National

યુપીમાં રાષ્ટ્રધ્વજ વહેંચનાર આંગણવાડી કાર્યકરને ‘સિર તન સે જુદા’ કરવાની ધમકી મળી

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર (Bijnor)જિલ્લામાં ઘરે-ઘરે ત્રિરંગો વહેંચનાર આંગણવાડી કાર્યકર(Anganwadi worker)ને જાનથી મારી નાખવાની ધમકી(Death threats) મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. કાર્યકરને તેના ઘરની બહાર ‘સિર તન સે જુદા’ ધમકી આપતો પત્ર(Letter) મળ્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે(Police) આ મામલે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે પીડિત પરિવારને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી છે.

ISI સમર્થકનાં નામે આપ્યો ધમકી ભર્યો પત્ર
જિલ્લાના કિરાતપુરની રહેવાસી શશી બાલા આંગણવાડી કાર્યકર છે. તેમના પતિ અરુણ કુમાર કશ્યપ રેસ્ટોરન્ટ ચલાવે છે. 13 થી 15 ઓગસ્ટ સુધી ચાલેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે આંગણવાડી કાર્યકર શશી બાલા તેમના પતિ સાથે તેમના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી રહી હતી. આ કામ સતત બે-ત્રણ દિવસ ચાલતું હતું. 15 ઓગસ્ટની સવારે શશિબાલાને તેમના ઘરની બહારના દરવાજા પર હાથથી લખેલું પેમ્ફલેટ પેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં ધમકીભર્યા શબ્દોમાં લખવામાં આવ્યું હતું કે ‘અરુણ, તું ઘરે-ઘરે ત્રિરંગો વહેંચી રહ્યો છે. તારું માથું શરીર અલગ કરી દઈશ.” પત્રિકામાં નીચે લખ્યું હતું – ISI સમર્થક.

ધમકી મળતા પરિવારજનોમાં ભય
આવા બે પેમ્ફલેટ ઘરની સામેની દુકાન પર અને એક તેની સામે ફાસ્ટ ફૂડની ગાડી પર ચોંટાડેલા જોવા મળ્યા હતા. આ ધમકી બાદ અરુણ કુમારના પરિવારમાં ભયનો માહોલ છે. પરિવાર ગભરાઈ ગયો છે. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આ ત્રણેય પેમ્ફલેટ પોતાના કબજામાં લીધા છે. પેમ્ફલેટની હેન્ડરાઈટિંગ જોઈને ખબર પડી કે ધમકી આપનાર વ્યક્તિ બહુ ભણેલો નથી. આ પછી પોલીસે પરિવારની ફરિયાદ પર અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સમગ્ર મામલાની તપાસ માટે પોલીસ અને ગુપ્તચર વિભાગના લોકોની એક ટીમ બનાવવામાં આવી છે. આ સાથે પરિવારની સુરક્ષા માટે 2 જવાનોને પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરંતુ આ પછી પણ પરિવારના સભ્યો ભયમાં છે.

દીકરાને ભણવા મોકલવાનો પણ ડર લાગે છે: પરિવાર
આંગણવાડી કાર્યકરના પરિવારનું કહેવું છે કે તેમનો દીકરો પણ બિજનૌર ભણવા જાય છે. આ ધમકી બાદ તે ડરમાં છે કે પુત્રને અભ્યાસ માટે મોકલવો કે નહીં, કારણ કે ધમકીનો હેતુ શું છે અને આપનાર કોણ છે? જ્યાં સુધી આ ખબર નહીં પડે ત્યાં સુધી તે ભયમાં રહેશે. અધિક પોલીસ અધિક્ષક (શહેર) પ્રવીણ રંજન સિંહે કહ્યું કે આ મામલામાં અજાણ્યા લોકો સામે કેસ નોંધીને સંબંધિત પરિવારને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. હાલ પોલીસ અને અન્ય અધિકારીઓની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ હકીકતો સામે આવશે તેના આધારે અસરકારક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top