Dakshin Gujarat

ઓલપાડની વિધવા પાસે વ્યાજની ઉઘરાણી માટે ધમકી આપતી હતી સુરતની આ વ્યાજખોર મહિલા

સાયણ: ઓલપાડ (Olpad) તાલુકાના માસમા ગામે વાઇબ્રેન્ટ કેમ્પસ પાસે આવેલ ગ્રીનવુડ રેસીડન્સીના મકાન નંબર-૭૫માં પોતાની બે દિકરીઓ સાથે રહેતા આનંદીબહેન પટેલના પિત મનોજકુમારનું કોરોના દરમિયાન મૃત્યુ થયુ હતું. તેઓએ દિકરીઓના અભ્યાસ (Education) પેટે સુરતના અલ્પા શાહ પાસેથી રૂપિયા 98,000ની રકમ વ્યાજે (Interest) લીધી હતી તેના નાણાંની (Rupees) ઊંચા વ્યાજે ચૂકવણી માટે પઠાણી ઉઘરાણી થતી હોવાથી છેવટે આનંદીબહેન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • ઓલપાડની વિધવા પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારી સુરતની મહિલા વ્યાજખોર સામે ફરિયાદ
  • બે દીકરીના અભ્યાસ માટે પતિએ વ્યાજે 98,000 લીધા હતા, કોરોનામાં પતિનું મૃત્યુ થતાં વ્યાજ સાથે ચારગણી રકમ માંગવામાં આવતાં વિધવાની મુશ્કેલી વધી ગઈ હતી
  • નાણાં ધીરનાર સુરતનાં મહિલા અલ્પા શાહ ફરિયાદી વિધવાને બાકી રકમ ચૂકવવા ધમકી આપતાં હોવાની રાવ

અત્રે ઉલ્લેખનિય છે કે સ્વ. મનોજકુમાર મોહન પટેલની બંને દિકરીઓ એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી વર્ક ફ્રોમ હોમનું ઓનલાઇન કામ કરી તેઓનું ગુજરાન ચલાવે છે. ગત તા.૨૫/૦૮/૨૦૨૧ના રોજ મનોજકુમારને કોરોના ભરખી ગયો અને ત્યારબાદ પરિવાર ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. મનોજકુમારએ વ્યાજે લીધેલા રૂપિયાની થતી પઠાણી ઉઘરાણીની ફરિયાદ આનંદીબેને ગત સોમવાર,તા.૦૯ ના રોજ ઓલપાડ પોલીસ મથકમાં કરી છે. આ ફરિયાદ મુજબ તેઓએ જણાવ્યું છે કે મારા સ્વર્ગસ્થ પતિએ મારી દિકરીઓના અભ્યાસ માટે અલ્પાબેન મહેન્દ્રકાંત શાહ(હાલ રહે,ડી-૩,પંચરત્ન એપાર્ટમેન્ટ,અલીયાવાડી,મહિધરપુરા પોલીસ સ્ટેશનની પાછળ,સુરત શહેર)પાસેથી રૂ.૯૮,૦૦૦ ની રકમ ગત તા.૨૧/૦૪/૨૦૧૫ ના રોજ વ્યાજે લીધેલ હતી.

જો કે,પતિના મૃત્યુ પછી ગત સપ્ટેમ્બર-૨૦૨૧ માં અલ્પા શાહ તેમના ઘરે ઉઘરાણીએ આવતાં ફરિયાદીએ હિસાબ લખેલ ડાયરી શોધ્યા બાદ હિસાબ ચેક કરવાની ખાત્રી આપી હતી. તે સમયે અલ્પા શાહે એક કાગળમાં હિસાબ લખી આપતા કહ્યું હતું કે, મેં વ્યાજે આપેલ રૂ.૯૮,૦૦૦ પૈકી તમારા પતિએ મને ગત તા.૧૨/૦૫/ ૨૦૧૫ ના રોજ રૂ.૪૯,૦૦૦ નો ચેક આપ્યો હતો. જેથી હવે બાકીની મુદ્દલ રકમ રૂ.૫૦,૦૦૦ તથા અત્યાર સુધીના વ્યાજ સાથે કુલ રકમ મળી રૂ.૧.૯૯ લાખની રકમ મને આપવાની થાય છે. ફરિયાદી મહિલાએ હિસાબ રજુ કરી જણાવ્યું હતું કે,મારા પતિની ડાયરીમાં તમારા સેટલમેંટ હિસાબના લખાણ મુજબ તમને માત્ર એક મહિનામાં જ તા.૧૨/૦૫/ ૨૦૧૫ ના રોજ બેંક ચેકથી રૂ.૪૯,૦૦૦ ચૂકવી દીધા હતા.

ત્યારપછી અવાર-નવાર વ્યાજ ચુકવેલ હોવાથી તમને હવે માત્ર રૂ.૫૦,૦૦૦ની રકમ જ આપવાની થાય છે, તે રકમ હું તમને ચુકવી દઇશ. જેથી તેમણે ગત તા.૦૨/૦૬/૨૦૨૨ ના રોજ રૂ.૪૯,૦૦૦ ની રકમનો ચેક અલ્પાબેન શાહના નામનો લખી રકમ ચૂકવી દીધો હતો. જોકે તે સમયે આ અલ્પાબહેને તમારા રૂ.૪૯,૦૦૦ તથા તેનું વ્યાજ રૂ.૧.૫૦ લાખ મળી કુલ રૂ.૧.૯૯ લાખ બાકી હોવાથી આ રકમ ઓગસ્ટ માસમાં ચૂકવી દેવા ધમકાવ્યા હતા. બાદમાં અલ્પાબહેનએ ગત શુક્રવાર,તા.૦૬ ના રોજ ફરી આનંદીબેનના ઘરે આવી ગંદી ગાળો આપી બાકી રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી કે, જો તું મને આ રકમ ન આપશે તો હું જોઈ લઈશ.

આ ઘટનાના પગલે વિધવાએ અલ્પા મહેન્દ્રકાંત શાહ વિરૂધ્ધ ઉંચા દરે વ્યાજ સાથે રૂપિયાની ઉઘરાણી કરી પરિવારજનોનું જીવવાનું હરામ કરી દેવાની ધમકીઓ આપવા બદલ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ અલ્પાબહેન શાહ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top