડી, ડુમસ, વેસુ, અલથાણમાં પાણી પૂરવઠો પૂરતા દબાણથી મળશે નહી. સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફના વિસ્તારમાં સાંજનો પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત ડીંડોલી અને પાંડેસરામાં પણ પાણી કાપની અસર રહેશે. આ કામગીરી માટે ઉમરવાડા પાણી વિતરણ સ્ટેશન બંધ પણ બંધ રાખવામાં આવશેે.

Most Popular

To Top