મહારાષ્ટ્રના નાસિક શહેરમાં કોર્પોરેટ લવજિહાદનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. નાસિકના ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના BPO યુનિટમાં મહિલા કર્મચારીઓના જાતીય શોષણના ગંભીર આરોપો બાદ કંપનીએ તેની કામગીરી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. કર્મચારીઓને આગામી સૂચના સુધી ઘરેથી કામ કરવાની સૂચના આપવામાં આવી છે. કંપનીએ નવી ભરતીઓ પર પણ રોક લગાવી દીધી છે. જાતીય સતામણી, ત્રાસ અને બળજબરીથી ધર્મપરિવર્તનના ગંભીર આરોપો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ નવ FIR નોંધવામાં આવી છે અને પોલીસે સાતથી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કંપનીના એચઆર મેનેજરનો પણ સમાવેશ થાય છે.
એક મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે શરૂઆતમાં નોકરીની ઓફરના બહાને તેનો વિશ્વાસ મેળવવામાં આવ્યો હતો અને પછી તેને બળજબરીથી સંબંધો બાંધવાની ફરજ પાડવામાં આવી હતી, ધમકીઓ આપવામાં આવી હતી અને માનસિક દબાણનો ભોગ બનાવવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તે કોલેજકાળ દરમિયાન મુખ્ય આરોપી દાનિશ શેખને મળી હતી. તેણે તેણીને નોકરીનું વચન આપ્યું હતું અને ધીમે ધીમે નજીક આવી હતી. આ સંબંધ પછી બળજબરીમાં પરિણમ્યો હતો. આરોપીએ તેણીને લગ્નનું વચન તેમ જ લાલચ આપીને શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું હતું. અન્ય સાથીદારોની ભૂમિકા પણ પ્રકાશમાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર HR મેનેજર નિદા ખાન પર પીડિતાની ફરિયાદો દબાવવાનો અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. તપાસમાં ૭૮ શંકાસ્પદ કોલ રેકોર્ડ, ઇમેઇલ અને ચેટનો પણ પર્દાફાશ થયો છે. મહિલાનો આરોપ છે કે આરોપી અને તેના સાથીઓ સતત ધર્મની ચર્ચા કરતા હતા અને તેના પર ધર્મપરિવર્તન માટે દબાણ કરતા હતા. તેઓએ તેના ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને તેના પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કર્યો હતો.
TCS ના નાસિક યુનિટમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણની SIT તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ મહિલા કર્મચારીઓ સાથે શારીરિક સંબંધો બાંધવા ઉપરાંત તેમને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું, નમાઝ પઢવાનું, રોજા કરવાનું અને માંસાહારી ખોરાક ખાવાનું પણ કહ્યું હતું. એસઆઈટીના જણાવ્યા અનુસાર એચઆર મેનેજર નિદા ખાન મુખ્ય કાવતરાંખોર છે, જેણે ફરિયાદ દબાવવા અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે TCS નાસિકના HR મેનેજર, નિદા ખાને કર્મચારીઓની ૭૦ ફરિયાદો અવગણી હતી. આ કેસમાં વિદેશો સાથે જોડાણ હોવાનું જણાય છે. HR મેનેજર નિદા ખાનના આતંકવાદી જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસને નાણાંકીય વ્યવહારોના પુરાવા પણ મળ્યા હતા. નિદા ખાને પીડિતોને આ બાબત ભૂલી જવા કહ્યું હતું અને તેઓ પોતે ઓફિસમાં જાતીય સતામણી નિવારણ સમિતિના સભ્ય હોવા છતાં કોઈ નક્કર પગલાં લીધાં નહોતાં. SIT એ આરોપીને એક શંકાસ્પદ મલેશિયન ધર્મગુરુ સાથે જોડતી WhatsApp ચેટ પણ મેળવી છે. SIT ની તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવા સૂચવે છે કે TCS ઓફિસમાં અનેક નેટવર્ક કાર્યરત હતાં. પોલીસે એવા WhatsApp ગ્રુપ્સ ઓળખી કાઢ્યાં છે, જેનો ઉપયોગ આરોપીઓ સહકાર્યકરોની ચર્ચા કરવા અને યોજના બનાવવા માટે કરતા હતા. ફોરેન્સિક ટૂલ્સનો ઉપયોગ કરીને ડિલીટ કરેલી ચેટ પુનઃપ્રાપ્ત કરવામાં આવી રહી છે. SIT એ અત્યાર સુધીમાં સેક્સ રેકેટમાં સામેલ ૧૨ કર્મચારીઓની ઓળખ કરી છે. ઘણા ટીમ લીડરો અને એન્જિનિયરો સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમનાં નામો છે : આસિફ અંસારી, તૌફિક અત્તાર, દાનિશ શેખ, રઝા મેમન, શાહરુખ કુરેશી અને શફી શેખ.
ફેબ્રુઆરીમાં પોલીસને TCS ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ અંગે ફરિયાદ મળી હતી. આ માહિતીના આધારે પોલીસે એક ગુપ્ત કાર્યવાહી શરૂ કરી હતી, જેના પછી સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. આ કામગીરીમાં મહિલા કોન્સ્ટેબલોને લગભગ બે અઠવાડિયાં સુધી TCS ઓફિસમાં ગુપ્ત રીતે હાઉસકીપિંગ સ્ટાફ તરીકે તૈનાત કરવામાં આવી હતી. આ પોલીસ અધિકારીઓએ કર્મચારીઓના પરસ્પર વર્તન પર નજીકથી નજર રાખી હતી અને વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી, જેના કારણે સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. TCSનાં AGM અશ્વિની ચૈનાનીને બુધવારે કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. દરમિયાન સમગ્ર કેસ પાછળની મુખ્ય સૂત્રધાર માનવામાં આવતી HR મેનેજર નિદા ખાન હજુ પણ ફરાર છે અને તપાસ ટુકડીઓ દ્વારા તેની આક્રમક શોધ ચાલી રહી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાની જાતે જ નોંધ લીધી છે અને તપાસ માટે એક તથ્યશોધ સમિતિની રચના કરી છે. આ સમિતિ ૧૭ એપ્રિલે સંબંધિત એકમની મુલાકાત લઈને ઘટનાની આસપાસના સંજોગો અને અધિકારીઓના પ્રતિભાવનું મૂલ્યાંકન કરશે. ચાર સભ્યોની સમિતિમાં બોમ્બે હાઈકોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ સાધના જાધવ, હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી બીકે સિંહા, સુપ્રીમ કોર્ટનાં વકીલ મોનિકા અરોરા અને મહિલા આયોગનાં સિનિયર કોઓર્ડિનેટર લીલાબતીનો સમાવેશ થાય છે. સમિતિ બેદરકારી ઓળખવા અને ગુનેગારો સામે કાર્યવાહીની ભલામણ કરવા માટે પીડિતો, પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓની મુલાકાત લેશે. તે મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુધારાત્મક પગલાં પણ સૂચવશે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે TCS નાસિક શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કેસ નોંધાયા પછી પણ ત્રીજા આરોપી દાનિશ શેખના સંપર્કમાં રહ્યા હતા. ધરપકડ પહેલાં તેણે શેખને ફોન કર્યો હતો. કોલ અને ઈમેલ રેકોર્ડનું વિશ્લેષણ કર્યા પછી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આરોપીઓ વચ્ચે મિલીભગતની શક્યતાની પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં કુલ નવ કેસ નોંધાયા છે, જેમાં એક દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં અને આઠ મુંબઈમાં સાકી નાકા ખાતે નોંધાયો છે. ઉત્પીડન, ત્રાસ અને બળજબરીથી ધર્મપરિવર્તનનો આરોપ લગાવતી કુલ નવ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ રેકેટ ૨૦૨૨ માં શરૂ થયું હતું અને આજે પણ ચાલુ છે.
TCS ના નાસિક યુનિટમાં વરિષ્ઠ કર્મચારીઓ દ્વારા સાથીદારોના જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણનો મુદ્દો વધુ વકર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાંખ બજરંગ દળે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે અને આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. બજરંગ દળે પોતાના નિવેદનમાં લવ જેહાદ, જમીન પર અતિક્રમણ અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં કથિત દમન જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. VHP (વિશ્વ હિન્દુ પરિષદ) ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતું કે સંગઠનના કાર્યકરો દેશભરમાં વિરોધ કરશે અને હિન્દુ સમુદાયને એકત્ર કરશે.
અગાઉ VHP એ દેશમાં ધાર્મિક પરિવર્તન અને લવ જેહાદની કથિત ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો અને તેમના વિરુદ્ધ કડક રાષ્ટ્રીય કાયદાઓની માંગણી કરી હતી. VHPના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે નાસિકની ઘટના કોઈ અલગ કેસ નથી પરંતુ તે એક મોટા નેટવર્કનો ભાગ લાગે છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ મુદ્દા પર નક્કર પગલાં લેવા અપીલ કરી હતી. નાસિકની ઘટનાને કારણે દેશભરમાં લવજિહાદ ચાલી રહી હોવાની અફવા સાચી પડી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.