National

શું આજે ભારતની બિનજોડાણ નીતિનો આવશે અંત? યુએનમાં નવ વખત વોટિંગથી દૂર રહ્યો

નવી દિલ્હી: ભારતે હંમેશા બિનજોડાણવાદની નીતિ અપનાવી છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્રના મતદાનમાં ભારત કોઇ એક દેશના પક્ષમાં વોટિંગ કરે. જોવાનુ એ છે કે શું ભારત આજે યુક્રેન યુદ્ધ પર બિનજોડાણની નીતિ છોડી દેશે? આજે રશિયા વિરુદ્ધના ઠરાવ પર મતદાન થવાનુ છે. જેમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી કાઢવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવને અમેરિકાની આગેવાની હેઠળના પશ્ચિમી દેશોનું સમર્થન મળશે, જ્યારે રશિયાએ કહ્યું છે કે તે મતદાનથી દૂર રહેનારા દેશોને તેમના વિરોધી ગણશે. જો ભારત યુક્રેન મુદ્દે રશિયા પ્રત્યે પોતાનું વલણ નહીં બદલે તો અમેરિકા સાથેના તેના સંબંધો પર અસર પડી શકે છે. નોંધપાત્ર છે કે ભારત અત્યાર સુધી રશિયા વિરુદ્ધ ઠરાવ પર નવ વખત વોટિંગથી દૂર રહ્યું છે. શું આ વખતે ભારતને યુએનમાં દોરેલી પોતાની રેખા ભૂંસી નાખવાની ફરજ પડશે? ભારત આજની અગ્નિપરીક્ષામાંથી કેવી રીતે પસાર થશે?

ભારતની અગ્નિપરીક્ષા
ભારત સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવ પર મતદાન પ્રક્રિયામાં સામેલ થયું નથી, રશિયા દ્વારા લાવવામાં આવેલા એકમાત્ર ઠરાવ પર મતદાનથી પણ દૂર રહ્યું છે. ભૂતપૂર્વ રાજદ્વારી સૈયદ અકબરુદ્દીને કહ્યું છે તેમ, ભારતીય મુત્સદ્દીગીરીનો પરંપરાગત સિદ્ધાંત કોઈપણ દેશની નિંદા કરવાનું ટાળવાનો રહ્યો છે, તેથી તે રશિયાની પણ નિંદા કરતું નથી. જો અમેરિકા ભારત-રશિયા સંબંધોની ઝીણવટભરી બાબતોને સમજતું હોય તો ભારત-અમેરિકાના સંબંધોમાં તિરાડ પડવાનો પ્રશ્ન જ નથી. જો કે જટિલ સંજોગોના કારણે સર્જાયેલા દબાણ વચ્ચે ભારત આજે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાનને લઈને અત્યાર સુધીના તેના સ્ટેન્ડ પર અડગ રહેશે કે કેમ તેનો ચોક્કસ અંદાજ લગાવી શકાય તેમ નથી, માત્ર અટકળો જ લગાવી શકાય છે.

વિદેશ મંત્રીએ સંસદમાં કહી મોટી વાત
વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે સંસદમાં કહ્યું હતું કે માનવ લોહી વહાવીને કશું પ્રાપ્ત કરી શકાતું નથી. વાટાઘાટો અને મુત્સદ્દીગીરી એ દરેક વિવાદનો યોગ્ય ઉકેલ છે. યુક્રેનિયન શહેર બુચામાં નાગરિકોની હત્યાને લઈને વિશ્વભરમાં આક્રોશની અસર ભારત પર પણ થઈ છે. આ ક્રમમાં વિદેશ મંત્રીએ પ્રાદેશિક સાર્વભૌમત્વનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અનુસાર બનાવવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાનો આદર કરે છે અને રાષ્ટ્રોની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાને મહત્વ આપે છે. તેમણે કહ્યું કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સહિત અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર આ ચાર્ટર અનુસાર કામ કર્યું છે.

અમેરિકા રશિયા પર ભારતની નિર્ભરતાને સમજે છે, પરંતુ આ સમજણ કેટલો સમય ચાલશે તેની ખાતરી આપી શકાય નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના રાષ્ટ્રીય સુરક્ષા ઉપ-સલાહકાર, દલીપ સિંહે તેમની ભારત મુલાકાતે તો એમ પણ કહ્યું હતું કે જો ચીન ક્યારેય ભારતની સરહદ પર અતિક્રમણ કરશે તો રશિયા ભારતની તરફેણ કરશે નહીં. ભારતે હંમેશા રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર ભાર મૂક્યો છે. રુસ-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં કોની સાર્વભૌમત્વ અને અખંડિતતાને અસર થઈ છે તે સમજી શકાય છે. તેથી જ અમે ખુલ્લેઆમ બોલ્યા વિના અમારી સ્થિતિ ઘણી રીતે સ્પષ્ટ કરી દીધી છે કે અમે યુદ્ધને કારણે ઉદ્ભવતા સંજોગોથી ખુશ નથી. પરંતુ ભારત જેવો દેશ જે કોઈ દુવિધામાં રહેવા માંગતો નથી તેણે પોતાનું હિત જોવું પડશે.

Most Popular

To Top