National

હાવડા-મુંબઇ મેલ પાટા પરથી ઉતરી, 20 કોચને નુકસાન, 2ના મોત

નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) ચક્રધરપુરમાં મંગળવારે સવારે ફરી એકવાર મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. અહીં હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અગાઉ બે દિવસ પહેલા પણ આ જ સ્થળે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેની વેગન પાટા પર જ હતી.

અગાઉના અકસ્માત બાદ રેલ્વે વિભાગની બેદરકારી પણ સામે છે. અસલમાં જ્યારે બે દિવસ પહેલા માલગાડી પાટા ઉપરથી ઉતરી ગઇ હતી ત્યારે તેના ડબ્બા પાટા ઉપર જ હતા, અને જ્યારે આજે હાવડા-મુંબઈ મેલ બીજા ટ્રેક પરથી આવી રહ્યો હતો ત્યારે તે ટ્રેક પર પહેલાથી જ પડેલા કેટલાક કોચ સાથે અથડાઈ ગયો હતો. આ અકસ્માત બાદ અનેક બોગીઓ પાટા પરથી પલટી ગઈ હતી. તેમજ બે લોકોના મોત થયા હતા. જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર ચક્રધરપુર નજીક પોલ નંબર 219 પાસે આ અકસ્માત થયો હતો. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અહીં આ દુર્ઘટના પહેલાથી પડેલી બોગીઓ સાથે ગુડ્સ ટ્રેનની ટક્કરથી થઈ હતી. આ દુર્ઘટનામાં 60 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે એક મુસાફરનું મોત પણ થયું છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ સિવાય હાવડા-મુંબઈ રેલ્વે લાઇન પર ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

અસલમાં હાવડાથી મુંબઈ જતી ટ્રેન સોમવારે રાત્રે 11:02 વાગ્યાને બદલે 02:37 વાગ્યે ટાટાનગર પહોંચી હતી. અહીં બે મિનિટના થોભ્યા પછી, તે આગલા સ્ટેશન ચક્રધરપુર માટે રવાના થઈ, પરંતુ તે આગલા સ્ટેશન ચક્રધરપુર પહોંચે તે પહેલાં ટ્રેન બડામ્બોથી આગળ 03:45 વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી.

પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી મુજબ ડાઉન લાઇનથી આવતી માલગાડીની સાથે મેલ એક્સપ્રેસ સાઈડ ક્લોઝર થઈ ગઈ હતી, જેના કારણે ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે મેલ એક્સપ્રેસના ઘણા ડબ્બા એક બીજા સાથે અથડાઈ ગયા અને ઘણી વધુ સ્પીડને કારણે ટ્રેન વચ્ચેથી વળી ગઈ હતી. તેમજ ઘણા ડબ્બા એકસાથે ખરાબ રીતે અટવાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ ટાટાનગર અને ચક્રધરપુર સ્ટેશનથી રાહત ટ્રેનો ઘટના સ્થળ તરફ રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ વિભાગની ટીમને પણ અકસ્માતની તપાસ માટે મોકલવામાં આવી છે.

2 યાત્રીઓના મૃતદેહ ટોયલેટમાં ફસાયેલા છે
મળેલી માહિતી મુજબ મુંબઈ મેલના બે મુસાફરોના મૃતદેહ એસી કોચના ટોયલેટમાં ફસાયેલા છે. આ સિવાય કેટલાક મુસાફરો એસી કોચમાં પણ ફસાયેલા હોઈ શકે છે. ઘાયલોની સંખ્યા સ્પષ્ટ નથી, પરંતુ ઘાયલોને ચક્રધરપુર રેલવે હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.

હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
પટનાથી NDRFની ટીમને ઘટનાસ્થળે રાહત અને બચાવ માટે મોકલવામાં આવી છે. દુર્ઘટના બાદ રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન નંબરો નીચે મુજબ છે.

  • ટાટાનગર માટે 06572290324
  • ચક્રધરપુર માટે 06587238072
  • રાઉરકેલા માટે 06612501072, 06612500244
  • હાવડા માટે 9433357920, 03326382217

Most Popular

To Top