Comments

વિરોધથી રાજયને ચચરવું જોઇએ?

સુપ્રીમ કોર્ટે ભારતીય નાગરિકોને ‘નક્કી કરેલા વિસ્તારો’માં વિરોધ કરવાનો હક્ક ઉદારતાથી આપ્યો છે અને તેણે આ વાત તેના ચુકાદામાં અને નાગરિકતા સુધારા ધારા અને નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર સામે શાહીન બાગમાં યોજાયેલા ધરણાની વિવેચના કરતાં આ વાત કરી છે. તેણે નિરીક્ષણ કર્યું છે વિરોધ અને લોકશાહી હાથમાં હાથ મિલાવી ચાલે છે પણ વિરોધ ચોક્કસ નક્કી કરેલા વિસ્તારમાં જ થવો જોઇએ. વિરોધ તરીકે જે શરૂ થયો તેણે રોજિંદી અવરજવર કરતાં લોકોને અગવડ પેદા કરી શાહીન બાગમાં આવું જ અનુભવાયું. ઘણાં વાચકોને ખબર નહીં હોય કે નક્કી કરેલા વિસ્તારો એટલે શું? થોડાં વર્ષો પહેલાં મેં મુલ્કી સમાજનાં સંગઠનો માટે કામગીરી કરવા માંડી ત્યાં સુધી મને ખબર ન હતી.

તેનો અર્થ એ થાય કે શહેરનો ચોક્કસ વિસ્તાર વિરોધી દેખાવ માટે નક્કી કર્યો હોય તે. દા.ત. દિલ્હીમાં જંતરમંતર અને બેંગ્લોરમાં ફ્રીડમ પાર્ક. લોકોને ચોક્કસ સમય સુધી ત્યાં ભેગા થવા માટે છૂટ છે. પછી તેમણે છૂટાં પડી જવાનું. આ વિસ્તારને મેળવવા માટે પણ નાગરિકોને પોલીસ અને સરકારને અરજી કરવી પડે. લોકોએ જોયું હશે કે યુરોપ અને અમેરિકામાં લોકોનાં નાના જૂથ કામના સ્થળે અને કોર્પોરેટ ઓફિસો સામે સ્વયંભૂ રીતે પિકેટિંગ કરી સૂત્રો પોકારે પણ ભારતમાં આ બધું ગેરકાયદે છે. બંધારણની કલમ-19 જણાવે છે ‘તમામ નાગરિકોને શાંતિથી અને શસ્ત્ર વગર ભેગાં થવાનો અધિકાર મળશે.’

બંધારણ કહે છે કે શાંતિથી ભેગાં થવાનો લોકોનો મૂળભૂત અધિકાર છે. મૂળભૂત અધિકારને રાજયના અતિક્રમણ સામે ઉચ્ચ કક્ષાનું રક્ષણ મળેલું છે. આપણી પાસે આવો અધિકાર નથી. આપણી પાસે ચોક્કસ નિર્દિષ્ટ વિસ્તારમાં એકત્ર થવા માટે પોલીસને અરજી કરવાનો અધિકાર છે. પોલીસને આપણી માંગ મંજૂર કરવાનો, નામંજૂર કરવાનો કે જવાબ નહીં પણ આપવાનો અધિકાર છે. છેલ્લો વિકલ્પ વારંવાર અજમાવાય છે અને અંગત અનુભવના આધારે હું સોગંદપૂર્વક જુબાની આપી શકું છું. એવું શકય છે કે આપણી સુપ્રીમ કોર્ટના જજો આના વિશે જાણતા નથી. તેમણે વિરોધમાં ભાગ લીધો હોય કે ભાગ લેવાનું તેમને કારણ મળ્યું હોય તે સંભવ નથી.

આપણા ન્યાયતંત્રે દેખીતી રીતે બંધારણની કલમ 21 નું સંપાદન કર્યું છે. આ કલમ હેઠળ જીવન અને સ્વાતંત્ર્યની બાંહેધરી આપે છે પણ આપણા સુપ્રીમના જજોએ હેબીયસ કોર્પસ હેઠળ કાશ્મીરીઓની વિનંતીઓની અવગણના કરી છે. હજી થોડા દિવસો અગાઉ બી.બી.સી.એ પોલ ખોલી હતી કે કેવી રીતે કાશ્મીરના ગવર્નરે મિરવાએઝને કહ્યું હતું કે ઓમરફારૂખને અટકાયતમાં નથી લેવાયો જયારે હકીકતમાં તેને અટકાયતમાં લેવાયો જ હતો. કાશ્મીરીઓને વિરોધ કરવાનો અધિકાર જ નથી. ભારતના બાકીના વિસ્તારમાં નિર્દિષ્ટ વિસ્તારમાં વિરોધી દેખાવો રાજય નક્કી કરે કારણ કે તેની સલામત રીતે અવગણના થઇ શકે.

તમે દિલ્હીમાં જંતરમંતરની કયારેય મુલાકાત લીધી છે? તેમાં વિરોધ માટેના ડઝનબંધ સ્થાનો સ્થાપિત કરાયાં છે. જેમાંનાં કેટલાંક તો વર્ષોથી છે. કોણ શેનો વિરોધ કરે છે તેની કોઇને પડી નથી અને ખરેખર રાજયને તો નહીં જ. રાજય તો વિરોધ અને મૂળભૂત અધિકારને એક ઉપદ્રવ તરીકે જુએ છે, જે કાગળ પર અસ્તિત્વ ધરાવે છે અને રાજયના વિરોધમાં તેનો ઉપયોગ નથી થતો. ગાંધીવાદી પધ્ધતિએ સૌથી શાંત વિરોધ થાય તેને ભારતમાં સાંખી નહીં લેવામાં આવે. ગાંધીએ એક માત્ર પ્રતીકાત્મક રીતે અનશન આંદોલનનો માર્ગ અપનાવ્યો તેનાથી વધુ નમ્ર માર્ગ કોઇ માનવી નહીં લઇ શકે.

મણિપુરમાં એક સ્ત્રીએ એ માર્ગ અપનાવ્યો તો રાજયે તેને સાંકળે બાંધી બળજબરીપૂર્વક નાક મારફતે દસ વર્ષ ખવડાવ્યું પણ બ્રિટીશરોએ ગાંધીને જે કરવા દીધું હતું તે કરવાના પોતાના અધિકારનો ઉપયોગ નહીં કરવા દીધો. આઇરોમ શર્મિલા આ દેશમાં વીરપ્પાના નથી અને વધુ સુસંસ્કૃત દેશમાં બની શકયું હોત તેમ ભારતરત્ન તેને નહીં મળ્યો. તે રાજયની દુશ્મન છે. શાહીન બાગના મામલામાં  સુપ્રીમ કોર્ટે જે નિરીક્ષણ કર્યું કે હુકમ કર્યો (તે સ્પષ્ટ નથી) તે રાજકીય પક્ષોને લાગુ નથી પડતું કે ખેડૂત સંઘ અને જ્ઞાતિ જૂથોને લાગુ નથી પડતું. તેઓ તો નિર્દિષ્ટ વિસ્તારોની બહાર દેખાવો કરતા રહેશે, હડતાળ, બંધ, રેલ રોકો, ચક્કાજામ વગેરે કરતાં રહેશે. રાજયમાં તેમને અટકાવવાની ક્ષમતા નથી એટલે તે અન્યત્ર નજર ફેરવી લે છે. સુપ્રીમ કોર્ટ પણ બેધ્યાન બની જાય છે. રાજય પોતાના કાયદાઓનું પાલન નહીં કરે ત્યારે જ વિરોધ થાય. તે વાંધો છે, તે ફરિયાદ છે અને તેને અન્ય કોઇ રીતે કોઇ સાંભળતું નથી એટલે તે થાય છે.

રાજય નિર્દોષતા સાબિત કરવાની જવાબદારી નાગરિકો પર નાંખે વિરોધ નહીં થાય એવું નહીં કહી શકાય. સંઘર્ષ ન થાય તો દેખાવ અસરકારક નહીં રહે. દેખાવોથી રાજયને ચચરવું જોઇએ નહીં તો વિરોધીઓની માંગને પૂરી કરવાની રાજયને શું ચટપટી છે? રાજયના અતિક્રમણ સામે નાગરિકોની પડખે ન્યાયતંત્ર ભાગ્યે જ રહે છે. શાહીન બાગને વિશ્વ અનોખી રીતે જુએ છે કારણ કે સીમાંત સ્ત્રીઓએ રાજયની સામે પડવાનું કામ કરી પ્રેરણા આપી છે. સશસ્ત્ર દળોએ બળાત્કાર કરી હત્યા કરી તેની સામે મણિપુરની સ્ત્રીઓએ નિર્વસ્ત્ર થઇ 2004 માં લશ્કરના દરવાજો બળાત્કાર માટે આવાહ્‌ન આપ્યું. અદાલત નિર્દિષ્ટ વિસ્તારમાં જ દેખાવ કરવાની છૂટ આપે છે તે બાબતમાં શું કહેવું છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top