Gujarat

ગુજરાતમાં સૌપ્રથમવાર “વાર્તાથી વાવેતર” બાળવાર્તા-બાળ મહોત્સવનો પ્રારંભ ભાવનગરથી થશે

ગાંધીનગર : ન્યુ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦માં બાળકોની કેળવણીમાં વાર્તા (Story) અને ગીતોના (Song) મહત્વને વિશિષ્ટ પ્રાધાન્ય અપાયું છે ત્યારે આ જ વાત બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકા આજથી ૧૦૦ વર્ષ પહેલા કહી ચુક્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગિજુભાઈના વાર્તાના શાસ્ત્રને ફરી મુર્તિમંત કરવા માટે એક અનોખો પ્રયોગ ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમવાર ભાવનગરથી (Bhavnagar) શરુ થવા જઈ રહ્યો છે. આગામી તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨નાં રોજ ભાવનગરના મેઘાણી ઓડીટોરીયમમાં સાંઈલક્ષ્મી ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાળગીત અને બાળવાર્તાને આંગિકમ-વાચિકમ અને અભિનયની સાથે અનોખી રીતે પ્રસ્તુત કરાશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સર્જનાત્મકતા અને મૌલિકતા ખીલવવા માટે વાર્તા ખુબ જરુરી હોવાથી શિક્ષણવિદ સાંઈરામ દવે દ્વારા વાર્તાશાસ્ત્રને વિગતવાર સમજાવવામાં આવશે. સાથે જ વાર્તાથી જ જેમનું વ્યક્તિત્વ કેળવાયું છે અને સમગ્ર વિશ્વમાં જેમનું કટાર લેખક તરીકે પ્રખ્યાત નામ છે તેવા જય વસાવડા વાર્તાનું સાઈન્ટીફિક લોજિક અને વાર્તાના મહત્વ વિશે વક્તવ્ય આપશે.

ભાવનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત આ કાર્યક્રમમાં શહેરના તમામ શિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આ પ્રથમ અને વિશિષ્ટ પ્રયોગ બાદ ગુજરાતના પૂર્વ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને વાર્તાથી વાવેતર થકી ગિજુભાઈનાં કેળવણી દર્શનીથી માહિતગાર કરવાનું આયોજન છે. ગિજુભાઈએ ભાવનગર ખાતે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનથી કેળવણીની કેડી કંડારી હોવાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અને શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન આ કાર્યક્રમને સફળ બનાવશે.

Most Popular

To Top