Top News

જો પરમાણુ હુમલો થશે તો 10 જ સેકેન્ડમાં આવી બરબાદી થશે

યુક્રેન: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી ગયું છે. કારણ કે રશિયાએ ધમકી આપી છે કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો પરમાણુ હુમલો થશે. યુક્રેન પર હુમલા પહેલાં તેમના ભાષણમાં વ્લાદિમિર પુતિને દુનિયાના દરેક દેશને ધમકી આપતાં કહ્યું હતું કે જો કોઈપણ દેશે આ યુદ્ધમાં દખલગીરી કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને પરમાણુ હથિયારનો ઉપયોગ કરવો પડશે અને એને કારણે આખું યુરોપ બરબાદ થઈ શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રશિયા પરમાણુ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે.

આ યુદ્ધમાં યુક્રેનને અન્ય મોટા દેશો મદદ કરી રહ્યા છે. અમેરિકા સહિત પશ્ચિમ દેશની મદદ મામલે પુતિને ચેતવણી પણ આપી દીધી છે કે જો કોઈપણ દેશ આ યુદ્ધમાં દખલગીરી કરશે તો ખૂબ પરિણામ ભોગવવાં પડશે. નિષ્ણાતો પુતિનની આ ધમકીને પરમાણુ યુદ્ધ સાથે જોડીને જોઈ રહ્યા છે. આ યુદ્ધ પૂર્ણ થાય તેવા કોઈ અણસાર લાગી રહ્યા નથી. યુદ્ધની આ કપરી પરિસ્થિતિ વચ્ચે પુતિને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. જેના કારણે વિશ્વનાં દેશો સ્તબ્ધ થઇ ગયા છે.

એક બોમ્બ લેશે લાખોના જીવ
આ પરમાણુ યુદ્ધ થશે તો આપણું શું થશે આવો પ્રશ્ન હવે બધાના મનમાં ઉઠવા પામ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થા ઈન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલિશ ન્યૂક્લિયર વેપન ICANના જણાવ્યા પ્રમાણે, એક પરમાણુ બોમ્બ ફૂટશે તો લાખોના જીવ લઇ લેશે. અને જો આવા બોમ્બ 10 અથવા વધારે સંખ્યામાં ફોડવામાં આવે તો લાખો-કરોડો લોકોનાં મોત થશે.

ICANના જણાવ્યા પ્રમાણે, જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો મૃતકોની સંખ્યા 10 કરોડનો આંકડો પાર કરી દેશે. એક પરમાણુ બોમ્બ આખા શહેરને બરબાદ કરી દે છે. જો આ યુદ્ધની સ્થિતિમાં મોટી સંખ્યામાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો એમાં કરોડો લોકોનાં મોત થશે. જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધમાં જો 500 પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે તો અડધો કલાકમાં જ 10 કરોડથી વધારે લોકોનાં મોત થઈ જશે. જો આ પરમાણુ બોમ્બ મુંબઈ જેવા શહેરમાં એક કિમીના અંતરમાં 1 લાખથી વધારે લોકો રહે છે ત્યાં હિરોશિમા જેવો પરમાણુ બ્લાસ્ટ કરવામાં આવે તો એક જ સપ્તાહમાં 8.70 લાખ જેટલા લોકોનાં મોત થશે.

ઘાયલોની સારવાર અશક્ય
પરમાણુ હુમલો એટલો ખતરનાક હોય છે કે તેમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરવી શક્ય હોતી નથી. સાથે જ આખી હેલ્થ સિસ્ટમ બરબાદ થઈ જશે. પરમાણુ બોમ્બ પડવાની 10 જ સેકન્ડમાં લોકોનાં મોત થવા લાગે છે અને એની અસર દશકાઓ સુધી રહે છે. પરમાણુ યુદ્ધનાં વર્ષો પછી પણ લોકો લ્યુકેમિયા, કેન્સર અને ફેફસાંની જોખમી બીમારી સામે ઝઝૂમે છે. એટલું જ નહીં, આ યુદ્ધના કારણે હજારો-લાખો લોકોની આંખોની રોશની પણ જઈ શકે છે. એટલું જ નહીં, જો કોઈ યુદ્ધમાં દુનિયામાં આવેલા 1% કરતાં પણ ઓછાં પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી 2 અબજ લોકો ભૂખમરાની સ્થિતિમાં સપડાશે.

પરમાણુ હુમલાથી દુનિયા 18 હજાર વર્ષ પાછળ જશે
પરમાણુ બોમ્બનાં કારણે ધરતી પરનાં વાતાવરણને પણ ગંભીર અસર પહોચશે. સંપૂર્ણ ક્લાઈમેટ સિસ્ટમ ખરાબ થઈ જશે. જે પરમાણુ બોમ્બ હિરોશિમામાં પડ્યા હતા એ જ સાઈઝના 100 બોમ્બથી હુમલો કરવામાં આવે તો સંપૂર્ણ ધરતીની સિસ્ટમ બગડી જશે. આવું થાય તો સંપૂર્ણ ક્લાઈમેટ સિસ્ટમ બરબાદ થઈ જાય અને ખેતી પર પણ ખરાબ અસર થાય.

અત્યારે જ તો દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમી રહી છે, અને એમાં પણ જો પરમાણુ યુદ્ધ થાય તો ધરતીનું તાપમાન ઝડપથી ઘટી જશે. કારણ કે આ હુમલામાં એટલો ધુમાડો નીકળશે જેથી તેનું એક પડ જામી જશે. અંદાજ છે કે જો આવું થશે તો ઓછામાં ઓછી 10 ટકા જગ્યા પર સૂર્યપ્રકાશ પહોંચશે નહીં. જો દુનિયાનાં બધાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો એનાથી 150 મિલિયન ટન ધુમાડો ધરતીની સ્ટ્રેટોસ્ફેયરમાં જામી જશે. સ્ટ્રેટોસ્ફેયર ધરતીની બહારનું પડ છે, જે ઓઝોન લેયર પર હોય છે. પરમાણુ યુદ્ધ થયા પછી દુનિયાના મોટા ભાગના દેશોમાં વરસાદ નહીં થાય. ગ્લોબલ રેઈનફોલમાં 45%નો ઘટાડો આવશે અને ધરતીનું એવરેજ તાપમાન -7થી -8 ડીગ્રી સેલ્સિયસ થઈ જશે. તેની સરખામણી કરીએ તો 18 હજાર વર્ષ પહેલાં જ્યારે હિમ યુગ હતો ત્યારે તાપમાન -5 ડીગ્રી સેલ્સિયસ હતું. એટલે કે જો પરમાણુ યુદ્ધ થશે તો દુનિયા 18 હજાર વર્ષ પાછળ જતી રહેશે.

1945માં જાપાનનાં બે શહેરો બન્યા હતા પરમાણુ હુમલાનાં શિકાર
1945માં જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો ત્યારે પણ આવું જ થયું હતું. આ હુમલો કરાયો ત્યારે જ ગણતરીની મિનિટોમાં લાખો લોકોનાં મોત થયાં હતાં. આ બ્લાસ્ટની અસર પણ એટલી હતી કે એ પછીનાં પણ ઘણાં વર્ષો સુધી લોકો મરતા રહ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન ઝૂકવા તૈયાર નહોતું. ત્યારે અમેરિકાએ તેનાં બે શહેર હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બથી હુમલો કર્યો હતો. 6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશિમા અને 9 ઓગસ્ટ 1945માં નાગાસાકી પર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. હિરોશિમામાં બોમ્બ પડવાથી 1.40 લાખ લોકોનાં મોત થયાં હતાં. નાગાસાકી પર બોમ્બ પડ્યો ત્યારે એના રેડિયેશન પહાડોને કારણે 6.7 કિમી સુધી ફેલાયા હતા. એનાથી 74 હજાર લોકોનાં મોત થયાં હતાં. આ હુમલા પછી જમીનનું તાપમાન 4,000 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જાપાન પરમાણુ હુમલો સહન કરી ચૂક્યું છે અને જે લોકો એમાંથી બચી ગયા છે તેઓ આજે પણ એ દિવસને યાદ કરીને કંપી ઊઠે છે. પરમાણુ યુદ્ધ માત્રને માત્ર બરબાદી જ લાવે છે.

Most Popular

To Top