Gujarat

મોરબીના હળવદમાંથી વરિયાળીમાં ભેળસેળનું કૌભાંડ: 1.13 કરોડનો 59 હજાર કિલો જથ્થો જપ્ત

ગાંધીગનર: રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં વ્યાપક પ્રમાણમા ભેળસેળનું (Confusion) પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે ગાંધીનગરથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા (Raid) પાડવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા વરિયાળીમાં થતું ભેળસેળનું કૌભાંડ પકડાયું છે, જેમાં વરિયાળી અને કલરનો મળી રૂ.૧.૧૩ કરોડની કિંમતનો આશરે ૫૯ હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મસાલા સહિતની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષણ દરમિયાન ખાદ્યપદાર્થોમાં કોઈ ભેળસેળ જણાય તો તેવાં તત્ત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અવધ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં હિતેશભાઇ મુકેશભાઇ અગ્રવાલ નામનો વ્યક્તિ વરિયાળીમાં કલર ભેળવી ભેળસેળવાળી વરિયાળી બનાવીને વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-મોરબી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-મોરબીની સંયુક્ત ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી વરિયાળીમાં અખાદ્ય કલર ભેળવવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સ્થળ પર હલકી ગુણવત્તાની આખી વરિયાળી પર કલર ચડાવી ભેળસેળ કરી ભેળસેળવાળી વરિયાળીનું ઉત્પાદન કરી વેચાણ થતું જોવા મળ્યું હતું. તેમજ સ્થળ પર ભેળસેળ કરવા માટેના અખાદ્ય કલર પણ મળી આવ્યા હતા.

આ પેઢી કોઇપણ પ્રકારના ફૂડ પરવાના વગર ગેરકાયદે ધંધો કરતી હતી તેમજ ભેળસેળવાળી વરિયાળી દિલ્હી તથા અન્ય રાજ્યોમાં વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વરિયાળીના ૩ અને કલરના ૩ મળી કુલ ૬ નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વરિયાળીનો અંદાજિત રૂ.૧.૧૧ કરોડની કિંમતનો ૫૬ હજાર કિલોગ્રામ જેટલો જથ્થો અને રૂ.૧.૮૨ લાખની કિંમતનો આશરે ૩ હજાર કિલોગ્રામ કલરનો જથ્થો મળી કુલ રૂ.૧.૧૩ કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ભેળસેળવાળી વરિયાળી બનાવનાર હિતેશ મુકેશભાઇ અગ્રવાલની પોલીસ દ્વારા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top