Columns

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને ભારતમાં ભેળવી દેવાની સુવર્ણ તક ઊભી થઈ છે

ભારતના ભાગલા થયા ત્યારે પાકિસ્તાને કાશ્મીરના એક ભાગ પર અનધિકૃત રીતે કબજો જમાવી દીધો હતો. આ ભાગ નકશામાં ભારતમાં દેખાડવામાં આવે છે પણ તેના પર હકીકતમાં પાકિસ્તાનનો કબજો છે. પાકિસ્તાન આ ભાગને આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે પણ હકીકતમાં ત્યાંનાં લોકો પાકિસ્તાનના ગુલામની જેમ જીવે છે. આ કાશ્મીર માટે ભારતની સંસદમાં બેઠકો ખાલી રાખવામાં આવે છે અને તેને ભારતમાં ભેળવી દેવાનો ઉચ્ચાર ભાજપના નેતાઓ વારંવાર કરતાં હોય છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને જો ભારતમાં ભેળવી દેવું હોય તો તેના માટે સુવર્ણ તક તાજેતરમાં પેદા થઈ છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વ્યાપક અશાંતિ ફેલાઈ રહી છે. સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ (JAAC) એ ૩૮ અધૂરી માંગણીઓ માટે દબાણ લાવવા માટે ૯ જૂને લોકડાઉન વિરોધી વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું છે, જેના કારણે આ પ્રદેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. PoK માં ભૂતકાળમાં પણ હિંસક ઘટનાઓ જોવા મળી છે, જેમાં સુરક્ષા દળો દ્વારા JAAC નેતાની હત્યા, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને વિદ્રોહી જૂથ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિ હોવા છતાં PoK માં લોકો હજુ પણ વીજળીની અછત, ફુગાવા, બેરોજગારી, સંસાધનોનો નાશ અને રાજકીય ભેદભાવથી પીડાઈ રહ્યા છે.

પીઓકેમાં ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, જ્યારે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન ફેડરલ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પાકિસ્તાની અધિકારીઓએ JAAC પર પ્રતિબંધ મૂક્યો છે અને તેના પર આતંકવાદમાં સામેલ થવાનો અને રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો આરોપ મૂક્યો છે. આ ઘટનાઓથી આગામી દિવસોમાં આ પ્રદેશમાં અશાંતિનો બીજો મોટો તબક્કો ફરી એક વાર જોવા મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાને બંધારણીય, ચૂંટણી અને શાસન સુધારા અંગેનાં પોતાનાં વચનો પૂર્ણ કર્યાં નથી અને આંદોલનને નબળું પાડવાનો પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં પાકિસ્તાન સરકારના અત્યાચારો સામે કાશ્મીરીઓએ બળવો શરૂ કર્યો છે. આવી સ્થિતિમાં PoK માં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. શુક્રવારે મોટી સંખ્યામાં કાશ્મીરીઓ પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. ત્યારબાદ પાકિસ્તાન સરકારે કાશ્મીરીઓનો અવાજ દબાવવા માટે ભારે દળો તૈનાત કર્યા હતા. આ દરમિયાન કાશ્મીરીઓ પર ગોળીબાર થયાના પણ અહેવાલો આવ્યા છે. ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાકિસ્તાની દળો રાઈફલથી ગોળીઓ ચલાવી રહ્યા છે.

મિડલ ઇસ્ટ મીડિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક અહેવાલ મુજબ ૩૮ મુદ્દાના ચાર્ટરમાં લોટ સબસિડી પુનઃસ્થાપિત કરવા અને ફુગાવાને નિયંત્રિત કરવા, ન્યાયાધીશો અને સરકારી કર્મચારીઓને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ સમાપ્ત કરવા, અન્યાયી કર પાછો ખેંચવા અને પાકિસ્તાનની સંઘીય સરકારમાં કાશ્મીરીઓ માટે નોકરીઓ અનામત રાખવા જેવી માંગણીઓ સામેલ છે. તેમાં વેપારીઓને નાણાંકીય સહાય, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન સાથે પીઓકે બેંકનું વિલીનીકરણ રદ કરવા, ટોલ પ્લાઝા નાબૂદ કરવા, લાકડાની દાણચોરી પર પ્રતિબંધ અને વિવિધ શહેરોમાં વિદ્યાર્થી છાત્રાલયોના નિર્માણની માંગણી કરવામાં આવી છે.

જેકે-જેએએસી કોર કમિટીના સભ્ય સરદાર ઉમર નઝીર કાશ્મીરીએ પણ આંતરરાષ્ટ્રીય મીડિયા અને વૈશ્વિક માનવાધિકાર સંગઠનોને પીઓકેમાં ચાલી રહેલા સંકટનો ઉકેલ લાવવા અપીલ કરી છે. JAAC એ લાંબા બંધની તૈયારીમાં લોકોને ઓછામાં ઓછા એક મહિના માટે આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની અપીલ કરી છે. તેણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી આ વિસ્તારમાં કોઈ પણ રાજકીય રેલીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)નાં લોકો ઇસ્લામાબાદના અત્યાચારોથી કંટાળી ગયા છે.

દાયકાઓથી પાકિસ્તાન તેમની સાથે બીજા વર્ગનાં નાગરિકો જેવું વર્તન કરે છે. મુઝફ્ફરાબાદમાં એક રેલીને સંબોધતાં પીઓકેના રાજકીય કાર્યકરોએ ખુલ્લેઆમ પાકિસ્તાની સૈન્ય અને સરકાર સામે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કર્યું હતું. પીઓકેમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનોનું લાંબા સમયથી નેતૃત્વ કરી રહેલા રાજકીય કાર્યકર્તા અને નેતા તૌકીર ગિલાનીએ કહ્યું કે પાકિસ્તાની વહીવટીતંત્ર કહે છે કે તેઓ અમારી સાથે ઊભા રહેશે અને હંમેશા પીઓકેનાં નાગરિકોના અધિકારો માટે લડશે, પરંતુ પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારથી જ પાકિસ્તાન આપણું દુશ્મન રહ્યું છે. તમે અફઘાનિસ્તાનનાં લોકોને પૂછી શકો છો, તમે પેલેસ્ટિનિયનોને પૂછી શકો છો અને તમે અમને અત્યાચારો વિશે પણ પૂછી શકો છો.

રેલીને સંબોધતા ગિલાનીએ કહ્યું કે આજે પાકિસ્તાની શાસન આપણી વાત સાંભળવા અને આપણે જે સ્વતંત્રતા માંગીએ છીએ તેને આપવા તૈયાર નથી. અહીંનું શાસન આપણને પાકિસ્તાનવિરોધી અને ઇસ્લામ વિરોધી કહે છે. પાકિસ્તાનનો એકમાત્ર ઇરાદો આપણા અધિકારો છીનવી લેવાનો છે, પરંતુ પીઓકેનાં લોકો હવે આ સહન કરશે નહીં. પીઓકેનાં લોકો વધુ જાગૃત થઈ ગયાં છે. આપણે અવાજ ઉઠાવવામાં કોઈ કસર છોડીશું નહીં.

કુદરતી સંસાધનોની ચોરી PoK માટે સૌથી મોટો ખતરો છે, જે ૧૯૪૮ થી પાકિસ્તાનના કબજા હેઠળ છે. પાકિસ્તાને ખૈબર પખ્તુનખ્વાના રાષ્ટ્રીય નેતાઓને પણ બક્ષ્યા નહીં, જેમણે ઘણી વખત દેશની સેવા કરી છે. તેમને દેશદ્રોહી જાહેર કર્યા છે અને જેલમાં ધકેલી દીધા છે. પાકિસ્તાનનું વહીવટીતંત્ર હવે રાજકીય પક્ષોને તોડી નાખવામાં અને આપણી સંસ્કૃતિઓ અને પરંપરાઓનો નાશ કરવામાં વ્યસ્ત છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના રાવલકોટ વિસ્તારમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કથિત ગોળીબાર પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીએ સોમવારે આ ઘટનાની સખત નિંદા કરી અને તેને નરસંહાર ગણાવ્યો હતો. યુકેપીએનપી અનુસાર રવિવાર રાત્રે બનેલી આ ઘટનામાં ઘણાં વિરોધીઓ માર્યા ગયા અને ઘણાં ઘાયલ થયાં હતાં. શાંતિપ્રિય લોકો સામે બળનો ઉપયોગ લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે. વિરોધ પ્રદર્શન હવે રાવલકોટ પૂરતું મર્યાદિત નથી.

મુઝફ્ફરાબાદ, મીરપુર, ટાટા પાણી અને પ્લાંડ્રી સહિત અનેક વિસ્તારોમાં દેખાવો અને બંધનું એલાન આપવામાં આવ્યું છે. પ્લાંડ્રીમાં પણ પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તાઓ બ્લોક કર્યા હોવાના અહેવાલ છે. વિદેશમાં રહેતા કાશ્મીરી સમુદાયે પણ PoKમાં બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટનમાં એકતા પ્રદર્શનો યોજવામાં આવ્યા છે, જ્યારે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરના આ ક્ષેત્રમાં માનવ અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો છે. PoKમાંથી આવી રહેલા સમાચાર અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ‘‘ભારતે પાકિસ્તાન તરફથી આવતા નકલી સમાચાર અને વીડિયોનો નમૂનો જોયો છે. ઇસ્લામાબાદ પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે આનો ઉપયોગ કરી રહ્યું છે.

તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘણા નાગરિકો માર્યા ગયાં હતાં અને અન્ય ઘાયલ થયાં હતાં. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગંભીર પોલીસ બર્બરતાના અહેવાલો છે. અમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને તેનાં દુષ્કૃત્યો માટે જવાબદાર ઠેરવશે.’’હવે ભારતે આક્રમક બનીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને ભારતમાં ભેળવી દેવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top