Dakshin Gujarat Main

આમોદના કાંકરિયામાં લાલચમાં આવી હિન્દુમાંથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરનારા આટલા લોકોની ધરપકડ

ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી 37 કુટુંબના 100 લોકોને મુસ્લિમ ધર્મ (Muslim religion) અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર પ્રકરણમાં હિન્દુમાંથી (Hindu) ઇસ્લામ ધર્મનો અંગીકાર કરેલા કાંકરિયાના ચાર ઈસમોની ધરપકડ થઇ છે. જાગૃત ફરિયાદની સ્ફોટક ખુલાસા બાદ કાંકરિયામાં પહેલો ધર્મ પરિવર્તન કરનાર અજિત છગનભાઈ વસાવામાંથી અબ્દુલ અજીજ પટેલ બનનારની પણ ધરપકડ કરવામાં આવી છે. આખા ષડયંત્રમાં ધર્મ પરિવર્તનમાં વિદેશી ફંડિંગ કરનાર લંડનમાં રહેતા હાલ નબીપુરનો આરોપી ફેફડાવાલા હજી અબ્દુલાની પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉત્તરપ્રદેશ ધર્માંતરણની (Conversion) પ્રવૃત્તિના તણખા વડોદરા બાદ ભરૂચના નબીપુર સહિત હવે આમોદ સુધી પહોંચ્યા છે. આમોદના કાંકરિયા ગામના તદ્દન ગરીબ 37 આદિવાસી પરિવારોના 100 લોકોને જર, જમીન અને જોરૂ આપવાની લાલચે મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવાયા હોવાની સ્ફોટક બનાવ એક જાગૃત નાગરિકે 9 સામે ફરિયાદ નોંધાયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આખા પ્રકરણમાં પોલીસે મૂળ હિન્દુ હોવા છતાં લોભ લાલચમાં મુસ્લિમ ધર્મ અપનાવનારા ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમાં અબ્દુલ અજીજ પટેલ (અજીતભાઈ છગનભાઈ વસાવા), યુસુફભાઈ જીવણભાઈ પટેલ, (મહેન્દ્રભાઈ જીવણભાઈ વસાવા), ઐયુબ બરકત પટેલ (રમણભાઈ બરકતભાઈ વસાવા) અને ઈબ્રાહીમ પુના પટેલ (જીતુભાઈ પુનાભાઈ વસાવા) (તમામ રહે.,કાંકરિયા, તા.આમોદ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓનાં રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતને સલામત રાખનાર રાજ્યના ગૃહમંત્રી, જિલ્લા પ્રભારી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સુરતના હોવાથી કાંકરિયાના ધર્મ પરિવર્તન બાદ આધારકાર્ડ બન્યો: સંઘી મુકેશ જાદવ
કાંકરિયાના આદિવાસી હિન્દુઓ પાસે કોઈ પુરાવો નથી. તો જ્યાં રાજ્યને સલામત રાખનાર રાજ્યના ગૃહમંત્રી સુરતના છે. ભરૂચના પ્રભારી મંત્રી અને પ્રદેશ પ્રમુખ સુરતના છે. છતાં કાંકરિયાના હિન્દુને ઇસ્લામ ધર્મનો આધાર કાર્ડ સુરત શહેરમાં બને એ ચોંકાવનારી ઘટના છે. આ શબ્દો આમોદના RSS સંઘના વિચારધારા સાથે જોડાયેલા મુકેશભાઈ જાદવે કહ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાંકરિયાનો બાય બર્થ (જન્મ પ્રમાણ) હિન્દુઓનો છે. સામાજિક વ્યવહાર પણ હિન્દુ આદિવાસી કોમ્યુનિટી સાથે જોડાયેલો છે. ત્યારે કાંકરિયાના ધર્મ પરિવર્તન કરેલાનો આધારકાર્ડ સીધું સુરતમાં જઈને કરવામાં આવે એનાથી કેટલાક રોહિગ્યા કે બાંગ્લાદેશીઓ આવા આધારકાર્ડથી સુરતમાં પગપેસારો કરવાની શંકા સેવાઈ રહી છે.

92નાં રમખાણોમાં કટ્ટરવાદીઓને લોકોએ ખદેડ્યા હતા
વર્ષ-1992માં સમગ્ર કાંકરિયા ગામ હિન્દુ સમાજનું હતું. એ વેળા રમખાણમાં આમોદના કેટલાક હિન્દુઓ સ્વબચાવ માટે કાંકરિયા ગામમાં દોડી ગયા હતા. ત્યારે આદિવાસી બાહુલ વસતી ધરાવતા કાંકરિયા ગામના ખડતલ અને મજબૂત આદિવાસીઓ અને મહિલાઓએ માત્ર ગોફણ, ગીલોલ અને લાકડીથી લઘુમતી ટોળાને ત્યાંથી ખદેડી મૂક્યા હતા. જેથી ગામના લોકોનું ધર્માંતરણ કરાવવાનું કાવતરું રચાયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Most Popular

To Top