National

શ્રીનગરમાં 3 દાયકા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોહરમનું જુલૂસ નીકળ્યું

જમ્મુ કાશ્મીર: વર્ષો પછી જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના (Srinagar) લાલ ચોક ખાતે મોહરમનું જુલૂસ (Muharram Procession) નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ જુલુસને ખાસ માનવામાં આવે છે કારણકે જમ્મુ-કાશ્મીર પ્રશાસને (Jammu and Kashmir Administration) લગભગ 3 દાયકા પછી એટલે કે 30 વર્ષ પછી લાલચોક રોડ પર મોહરમ જુલૂસ કાઢવાની મંજૂરી આપી હતી.

જુલૂસ કાઢવાની મુસ્લિમ સમુદાયની આ માંગ લાંબા સમયે પૂરી થઈ હતી. લાંબી રાહ જોયા બાદ પ્રશાસને આ વર્ષે 8મી મોહરમના જુલૂસને પરંપરાગત રૂટ પરથી કાઢવાની માંગણી સ્વીકારી હતી. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન ઝુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.

મોહરમનાં જુલૂસમાં ખાસ કરીને નવી પેઢીના બાળકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. મોહરમના જુલૂસને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને વિવિધ સ્થળોએ સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. સરકારના આ મોટા નિર્ણયને જોઈને શિયા સમુદાયના લોકો ખૂબ જ ખુશ થયા અને તેઓએ LG પ્રશાસનનો આભાર માન્યો હતો.

એલજી પ્રશાસને કેટલીક શરતો મૂકી હતી
એલજી પ્રશાસને મોહરમનું જુલુસ કાઢવા માટે કેટલીક શરતો પણ મૂકી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરઘસ દરમિયાન કોઈપણ પ્રકારના રાષ્ટ્રવિરોધી નારા લગાવવા જોઈએ નહીં અને ઈસ્લામિક ધ્વજ સિવાય અન્ય કોઈ ધ્વજ દેખાવા જોઈએ નહિં. એલજી પ્રશાસનના આ નિર્ણયને સ્વીકારીને શિયા બરાદરીના લોકોએ ભારે ઉત્સાહ સાથે આ જુલૂસ કાઢ્યું હતું. આ જુલુસને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી હતી.

શિયા સમૂદાયની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવી
શિયા સમુદાય લાંબા સમયથી શ્રીનગરના ગુરુ બજારથી દલગેટ સુધીના પરંપરાગત માર્ગ પર 8મી મોહરમનું જુલૂસ કાઢવાની માંગ કરી રહ્યા હતા. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ કહ્યું કે શિયા સમૂદાયની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે મોહરમનું જુલૂસ કાઢવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે.

વહીવટીતંત્રે કહ્યું કે પ્રવર્તમાન શાંતિપૂર્ણ વાતાવરણને કારણે શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપવામાં કોઈ સમસ્યા ન હતી. તમામ જૂથોના શિયા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ અને ગુરબજારની સ્થાનિક સમિતિ સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ વહીવટીતંત્રને શાંતિપૂર્ણ કાર્યક્રમની ખાતરી આપવામાં આવી હતી.

મોહરમનાં જુલૂસ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
મોહરમનાં જુલૂસને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી હતી. અને એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગુરુબજારથી નીકળેલા રૂટ સિવાય કોઈને પણ વ્યક્તિગત અથવા સામૂહિક રીતે કોઈ પણ મોહરમનું જુલૂસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. ગુરુવારે કામકાજનો દિવસ હોવાથી અને સામાન્ય લોકોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને મોહરમનું જુલૂસમાં તંત્રએ સવારે 6થી 8નો સમય આપ્યો હતો.

Most Popular

To Top