SURAT

સુરતમાં મેહુલ બોઘરા પર હુમલા મામલે સરથાણા PI સહિત 4ની આંતરિક બદલી

સુરત: સુરતમાં એડવોકેટ(Advocate) મેહુલ બોઘરા(Mehul Boghra) પર થયેલા હુમલા(Attack)ના ઘરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાને લઈ એક તરફ તો સુરતના વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસ કમિશનર આ મામલે એક્શનમાં આવી ગયા છે. આ ઘટના બાદ બગડી રહેલી પોલીસની છબીને સુધારવા માટે પોલીસ ઇન્સ્પેકટર(PI)ની બદલી(Transfer)નો ગંજીપો ચીપ્યો છે. સુરતમાં 4 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં મેહુલ બોઘરા પર હુમલાની મોડી ફરિયાદ લેનાર સરથાણા(Sarthana) પી.આઈની બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય PIની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરતમાં ચાર પીઆઇને આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ એમકે ગુર્જરને બદલી કરી તેઓને કંટ્રોલરૂમમાં મુકવામાં આવ્યા છે અને સરથાણા PI તરીકે વી એલ પટેલને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે વીએલ પટેલને સારોલીથી સરથાણા અને એસ જે ભાટિયાને પીસીબીથી એસઓજીમાં તથા આર.એસ સુવેરાને એસઓજીથી પીસીબીમાં બદલી કરવામાં આવી છે.

હુમલાના વિરોધમાં લોકોએ કરી હતી PIની બદલીની માંગ
સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસની હપ્તાખોરીનો વીડિયો ઉતારનાર વકીલ મેહુલ બોઘરા પર ઘાતકી હુમલો થયો હતો. ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ પોલીસ દ્વારા મોડેથી ફરિયાદ લેવામાં આવી હતી. જેના કારણે પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ વિરોધ દરમિયાન પીઆઇની બદલીની માગ કરી હતી.

ગતરોજ 37 ટીઆરબી જવાનોને તગેડી દેવાયા
મેહુલ બોઘરા પર હુમલાની ઘટના બાદ સુરત શહેર પોલીસની નિષ્ઠા સામે પણ પ્રશ્નો ઉઠે તેમ હોય સુરત શહેર પોલીસ દ્વારા હવે ટીઆરબી જવાનો સામે કડક કાર્યવાહીનો આરંભ કરી દેવાયો હતો છે. સુરત શહેર પોલીસ દ્વારા એક ઝાટકે 37 ટીઆરબી જવાનોને નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવ્યું છે. 37 જેટલાં ટીઆરબીને નોકરીમાંથી કાઢી (Dismiss) મુકવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ વરાછાના ટીઆરબી જવાનોને સસ્પેન્ડ કર્યા હતા. પ્રજા સાથે ગેરવર્તન, ભ્રષ્ટ્રાચાર અને સતત ગેરહાજરીની ફરિયાદોનો સામનો કરી રહેલાં ટ્રાફિક બ્રિગેડના 37 જવાનોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. આ હૂકમ ટ્રાફિક સેક્ટર 1ની કચેરીના નાયબ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. તેથી મોટા ભાગના ટ્રાફિક બ્રિગેડના જવાનો કતારગામ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top