ગ્રાહકનો કેસ ફગાવાયો: લોકપાલે કહ્યું – કાયદામાં સંમતિની જોગવાઈ જ નથી
માત્ર વિરોધના આધારે જૂનું મીટર ન લગાવી શકાય
( પ્રતિનિધિ )વડોદરા,તા.5
સ્માર્ટ મીટરના મુદ્દે ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે સ્પષ્ટ કર્યું છે કે સ્માર્ટ મીટર સ્થાપન માટે ગ્રાહકની પૂર્વ સંમતિ કાયદાકીય રીતે આવશ્યક નથી. એમજીવીસીએલની કાનૂની દલીલોને વૈધાનિક ચકાસણી બાદ લોકપાલે માન્ય રાખી છે.
આ મહત્વપૂર્ણ આદેશ મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એમજીવીસીએલ, લાલબાગ ડિવિઝન, વડોદરા કેસ નં. 9/2026 માં તા. 29 જૂનના રોજ આપવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન એમજીવીસીએલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003 સીઈએ મેટરીંગ રેગ્યુલેશન્સ ઇલેક્ટ્રિસિટી રાઈટ ઓફ કન્ઝ્યુમરસ રુલ્સ 2020 તથા જીઈઆરસી ઈલેક્ટ્રીસિટી સપ્લાય કોડ હેઠળ વિતરણ કંપનીને સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની તથા જરૂર પડ્યે હાલના મીટર બદલવાની સત્તા પ્રાપ્ત છે. આ કાનૂની જોગવાઈઓમાં ક્યાંય પણ ગ્રાહકની પૂર્વ સંમતિ ફરજિયાત રાખવામાં આવી નથી. વીજ લોકપાલે પોતાના આદેશના પેરા 4.15 માં એમજીવીસીએલની આ કાનૂની દલીલોનું વિગતવાર પરીક્ષણ કરીને નોંધ્યું કે સ્માર્ટ મીટરનું સ્થાપન લાગુ કાયદા-નિયમો અનુસાર થયું હતું. લોકપાલે એમજીવીસીએલની કાનૂની રજૂઆત સ્વીકારીને સીજીઆરએફનો નિર્ણય યથાવત રાખ્યો છે. આદેશમાં એ પણ નોંધવામાં આવ્યું કે અરજદાર સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી, ખોટું રીડિંગ કે બિલિંગમાં ગડબડના વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. તેથી માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ અથવા જૂનું મીટર પુનઃસ્થાપિત કરવાની માંગ કાયદેસર રીતે સ્વીકાર્ય નથી. લોકપાલે સ્પષ્ટતા કરી છે કે જો વડોદરાના કોઈપણ ગ્રાહકને સ્માર્ટ મીટરની ચોકસાઈ અંગે શંકા હોય તો જીઈઆરસી સપ્લાય કોડ હેઠળ થર્ડ-પાર્ટી મીટર ટેસ્ટિંગ કરાવી શકાય છે. પરંતુ માત્ર પૂર્વ સંમતિ ન લેવાઈ હોવાના આધારે સ્માર્ટ મીટર દૂર કરીને જૂનું મીટર ફરીથી લગાવવાનો કોઈ કાનૂની અધિકાર ગ્રાહકને નથી. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે, સ્માર્ટ મીટર સ્થાપન સંબંધિત એમજીવીસીએલની કાનૂની દલીલોને જીઈઆરસી વીજ લોકપાલે કાયદાકીય ચકાસણી બાદ માન્યતા આપી છે અને પુષ્ટિ કરી છે કે લાગુ કાનૂની માળખા હેઠળ સ્માર્ટ મીટર સ્થાપન માટે ગ્રાહકની પૂર્વ સંમતિ આવશ્યક નથી.