Surat Main

ગણેશ વિસર્જનને પગલે શહેરમાં 19 કૃત્રિમ તળાવો તૈયાર, આ માર્ગો બંધ, 16થી વધુ રૂટ પર બસો નહીં દોડે

સુરત: (Surat) શહેરમાં આવતીકાલે ગણેશ વિસર્જનને (Ganesh Visarjan) પગલે શહેરમાં વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો બંધ (Roads Close) કરવામાં આવ્યા હોય, મનપા સંચાલિત બસ અમુક રૂટ પર જ ચાલશે તેમજ બપોરે 2 વાગ્યા સુધી જ બસ (Bus) ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. બીજી તરફ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તે મુજબ તા.19/09/2021ના રોજ ગણપતિ વિસર્જન દરમિયાન સવારે 7 કલાકથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજમાર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે. તેમજ પ્રતિબંધ મૂકવામાં આવેલા માર્ગોનો વાહન વ્યવહાર વૈકલ્પિક માર્ગે (optional root)થી પસાર થશે.

આવતીકાલે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં શ્રીજી વિસર્જનને પગલે મનપા દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ 19 કૃત્રિમ તળાવો તૈયાર કરી દેવાયા છે અને આ વર્ષે ખાસ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું હોય, કૃત્રિમ તળાવની અંદર કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહી. મનપા દ્વારા 19 કૃત્રિમ તળાવોમાં 200 લાખ લિટર પાણીનો વપરાશ કરાયો છે અને મનપાના કર્મચારીઓને પણ ત્રણ શીફ્ટમાં કામગીરી માટે ગોઠવી દેવામાં આવ્યા છે.

ગણપતિ વિસર્જન યાત્રા દરમ્યાન સવારે 7 વાગ્યાથી ગણપતિજીની મૂર્તિ વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જેનાં અનુસંધાનમાં આવતીકાલે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી બી.આર.ટી.એસ. બસ સેવા તમામ રૂટ ઉપર બપોરે 2 વાગ્યા સુધી જ કાર્યરત રાખવામાં આવશે તેમજ સીટીબસ રૂટમાં અંશત: ફેરફાર કરી બપોરના 2 વાગ્યા સુધી બસ સેવા કાર્યરત રાખવામાં આવશે. તેમજ જરૂર જણાયે પોલીસ વિભાગની સૂચના મુજબ સ્થળ ઉપર નિર્ણય લેવામાં આવશે તેમ જણાવાયું છે.

19 હાઈડ્રા પ્લેટફોર્મ- વોચ ટાવર અને તમામ તળાવો પર સીસીટીવીથી નજર રહેશે
મનપા દ્વારા તમામ કૃત્રિમ તળાવો પર હાઈડ્રા પ્લેટફોર્મની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે જેથી મુર્તિઓનું વિસર્જન કરી શકાય. તે ઉપરાંત તમામ કૃત્રિમ તળાવો પર ચાંપતી નજર રાખવા માટે મનપા દ્વારા સીસીટીવી કેમેરા પણ સજ્જ કરવામાં આવ્યા છે જેનું સંકલન પોલીસ વિભાગ અને મનપા મળીને કરશે. તેમજ 19 કૃત્રિમ તળાવો પર વોચ ટાવર પણ બનાવી દેવાયા છે.

રાજમાર્ગ પર સ્ટેશનથી ચોકબજાર સુધીનો ટ્રાફિક દિલ્હીગેટ (Delhi gate)ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેશન, ફાલસાવાડી સર્કલ, રિંગ રોડ થઇ જશે. રાજમાર્ગ ઉપર ખૂલતી ગલીઓનો વાહન વ્યવહાર આંતરિક રસ્તાઓ તથા ચૌટાબજાર બ્રિજ નીચેથી બંને તરફ જઇ શકશે. અન્ય વાહનો સરદાર બ્રિજ તથા જીલાણી બ્રિજનો ઉપયોગ કરી શકશે. તથા આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગ રોડ તરફ જઇ શકશે. મકાઇ પુલ તથા સરદાર બ્રિજ (sardar bridge) જીલાણી બ્રિજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર અને રિંગ રોડ તરફ જઇ શકશે. કાંસકીવાડથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી દિલ્લીગેટ તથા રિંગ રોડ તરફ જઇ શકશે. આ વાહનો નવસારી બજાર ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટિયા ચકલા, ચૌટાપુલ નીચે થઇ નાણાવટ થઇ મુગલીસરા તરફ જશે.

સચિન સુડા આવાસ માર્ગનો ટ્રાફિક તુલસી હોટેલ સચિનથી નવસારી રોડ તરફ ડાયવર્ટ કરાશે. ભગવાન નગર સરથાણા જકાતનાકા તરફના બંધ માર્ગનો ટ્રાફિક લટુરિયા રોડથી સીમાડા રોડ થઈ વીટીનગર થઈ નવજીવન સર્કલ તરફ જશે. સિંગણપોર ચાર રસ્તાનાં વાહનો કંથારિયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ તરફ જઈ શકશે. પંડોલ. ફૂલવાડીનો ટ્રાફિક જીલાની બ્રિજ થઈ જશે. ગજેરા સર્કલથી લંકા ઓવારા સુધીનો ટ્રાફિક મેઈન રોડ થઈ ડાયવર્ટ કરાશે.

Most Popular

To Top