Comments

સરકારના નિશાન પર આમઆદમી જ?

મૌન આશીર્વાદ છે અને આ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું અજમાવાયેલું અને કસોટીમાંથી પાર ઉતરેલું તથ્ય છે, જે કટોકટીના સમયે હાથવગું સાબિત થયું છે. રાજકીય પક્ષો વિશેષત: શાસક પક્ષો અને તેમની સરકારો વિવાદાસ્પદ મુદ્દાઓનો સામનો કરતી વખતે વિવાદમાં ઢસડાઇ જવાની બીકે આ સાધન અપનાવે છે. ચૂપકીદી જ શ્રેષ્ઠ ઉપાય લાગે છે.

આમ આદમીના  પેટ પર પ્રહાર કરતા મુદ્દાઓ પર સરકાર મીંઢી બની જાય તો શું? પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળતા હોવા છતાં કયાંય સળવળાટ ન દેખાય તેવા બનાવોમાં મૌન આશીર્વાદરૂપ લાગે પણ લોકો મોંઘવારી જેવી સમસ્યાના માર સહન કરવા છતાં કંઇ ઉંહકારો નથી કરતા તેનો અર્થ એ નથી કે તેઓ પોતાને કનડતી આ સમસ્યાઓ પ્રત્યે સ્વીકૃતિ દર્શાવે છે.

લોકોની લાચારી અને શેરી-મહોલ્લાઓમાં ઉતરી પડવાની અશકિત એવું નથી દર્શાવતી કે લોકોને જે તે પરિસ્થિતિ સ્વીકાર્ય છે. ક્રુડ તેલના આંતર રાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણમાં નીચા હોય ત્યારે પણ પેટ્રોલ-ડીઝલના વિક્રમસર્જક ભાવ હોય અને ત્યારે સરકારે આંખ આડા કાન નહીં કરવા જોઇએ.

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે અને કેટલાંક રાજયોમાં તો પેટ્રોલના ભાવ લીટરે રૂા. ૧૦૦ થી વધુ થઇ ગયા છે. દિલ્હીનો જ દાખલો લઇએ તો તા. ૧૬ મી ફેબ્રુઆરીએ પેટ્રોલના ભાવ રૂા. ૮૯.૨૯ અને ડીઝલના ભાવ રૂા. ૭૯.૭૦ લીટર દીઠ હતા. દેશનાં અન્ય મહાનગરો અને નગરોમાં પણ આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોકેટ ગતિએ ભાવવધારો થતાં આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ઉપભોકતા જણસોના ભાવ વધે છે અને સત્તાવાળાઓ અને વિરોધ પક્ષો મીંઢું મૌન ધારણ કરી લોકોની યાતનાઓ માણે છે. વિરોધ પક્ષોનો વિરોધ પત્રકાર પરિષદો અને સોશ્યલ મીડિયા પૂરતો સીમિત થઇ ગયો છે. સામાજિક જૂથો અને વેપારી અને ઔદ્યોગિક મંડળ, કામદાર સંઘ વગેરે ચૂપચાપ પરિસ્થિતિ સ્વીકારી લીધી હોય તેમ સંપૂર્ણ ઉદાસીનતાથી બેઠા છે.

૨૦૧૪ માં યુ.પી.એ. સરકારનું પતન થયું તેની પાછળનું એક કારણ ફુગાવો પણ હતું. તે સમયે મોંઘવારી વધવાને કારણે લોકોની યાતનાને વાચા આપવા આજના કેટલાક પ્રધાનો અને શાસક પક્ષના નેતાઓ સહિતના આ જ લોકો શેરીઓમાં ઊતરી પડયાં હતાં અને હવે તેઓ જ કયાં તો ગુનાહિત મૌન ધારણ કરે છે અથવા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને વાજબી ઠેરવવા ફાંફા મારી રહ્યા છે.

૨૦૧૪ માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ રૂા. ૭૧ હતો. આજે રૂા. ૮૯ છે. ડીઝલનો ભાવ લીટરે રૂા. ૫૭ હતો. આજે રૂા. ૭૯.૭૦ છે. થોડા સમય માટે થોડા  ઘટાડાના અપવાદ સિવાય આ બંને જણસોમાં ભાવવધારો સતત ચાલ્યા જ કરે છે.

બળતામાં પેટ્રોલ-ડીઝલ ઉમેરાતાં હોય તેમ ગયા વર્ષે કોરોનાને કારણે તેના ભાવ વધ્યા હતા. એક તરફ લોકો બેરોજગાર થયા, આવક બંધ થઇ, ખીસામાં પૈસા નહીં હોય અને મોંઘવારીએ માઝા મૂકી. આધુનિક જીવનમાં જીવાદોરી સમાન પેટ્રોલ-ડીઝલ મોંઘાં થયાં અને સરકારને તેની લેશ માત્ર ચિંતા લાગતી ન હોય તે પરિસ્થિતિ લોકો માટે દુ:સ્વપ્ન સમાન છે.

અર્થતંત્ર સરકારે જાળવવાનું છે અને દેશના વિકાસ માટે નિશ્ચિતરૂપે ભંડોળ આપતા રહેવાનું છે તે સર્વસ્વીકૃત હકીકત છે. લોકોની આવકમાં ગણનાપાત્ર વધારો કર્યા વગર ભારે કરવેરા નાંખી આવક મેળવવાનો જ બધો ભાર લોકો પર નાંખવાનું વધુ ભૂલભરેલું છે અને આ યાતના ચૂપચાપ સહન કરી લેવા બદલ લોકોને દોષ દેવાનું યોગ્ય છે? જનમત ઘડવાનું અને તેમાં વિરોધપક્ષોએ પણ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે તે પોતે જ એક પ્રક્રિયા છે.

લોકોના હિતની વાત છોડો, પણ વિરોધપક્ષો પોતાના રાજકીય ભવિષ્ય અને હિત માટે પણ આ મુદ્દો ઊંચકી નથી શકયા. જાહેર મત પ્રત્યે પોતાના મૌન માટે વિરોધપક્ષો ગણનાપાત્ર પ્રમાણમાં પત્રકારોને આગળ ધરી રહ્યા છે. પણ તેથી તેમનું મૌન વાજબી નથી ઠરતું.

કામદાર ચળવળોનો પર્યાય ગણાતા ડાબેરી પક્ષો પોતાના વારંવારના પરાજયને કારણે હાંસિયામાં ધકેલાઇ ગયા છે. કોંગ્રેસ અને અન્ય વિરોધપક્ષોની હાલત પણ કંઇ સારી નથી. લોકોના મતને વાચા આપવાનો આ એક માર્ગ પણ બંધ થઇ ગયો.

જૂથબંધીથી ખદબદતા કોંગ્રેસ પક્ષમાં હમણાં હમણાં ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે સળવળાટ પેદા થયો છે. પણ લોકોના હિતને મામલે મીંઢી બની ગયેલી સરકારને તેનાથી ઘસરકો ય  નથી પડવાનો.

પેટ્રોલ અને ડીઝલ પર જુદા જુદા કરવેરા નાંખી કેન્દ્ર સરકારે છેલ્લા વર્ષમાં લોકો પાસેથી રૂા. ૨૦ લાખ કરોડથી વધુ રકમ ઉસેટી લીધે છે એમ ખુદ કોંગ્રેસ કહે છે. પક્ષના મહામંત્રી અજય માકેન પૂછે છે કે આ રકમ કયાં ગઇ?

આપણા જવાનો અને સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થાં પર કાપ મૂકાય છે. કરવેરા સત્તાવાળાઓનું આપણા નાના ઉદ્યોગપતિઓ, નાના ઉદ્યોગ સાહસિકો પર સતત દબાણ રહે છે અને બેંકો તેમની પાસે પઠાણી ઉઘરાણી કરે છે. દેશમાં બેરોજગારી પ્રચંડ માત્રામાં છે. ખેડૂતો આપઘાત કરે છે અને આ રૂા. વીસ લાખ કરોડની રકમ કયાં ગઇ એમ અજય માકેન પૂછે છે.

સરકારે પેટ્રોલ-ડીઝલ  પરની આબકારી જકાત ઘટાડવાનો મૌન ઇન્કાર કર્યો છે અને જણાવ્યું છે કે રાષ્ટ્રીય વિકાસને ચાલુ રાખવા આ સાધનોથી આવક વધારવાનું જરૂરી છે.

આમ આદમીની ગળચી પકડીને જ આવક વધારવાનો સરકાર પાસે એક માત્ર ઉપાય છે.

          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top