Entertainment

કેન્સરને માત આપીને ફરી આવી છે ‘મહિમા’

હિમા ચૌધરી હમણાં ફરી ચર્ચામાં આવી પણ એ ચર્ચાનું કારણ દુ:ખદ છે. જો કે હવે એ કારણની સારવાર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષથી તે આમ તો ફિલ્મ – TVમાં દેખાતી નહોતી. એટલે તેને થયેલા બ્રેસ્ટ કેન્સરની ચર્ચા જાહેર નહોતી બની. હમણાં અનુપમ ખેર વડે ખબર પડી કે તે બ્રેસ્ટ કેન્સરમાંથી પસાર થઈ છે. એની સારવાર કેમોથેરાપીથી થતી હોય છે, ને તેનાથી વાળ ઉતરી જાય છે. મહિમા જ્યારે અનુપમ સાથે વાત કરતી દેખાય, ત્યારે જાડી પણ દેખાતી હતીને સારવાર બાદ હજુ થોડાક વાળ ઉગેલા હતા. અનુપમ ખેર તેને ‘ધ સિગ્નેચર’ નામની પોતાની આવનારી ફિલ્મમાં કામ આપવા માંગતા હતા. તે દરમ્યાન જ ખબર પડી કે તેને તો સ્તનનું કેન્સર થયું હતું. મહિમા જો કે હવે ઘણી સ્વસ્થ છે.

છેલ્લા ઘણા વર્ષોમાં મનિષા કોઈરાલા, સોનાલી બેન્દ્રે, કિરણ ખેર સહિત કેટલીક એકટ્રેસ આવા જીવલેણ કહેવાતા રોગની ભોગ બની હતી. હવે તે બધી જ સારવાર બાદ ફરી કામે લાગી ગઈ છે. ફિલ્મ સ્ટાર્સ હોય એટલે સારવારનો ખર્ચ કરી શકે છે. ટ્રેજેડીની વાત એ કે ઈરફાન ખાન, રિશી કપૂર વગેરે જ્યારે જીવલેણ રોગમાં ફસાયા તો બચી નથી શક્યા. મહિમા ચૌધરીએ સુભાષ ઘાઈની ‘પરદેશ’થી કારકિર્દીનો આરંભ કરેલો અને પછી ‘દાગ’, ‘ઘડકન’, ‘દિલ હે તુમ્હારા’, ‘કુરુક્ષેત્ર’, ‘લજ્જા’ સહિતની ફિલ્મોમાં કામ કર્યુ. છેલ્લે બંગાળી ભાષાની ‘ડાર્ક ચોકલેટ’માં તે આવી હતી. હવે અનુપમ ખેરની ‘ધ સિગ્નેચર’માં ફરી દેખાશે. અત્યારે તે લખનૌમાં શૂટિંગ કરી રહી છે.

‘ધ સિગ્નેચર’નું દિગ્દર્શન મરાઠી ફિલ્મોથી જાણીતા ગજેન્દ્ર આહિરે કરી રહ્યા છે. મહિમા ચૌધરી 2006માં બોબી મુખરજીને પરણી હતી, જે બિઝનેસમેન, આર્કિટેક્ટ, આન્ત પ્રેન્યોર છે. તેની સાથેના લગ્ન સફળ ન રહ્યા અને 2013માં ડાયવોર્સ થઈ ગયા. આ દંપતીને અર્યાના નામની દીકરી છે, જે હવે મોટી થવામાં છે. મહિમા ફરી તેની કારકિર્દી બનાવવામાં તત્પર છે. જો ફિલ્મો ન મળે તો તે TV કે વેબ સિરિઝમાં પણ આવી શકે છે. રિયાલિટી શોના જજ તરીકે પણ તે સક્રિય થઈ શકે છે. બ્રેસ્ટ કેન્સર હવે ઘણાને થાય છે. છવી મિત્તલ નામની એક્ટ્રેસને પણ હમણાં થયું હતું. મહિમા પ્રથમ તો ખૂબ ડરી ગઈ હતી, પણ મનથી સ્વસ્થ થઈને તેણે સારવાર કરાવી છે. લગ્ન પછી છૂટાછેડા યા કોઈ રોગ થવો સ્વયં એક કહાણી બની જાય છે. મહિમા આ જાણે છે, અને તેને અનુપમની ફિલ્મમાં જોનારા પણ એ રીતે જોશે. •

Most Popular

To Top