Charotar

વીરપુરના રાજેણા ગામના બંધ મકાનમાં આગ લાગી

પરીવાર લગ્ન પ્રસંગમાં હતો તે દરમ્યાન આગ લાગતા ઘરવખરી ખાખ થઇ

(પ્રતિનિધિ) વીરપુર તા.10

વીરપુરના રાજેણા ગામનું પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયું હતું, તે દરમિયાન તેમના બંધ મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી ખાખ થઇ ગઇ હતી. જેના કારણે પશુપાલક પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરીસ્થીતી સર્જાઈ છે.

વીરપુરના ધોરાવાડા ગ્રામ પંચાયતમાં આવેલા રાજેણા ગામમાં રહેતા મધુબહેન અમૃતભાઈ ઠાકોર સહિતનો પરીવાર લગ્ન પ્રસંગમાં હતો તે દરમ્યાન તેમના રહેણાંક મકાનમાં એકાએક આગ લાગી ગઈ હતી. જેમાં ઘાસચારો અને ઘરવખરી, જરૂરી ડોક્યુમેન્ટ સહિતની ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. આ રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતાં આજુબાજુના રહેતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. સદનસીબે મોટી જાનહાની ટળી હતી, જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ રહેણાંક મકાનમાં આગને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે પરીવારનો મોટાભાગનો સામાન આગમાં ભસ્મ થતાં પરીવાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવી શક્યું નથી.

Most Popular

To Top