National

PM મોદીની હત્યાની વાત કરનાર કોંગ્રેસ નેતાની ધરપકડ, પાર્ટી પણ ફટકારી શકે છે નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) પૂર્વ મંત્રી રાજા પટેરિયાની (Raja Pateria) ધરપકડ (Arrest) કરવામાં આવી છે. રાજા પટેરિયાએ પીએમ મોદી (PM Modi) પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મધ્યપ્રદેશના દમોહના હટાથી સવારે લગભગ 5.30 વાગે કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. રાજા પટેરિયાનો એક વીડિયો સામે આવ્યો હતો. આમાં તે કથિત રીતે ‘પીએમ મોદીની હત્યા’ની વાત કરતા જોવા મળે છે. જોકે બાદમાં પટેરિયાએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવા માગે છે. આટલું જ નહીં, તેણે કહ્યું હતું કે આવું ફ્લોમાં બોલાય ગયું હતું.

રાજા પટેરિયાનો જે કથિત વીડિયો સામે આવ્યો છે તેમાં તે કેટલાક કાર્યકરોને સંબોધિત કરી રહ્યો છે. તેઓ કહેતા જણાય છે, મોદી ચૂંટણી ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડશે, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે, બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા તૈયાર રહો. જો કે, પાછળથી તેમણે કહ્યું કે હત્યાનો અર્થ હાર થાય છે.

હત્યાનો અર્થ હતો હાર – રાજા પટેરિયા
વીડિયો વાઈરલ થયા બાદ રાજા પટેરિયાએ કહ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવા માગે છે. તેમણે કહ્યું, આવું ફ્લોમાં બોલાઈ ગયું હતું. પરંતુ આ વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ જ આ ભાગ ઉપાડ્યો હતો. રાજાએ કહ્યું કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મારો મતલબ એવો નહોતો. મારા નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.

આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી – નરોત્તમ મિશ્રા
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ FIR માટે સૂચના આપી હતી. આ પછી એમપી પોલીસે રાજા પટેરિયા સામે કેસ નોંધ્યો હતો. આજે તેની ધરપકડ કરવામાં આવી હતી. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, મેં પટેરિયાજીના નિવેદનો સાંભળ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. તેમણે કહ્યું કે ઈટાલીમાં કોંગ્રેસ છે અને ઈટાલીમાં મુસોલિનીની માનસિકતા છે. સ્વરા ભાસ્કર, કન્હૈયા કુમાર, સુશાંત રાહુલ ગાંધીની યાત્રામાં ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં એસપીને આ મામલે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવા સૂચના આપી છે.

Most Popular

To Top