Comments

આ માણસને પ્રેમ કરવા જેવો છે, એક વખત તેની સાથે પ્રેમ કરી જુઓ

હું 1990ના દસકમાં જયારે પત્રકારત્વમાં પ્રવેશ્યો ત્યારના દિવસો યાદ કરતાં મને કેટલાંક મિત્રો  આજે પણ  કહે છે અમને તે દિવસનો પ્રશાંત બરાબર યાદ છે. ખાદીનાં કપડાં, એક થેલો અને પગમાં કોલ્હાપુરી ચંપલ પહેરી રીપોર્ટીંગમાં નીકળતો હતો. પણ પછી મેં ખાદી કયારે છોડી તેને યાદ કરું ત્યારે મને તે દિવસો બરાબર યાદ આવે છે, ગાંધી સાથે મને લગાવ કયારે થયો તેની મને આજે પણ ખબર નથી. મેં ગાંધીને ખાસ વાંચ્યા પણ નથી છતાં કયા કારણસર હું ગાંધીના પ્રેમમાં પડયો તે ચોક્કસ રીતે કહી શકું તેમ નથી. આમ પણ પ્રેમને કોઈ કારણ હોતું નથી, છતાં તમે જેને પ્રેમ કરો તેની બધી જ વસ્તુઓ તમને ગમવા લાગે તેમ ગાંધીને ખાદી ગમતી એટલે હું તે પહેરવા લાગ્યો.

પત્રકારત્વમાં રહ્યા પછી મને સતત એવું લાગતું કે ગાંધીનું પત્રકારત્વ અને  હું જે પત્રકારત્વ કરી રહ્યો છું, તેમાં મોટું અંતર છે. વાસ્તવિકતા એવી પણ હતી કે ગાંધીજીનું પત્રકારત્વ અને આજના પત્રકારત્વનો  મેળ પડી શકે તેમ નહોતો, કારણ જયારે હું પત્રકાર થયો ત્યારે જે પત્રકારત્વને   માલિકો અને પત્રકારો મિશન સમજતા હતા તે યુગનો અંત આવવાની તૈયારી હતી. હવે સમાચારવંચિતો-શોષિતો માટે નહીં, પણ કોલમ સેન્ટીમીટરના ભાવના આધારે નક્કી થવાના હતા. હું એક સામાન્ય માણસ. મને ખબર હતી કે હું કંઈ તેમાં મોટો ફેરફાર કરી શકવાનો ન્હોતો, છતાં આંતરિક સંઘર્ષ બહુ થયો, નેતાઓ અને તંત્રીઓની સાથે ઝઘડતો રહ્યો. હવે શું થઈ શકે તેવો એક પ્રશ્ન ઊભો થયો.

સૌથી પહેલાં મેં નક્કી કર્યું કે હું જાતને છેતરીશ નહીં. હું ખાદી પહેરું અને મારા વ્યવહાર અને કામમાં ગાંધી ના  હોય તો તેવી ખાદી પહેરવાનો કોઈ અર્થ ન્હોતો. હું ખાદી પહેરું અથવા ના પહેરું તેનાથી મારી ગાંધી તરફની શ્રધ્ધા-પ્રેમમાં કોઈ ઘટાડો થવાનો ન્હોતો, પણ મને ખબર હતી કે હવે વ્યવસાયના નામે મારે જે વ્યવહાર અને કામ કરવાનું છે તેમાં એક ખાદીધારી વ્યકિત પાસે જે અપેક્ષા ના હોય તેવું બધું જ થશે. ગાંધીને મેં કરેલો પ્રેમ એક અત્યંત વ્યકિતગત બાબત હતી. કોઈ પણ માણસ પોતાના ઈશ્વરમાં શ્રધ્ધા રાખે એટલી જ.

મને ગાંધી ગમે છે તેવું મારે કોઈને કહેવાની જરૂર ન્હોતી અને મેં ખાદીનો ત્યાગ કર્યો. સમય બદલાયો… વ્યવહાર પણ બદલાયો.. પોલીટીકસ અને ક્રાઈમ રીપોર્ટીંગ કરતાં દેખાવ અને વ્યવહારમાં પણ હું તેમના જેવો જ રુક્ષ થવા લાગ્યો… છતાં મારી અંદરના ગાંધીએ મારામાં રહેલા માણસ અને પત્રકારને મરવા દીધો નહીં તેવું આજે ચોક્કસ કહી શકું, પત્રકારત્વના ત્રણ  દાયકાઓમાં અનેક ઉથલપાથલો થઈ, દેખાવ બદલાયો હોવા છતાં હું મારી અંદરના માંહ્યલાને ખાસ બદલી શકયો નહીં, કયારેક સમાધાનો પણ કર્યાં છતાં પોતાની જાત સાથે અને બીજા માટે તે લડતો રહ્યો, ત્યાં સુધી તે લડયો કિંમત ચુકવવા નોકરી પણ ગુમાવી.

 2015 માં પચાસી વટાવી ગયા પછી કોઈને કામ જોઈએ છે તેવું કહેવા માટે પહેલાં પોતાના ફેફસામાં શ્વાસ ભરી લેવો પડે. હ્રદયના વધી રહેલા ધબકારાને નિયંત્રણમાં લાવવા પડે, પણ કદાચ હવે હ્રદય અને ફેફસાં   ટેવાઈ ગયાં તેવું લાગે છે.  આ દરમિયાન મને વિવેક મળી ગયો,  વિવેક દેસાઈ મારો જૂનો મિત્ર. પત્રકાર થયો તે પહેલાંનો. પછી અમે દિવ્ય ભાસ્કરમાં સાથે નોકરી પણ કરી,  તેની પત્ની શિલ્પા મારી સાથે સ્કૂલમાં ભણતી હતી. હવે વિવેક નવજીવન ટ્રસ્ટનો મેનેજીંગ ટ્રસ્ટી છે.

તેણે મને એક દિવસ બોલાવીને કહ્યું, તું મારી સાથે નવજીવન પ્રેસમાં કામ કરીશ, તારું પત્રકાર તરીકેનું કામ ચાલુ રાખ, તેમાં પણ મને વાંધો નથી. મને વિચાર આવ્યો, આખી જિંદગી લૂંટ-બળાત્કાર પોલીસના સાચા ખોટા એન્કાઉન્ટરો અને નેતાઓના ભ્રષ્ટાચાર લખ્યા પછી ગાંધીજીએ શરૂ કરેલા નવજીવનના પ્રેસમાં હું શું કામ કરી શકું. તેણે કહ્યું, આપણે પોલીસ અને જેલમાં રહેલા કેદીઓ વચ્ચે ગાંધીજીને લઈ જવાના છે. હું વિચારતો રહ્યો. મને કામ ફાવશે કે નહીં. વિવેકે મને કહ્યું, આમ ખાસ કરી કરવાનું નથી, કારણ આપણી પ્રોડકટ ગાંધી છે અને પ્રોડકટનો બ્રાન્ડ એમ્બેસેડર પણ ગાંધી જ છે એટલે ત્યાં સુધી જવામાં ખુદ ગાંધીજી જ આપણને મદદ કરશે.

મેં મારા મનમાં રહેલી અનેક શંકાઓ સાથે હા પાડી, વિવેકે એક સ્પષ્ટતા કરી, તને કામ આપીને હું કોઈ ઉપકાર કરતો નથી. અમારે તારા જેવા માણસની જરૂર છે તેની સાથે તું એક સારો માણસ પણ છે. મેં પહેલી વખત માણસ સારા માણસનું  રોકડમાં રૂપાંતરણ થતાં જોયું, બાકી તમે બહુ સારા, તમે બહુ બહાદુર , કોઈની પણ સાડાબારી રાખો નહીં તેવું અનેક વખત સાંભળ્યું, પણ કદાચ તેના કારણે જ મને કોઈ કામ આપતું નથી તેનું જ્ઞાન બહુ મોડે થયું.

અને મેં નવજીવન પ્રેસમાં જવાની શરૂઆત કરી દીધી છે. ખબર નહીં, પણ નવજીવનમાં જાઉં ત્યારે મનને સારું લાગે છે. કદાચ મંદિરમાં ગયા પછી ઈશ્વર હોવાનો અહેસાસ અથવા તેનો ભ્રમ હોવાના ભાસને કારણે જેવું લાગે કદાચ તેવું જ. મંદિરમાં ઈશ્વર હતો કે નહીં તેની ખબર નથી, પણ નવજીવનમાં ગાંધી હતા અને છે તેની મને ચોક્કસ ખબર છે. હું નવજીવનમાં જોડાયો તેની બહુ ઓછાને ખબર છે. પણ જેમને ખબર પડી તેમના ચહેરા ઉપર હેં શું વાત કરો છો, તેવો ભાવ હતો. તેઓ કંઈ બોલતા નહીં. પણ એક ક્રાઈમ રીપોર્ટર-ગાંધી અને નવજીવન પ્રેસ કઈ રીતે શકય છે, કંઈક મીસમેચ થઈ રહ્યું હોય તેવું તેમનો ચહેરો વાંચીને લાગતું હતું. 

મેં આ અંગે મારા મિત્ર ઉર્વીશ કોઠારીને વાત કરી અને કહ્યું, હું ગાંધીના પ્રેમમાં છું તે મારે કોઈને કહેવાની જરૂર નથી, પણ હું નવજીવનમાં છું તે વાત કોઈને હજમ થતી નથી. નોકરી તો બાજુ ઉપર રાખો,  પણ  કઈ રીતે મારા જીવનમાં ગાંધી કેટલો મહત્ત્વનો છે તે સમજાવી પણ શકતો નથી. તેણે કહ્યું, તારી પાસે ભલે તેનો ઉત્તર ના હોય, પણ મને ખબર છે કે તારી અંદર ગાંધી જીવે છે અને એટલે જ તો કાયમ બીજા માટે લડતો રહ્યો, તું બીજા માટે ઊભો રહ્યો અને  લડયો તે તારી અંદરનો ગાંધી જ હતો. ભાજપના મારા મિત્ર નિમેષ જોષીને જયારે ખબર આપ્યા કે  નવજીવનમાં જોડાયો  ત્યારે  તેણે એક મઝાની વાત કરી કે એક કમનસીબ બાબત એવી  છે કે ગાંધીને સમજવા માટે આપણને લગે રહો મુન્નાભાઈ ફિલ્મ જોવી પડે અને સદ્દનસીબ બાબત એવી છે કે હવે મુન્નાભાઈઓમાં જ ગાંધી જીવી ગયો છે.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top