Columns

બાબરી મસ્જિદની જેમ જ્ઞાનવાપી મસ્જિદને પણ તોડી પાડવામાં આવશે?

મોગલોના કાળમાં ભારતમાં સેંકડો મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી તે હકીકત ઇતિહાસપ્રસિદ્ધ છે. ભાજપ, સંઘપરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હવે ઘડિયાળના કાંટા ઉલટા ફેરવવા સજ્જ થયા છે. ૧૯૯૨ માં ગેરકાયદે રીતે અયોધ્યાની બાબરી મસ્જિદ તોડી પાડ્યા પછી તે જમીન પર હવે કાયદેસર રીતે ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ પામી રહ્યું છે. અયોધ્યાના મિશનમાં સફળતા મળ્યા પછી સંઘપરિવારે હવે તેની નજર કાશી અને મથુરા પર કેન્દ્રિત કરી છે. કાશીમાં જે સ્થળે વિશ્વનાથનું મંદિર હતું ત્યાં ઔરંગઝેબે મસ્જિદ ઊભી કરી હતી.

આજે પણ તે મસ્જિદ અડીખમ ઊભી છે. તેવી જ રીતે મથુરાની જે જેલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તે સ્થળ પર પણ આજે મસ્જિદ ઊભી છે. કટ્ટર હિન્દુવાદીઓના મનમાં આ મસ્જિદો આંખના કણાની જેમ ખૂંચી રહી છે. જો તેમનું ચાલે તો આ મસ્જિદો તોડીને તેઓ મંદિરો બનાવી કાઢે, પણ ભારતમાં કાયદાનું રાજ ચાલે છે. આ કારણે હિન્દુત્વવાદી સંગઠનો કાયદાનો અને કોર્ટોનો સહારો લઈને પોતાનો એજન્ડા આગળ વધારી રહ્યા છે. કાશીની જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ પર ગણેશ, ગૌરી, હનુમાન વગેરે હિન્દુ દેવીદેવતાની મૂર્તિઓ કોતરેલી છે, તેવા દાવા સાથે કેટલીક મહિલાઓ દ્વારા વારાણસીની જિલ્લા કોર્ટમાં કેસો કરવામાં આવ્યા છે.

જિલ્લા કોર્ટના જજ દ્વારા તેની તપાસ કરવા કમિશનરની નિમણૂક કરવામાં આવી તેની સામે મસ્જિદના સંચાલકો અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં ગયા હતા. હાઈ કોર્ટે તેમની અરજી કાઢી નાખી તે પછી તપાસની કામગીરી આગળ વધી હતી. ત્યાર બાદ તપાસ કમિશનરે જ્ઞાનવાપી મસ્જિદની દિવાલનું વીડિયો શૂટીંગ શરૂ કરતાં મસ્જિદના સંચાલકો ફરી કોર્ટમાં ગયા હતા. હવે કોર્ટે વીડિયો શૂટીંગની પરવાનગી આપી છે ત્યારે જ્ઞાનવાપી મસ્જિદને તોડીને ત્યાં મંદિર બનાવવાની દિશામાં હિન્દુ સંસ્થાઓની જીત થઈ છે. હિન્દુ સંસ્થાઓ દ્વારા તો ૧૯૯૧ નાં ધાર્મિક સ્થળોને લગતા કાયદાને પણ પડકારવામાં આવ્યો છે.

અયોધ્યામાં જેમ રામ લલ્લા વતી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી તેમ કાશીમાં પણ શંકર ભગવાન વતી વિજય શંકર રસ્તોગી અને બીજા ચાર લોકો દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ આજે જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે ત્યાં ૨૦૫૦ વર્ષ પહેલાં વિક્રમાદિત્ય રાજાએ બંધાવેલું મંદિર હતું. ઇ.સ. ૧૬૬૯ માં મોગલ બાદશાહ ઔરંગઝેબના આદેશથી તે મંદિરનો કેટલોક ભાગ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં મસ્જિદ ઊભી કરી દેવામાં આવી હતી. અરજદારના કહેવા મુજબ ૧૮૭૧ માં એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા પ્રસિદ્ધ થયેલાં મા-અસીર-ઇ-આલમ ગિરિનાં પુસ્તકમાં આ તમામ માહિતી આપવામાં આવી છે.

અરજદારોના કહેવા મુજબ હિન્દુ મંદિર તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવી હતી તો પણ તે જમીનની માલિકી હિન્દુઓના હાથમાં જ રહી હતી. ઇ.સ. ૧૮૦૯ માં તે સ્થાને રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેમાં હિન્દુઓએ મુસ્લિમોને તગેડી મૂક્યાં હતાં. રમખાણો પછી મસ્જિદના વહીવટદારો પાસે નુકસાન વસૂલ કરવામાં આવ્યું હતું. ૧૯૨૮ માં આ જગ્યાની માલિકી પાછી હિન્દુઓને આપી દેવામાં આવી હતી. ત્યાર બાદ આ જગ્યાએ અનેક કોમી રમખાણો થયાં હતાં. બ્રિટીશ શાસન દરમિયાન મુસ્લિમોને આ જગ્યા પર માત્ર નમાઝ પઢવાની મંજૂરી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવી હતી. મુસ્લિમોને જે જગ્યા પર નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી તેના કરતાં વધુ જમીન પર તેમણે કબજો જમાવી દીધો હતો. તેમ છતાં આજે પણ જ્ઞાનવાપી મસ્જિદનો ગ્રાઉન્ડ ફ્લોરનો હિસ્સો હિન્દુઓના કબજામાં છે. ૧૯૯૧ ની ૧૩ મી ઓક્ટોબરે કેટલાક હિન્દુઓ દ્વારા આ જગ્યાનો કબજો લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ મુસ્લિમોએ તેમને તેમ કરતા રોક્યા હતા. આ કારણે અરજદારોને વારાણસીની કોર્ટમાં કેસ કરવાની ફરજ પડી હતી.

ઉત્તર પ્રદેશના સુન્ની વક્ફ બોર્ડ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે જે જમીન ઉપર જ્ઞાનવાપી મસ્જિદ ઊભી છે તેના મહેસૂલી દસ્તાવેજોમાં પણ માલિક તરીકે મુસ્લિમ પક્ષકારોનું નામ લખવામાં આવ્યું હતું. આ દલીલ ફગાવી દેતાં વારાણસીની કોર્ટના વિદ્વાન જજે જણાવ્યું હતું કે મહેસૂલી રેકોર્ડમાં પણ ભૂલ હોઈ શકે છે, જેને સુધારી શકાય છે. આ ઘટના એટલી જૂની છે કે બેમાંથી કોઈ પક્ષ પાસે તેમના દાવાનું સમર્થન કરે તેવા પુરાવા નથી. જ્ઞાનવાપી મસ્જિદ હિન્દુ મંદિર તોડીને બનાવવામાં આવી છે તેવા દાવાનું મુસ્લિમ પક્ષકારો ખંડન કરે છે. આ સંયોગોમાં કેસનો ફેંસલો કરવા માટે આ બાબતમાં સત્ય શું છે? તે શોધી કાઢવાની કોર્ટની ફરજ છે.

વારાણસીની કોર્ટના આદેશ મુજબ પુરાતત્ત્વ ખાતા દ્વારા પાંચ સભ્યોની સમિતિ નીમવામાં આવશે, જે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરીને પુરાવાઓ ભેગા કરશે. આ પુરાવાનો અભ્યાસ કરીને તે જાણવાની કોશિશ કરશે કે શું આ સ્થળે ખરેખર કોઈ હિન્દુ મંદિર હતું? શું તે મંદિરને તોડીને કે તેમાં ફેરફાર કરીને મસ્જિદ બનાવવામાં આવી હતી? આ કમિટિ જ્ઞાનવાપી મસ્જિદની સાઇઝ અને ઉંમર પણ નક્કી કરશે. આ મસ્જિદના બાંધકામમાં કઈ સામગ્રી વાપરવામાં આવી હતી? તેની પણ તેઓ તપાસ કરશે. પાંચ સભ્યોની સમિતિમાં બે મુસ્લિમ સભ્યો હશે. તેઓ પોતાનો હેવાલ કોઈ પણ મીડિયામાં નહીં આપે પણ તેને તૈયાર કરીને સિલબંધ કવરમાં અદાલતને સુપરત કરશે.

પુરાતત્ત્વ ખાતા દ્વારા જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરવાના કોર્ટના આદેશથી મુસ્લિમ પક્ષકારો હતાશ થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહમદ ફારુકી કહે છે કે વારાણસીની કોર્ટના આદેશને હાઈ કોર્ટમાં પડકારવામાં આવશે. તેમના કહેવા મુજબ ૧૯૯૧ ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે પૂજાસ્થળનો જે દરજ્જો હોય તે બદલી શકાય નહીં. આ ચુકાદાને સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બેન્ચે પણ કાયમ રાખ્યો છે. તેમના કહેવા મુજબ જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ હિન્દુ મંદિર હતું તે મતલબનો કોઈ પુરાવો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નથી. અયોધ્યાના કેસમાં પણ પુરાતત્ત્વ ખાતા દ્વારા કરવામાં આવેલું ખોદકામ ઉપયોગી સાબિત થયું નહોતું. બાબરી મસ્જિદ હેઠળથી હિન્દુ મંદિરના અવશેષો મળી આવ્યા હતા; પણ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે, તેવું સાબિત થયું નહોતું.

મુસ્લિમોને ડર છે કે જે રીતે હિન્દુઓ દ્વારા અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે રીતે તેઓ કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ પણ તોડી પાડવા માગે છે. અયોધ્યામાં બાબરી મસ્જિદની આજુબાજુની જમીન ખાલી કરાવવામાં આવી હતી, જેને કારણે મસ્જિદ દૂરથી દેખાઈ આવતી હતી. ત્યાર બાદ તેને તોડી પાડવામાં આવી હતી. તેવી જ રીતે યોગી આદિત્યનાથની સરકાર દ્વારા વારાણસીના ગંગા ઘાટથી કાશી વિશ્વેસર મંદિર સુધી વિશાળ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કોરિડોર તૈયાર કરવા માટે પણ જ્ઞાનવાપી મસ્જિદની આજુબાજુનાં જૂનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. હવે મસ્જિદ પણ તોડી પાડવામાં આવશે, એવો તેમને ડર છે. આ બાજુ આગ્રાના તાજમહાલને તેજોમહાલય નામનું શંકર ભગવાનનું મંદિર જાહેર કરવાનો દાવો અલ્લાહાબાદ હાઈ કોર્ટમાં ચાલી રહ્યો છે. હિન્દુ જાગરણનો કાળ આવી ગયો હોય તેવું લાગે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top